Corona Vaccine: કોરોના સામે લડાઈ માટે ભારત તૈયાર, જાણો વેક્સીન સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ

કોરોનાની વેક્સીન અંગે લોકોના મનમાં સંખ્યાબંધ સવાલો છે. ત્યારે કોરોનાની વેક્સીનના સંદર્ભમાં એવા 21 મોટા સવાલોના જવાબ અમે તમારા માટે લઈને આવ્યાં છીએ. દેશના અલગ-અલગ રાજ્યોમાં વેક્સીનેશનની ડ્રાઈ રન પણ થઈ છે. એવામાં તૈયારી પૂરી છે અને ઝડપથી દેશમાં વેક્સીન લગાવવાનું કામ શરૂ થઈ જશે. પરંતુ હજુ પણ વેક્સીનેશન અંગે કેટલાંક એવા સવાલ છે જે આશંકા ઉત્પન્ન કરે છે અને તેનો જવાબ દરેક વ્યક્તિએ જાણવો જરૂરી છે.

Corona Vaccine: કોરોના સામે લડાઈ માટે ભારત તૈયાર, જાણો વેક્સીન સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ

 

જયેશ જોશી, અમદાવાદઃ નવું વર્ષ આવતાં જ ભારતને કોરોના વાયરસ સામેની લડાઈના મોરચા પર જબરદસ્ત સફળતા મળી છે. સરકાર તરફથી ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડને મંજૂરી મળી ગઈ છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં વેક્સીનેશનની ડ્રાઈ રન પણ થઈ છે. એવામાં તૈયારી પૂરી છે અને ઝડપી જ દેશમાં વેક્સીન લગાવવાનું કામ શરૂ થઈ જશે. પરંતુ હજુ પણ કેટલાંક એવા સવાલ છે જે આશંકા ઉત્પન્ન કરે છે. અને જેનો જવાબ દરેક વ્યક્તિએ જાણવા જરૂરી છે. આ સવાલો અંગે એક્સપર્ટ અને સરકારનો ડેટા શું કહે છે. સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ.

UAE firm nears end of Chinese COVID-19 vaccine trial, hopes to manufacture  it next year | Health News | Zee News

સવાલ- 1. ભારતમાં કઈ વેક્સીનને અત્યાર સુધી મંજૂરી મળી ગઈ છે?
જવાબ- દેશમાં અત્યાર સુધી બે વેક્સીનને મંજૂરી મળી ગઈ છે. બંને જ વેક્સીન ભારતમાં જ મેન્યુફ્રેક્ચરર કરવામાં આવી છે. તેમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ જે ઓક્સફર્ડ યૂનિવર્સિટીની સહાયતાથી બની છે. અને બીજી ભારત બાયોટેકની કોવેક્સીન.

સવાલ- 2. ભારતમાં વેક્સીન લગાવવાનું કામ ક્યારથી શરૂ થશે?
જવાબ- દેશમાં બે વેક્સીનને મંજૂરી મળી ગઈ છે. ડ્રાઈ રન પણ થઈ ગઈ છે. એવામાં બધી જ તૈયારી છે. આગામી એક કે બે અઠવાડિયાની અંદર દેશવ્યાપી વેક્સીનેશનનું કામ શરૂ થઈ શકે છે.

સવાલ- 3. સૌથી પહેલાં વેક્સીનનો ડોઝ કોને લગાવવામાં આવશે?
જવાબ- ભારત સરકારે વેક્સીનેશન માટે એક કમિટી બનાવી છે. જે તેના પર ડિટેઈલથી કામ કરી રહી છે. તેમની ભલામણ પર સરકારે શરૂઆતમાં 30 કરોડ લોકોને પ્રાથમિક યાદીમાં રાખ્યા છે. તેમાંથી સૌથી પહેલાં હેલ્થવર્કર, સુરક્ષા કર્મચારી, અન્ય કોરોના વોરિયર્સ, 50 વર્ષથી વધારે ઉંમર અને ગંભીર બીમારીવાળા લોકોનો સમાવેશ થાય છે.

સવાલ- 4. શું વેક્સીનનો ડોઝ મારા ઘર પર લગાવવામાં આવશે?
જવાબ- ના. સરકારે હજુ ડ્રાઈ રનમાં જે નીતિને અપનાવી છે તેના આધારે જિલ્લા, તાલુકા, ગામમાં રહેલ સરકારી હોસ્પિટલ કે અન્ય જગ્યા પર સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે. જ્યાં નિયમિત રીતે જાણકારી આપીને કોરોના વેક્સીનનો ડોઝ મૂકવામાં આવશે. એટલે સેન્ટર પર જઈને જ વેક્સીન લગાવવાની રહેશે.

સવાલ- 5. મારો નંબર ક્યારે આવશે, કેવી રીતે ખબર પડશે?
જવાબ- ભારત સરકારે કો-વિન મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જે વેક્સીનેશન શરૂ થશે ત્યારે એક્ટીવ થશે. તે ઉપરાંત જે વ્યક્તિને વેક્સીનનો ડોઝ મૂકવામાં આવશે. તેમને પહેલાં જ ફોન પર મેસેજ આવી જશે. એટલે જો તમને વેક્સીનનો ડોઝ મળવાનો છે તો તમારા ફોન પર તારીખ, સમય અને જગ્યાની જાણકારી આપવામાં આવશે.

સવાલ- 6. મારે વેક્સીન ન લગાવવી હોય તો?
જવાબ- વેક્સીન લગાવવી છે કે નહીં તે કોઈપણ વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે. એટલે કોઈની સાથે જબરદસ્તી કરી શકાય નહીં. જોકે કોરોનાનું સંકટ જે પ્રમાણે યથાવત છે તેવામાં એક્સપર્ટ પણ વેક્સીનના શૉટ લેવાની સલાહ આપી રહ્યા છે.

સવાલ- 7. વેક્સીન માટે કોઈ રજિસ્ટ્રેશનની જરૂરિયાત છે?
જવાબ- જે લોકોને શરૂઆતના તબક્કામાં વેક્સીન મળી રહી છે. તેમની યાદી જાહેર કરવામાં આવશે. જેના આધારે બધાને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેના માટે પહેલા તમારા ફોન પર મેસેજ આવી જશે.

સવાલ- 8. રજિસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજની જરૂરિયાત છે?
જવાબ- ડ્રાઈવિંગ લાઈસન્સ/ વોટર આઈડી કાર્ડ/ આધાર કાર્ડ/ પાસપોર્ટ, બેંક ખાતાની પાસબુક, મનરેગા કાર્ડ, સ્વાસ્થ્ય મંત્રાલયનું હેલ્થ આઈડી કાર્ડમાંથી કોઈપણ ડોક્યુમેન્ટની મદદી રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

સવાલ- 9. જો રજિસ્ટ્રેશન ન થયું હોય અને ફોટો આઈડી જેવા ડોક્યુમેન્ટ ન હોય તો વેક્સીન લાગશે?
જવાબ- વેક્સીનનો ડોઝ લગાવવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. અને તેના માટે સેન્ટર પર જઈને તમારે તમારા જરૂરી દસ્તાવેજો બતાવવા પડશે. તેના આધારે જ તમને વેક્સીન આપવામાં આવશે.

સવાલ- 10. શું વેક્સીન લગાવવા માટે પૈસા આપવા પડશે?
જવાબ- ભારતમાં વેક્સીન મફત મળશે કે નહીં તે અંગે હજુ સુધી તસવીર સ્પષ્ટ થઈ શકી નથી. વીતેલા દિવસોમાં સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન હતું કે આખા દેશમાં વેક્સીન મફત મળશે. પછી તેમણે સ્પષ્ટતા કરી હતી કે શરૂઆતના તબક્કામાં હેલ્થ વર્કરોને ફ્રીમાં વેક્સીન આપવામાં આવશે. તે ઉપરાંત અલગ-અલગ રાજ્ય સરકારો પોતાના હિસાબે નિયમ નક્કી કરી રહી છે. એવામાં વેક્સીન ફ્રીમાં હશે કે નહીં તેના પર દેશવ્યાપી નિર્ણય નથી.

Odisha to provide free COVID-19 vaccine for healthcare workers | India News  | Zee News

સવાલ- 11. વેક્સીનના કેટલા ડોઝ આપવામાં આવશે અને કેટલું અંતર રહેશે?
જવાબ- ભારતમાં વેક્સીનના કુલ બે ડોઝ આપવાના છે. પહેલા અને બીજા ડોઝની વચ્ચે કુલ 28 દિવસનું અંતર હશે. એટલે તમારે બે વખત વેક્સીન સેન્ટર પર જવું પડશે.

સવાલ- 12. શું વેક્સીનના બંને ડોઝ લગાવવા જરૂરી છે?
જવાબ- વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બધાને વેક્સીનનો સંપૂર્ણ ડોઝ લેવો જોઈએ. એવામાં જો તમે પહેલો ડોઝ લગાવો છો, તો બીજો પણ લગાવવો જોઈએ. જેથી કોરોના સામે સારવાર પૂરી થાય અને ઈમ્યુનિટી બની શકે.

સવાલ- 13. બંને ડોઝ લગાવ્યાના કેટલા દિવસ પછી એન્ટીબોડી બનશે?
જવાબ- એન્ટીબોડી બન્યા પછી કોરોના સામેની લડાઈ મજબૂત બને છે. પરંતુ તે શરીરમાં કોરોના વેક્સીનના બંને ડોઝ મળ્યા પછી થોડાક દિવસમાં બની જાય છે.

સવાલ- 14. વેક્સીનના ડોઝ લગાવ્યા પછી શું સાવધાની રાખવી પડશે?
જવાબ- હા. આ બિલકુલ જરૂરી છે. પહેલા ડોઝ અને બીજા ડોઝના વચ્ચે તમારે સાવધાન રહેવું પડશે. અને હજુ સુધી જે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યા છો તેને માનવી પડશે. જો બેદરકારી રાખવામાં આવશે તો વેક્સીનની અસર ઓછી થઈ જશે. એવામાં માસ્ક, દો ગજ કી દૂરી અને વારંવાર હાથ ધોવાનુ ત્યારે પણ જરૂરી રહેશે.

સવાલ- 15. વેક્સીન લગાવ્યા પછી તરત શું કરવું જોઈએ?
જવાબ- જો તમે વેક્સીન સેન્ટર પર ડોઝ લીધો છે તો થોડાક સમય સુધી તમારે ત્યાં આરામ કરવો જોઈએ. લગભગ અડધો કલાક તમે ત્યાં જ આરામ કરો. આ દરમિયાન તમને કોઈ મુશ્કેલી થાય છે તો તરત ડોક્ટર કે ત્યાં હાજર અધિકારીનો સંપર્ક કરો.

સવાલ- 16. ભારતમાં બનેલી વેક્સીનની સાઈડ ઈફેક્ટ્સ હશે?
જવાબ- સરકારનું કહેવું છે કે તમામ નિયમોનું પાલન કર્યા પછી જ વેક્સીનને મંજૂરી આપવામાં આવી છે. તમામ પ્રકારની સાવધાની રાખવામાં આવી છે. તેના પછી પણ દરેક વેક્સીન સાથે જોડાયેલ કેટલીક સાઈડ ઈફેક્ટ્સ હોઈ શકે છે. બધા રાજ્યોને તે માટે તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે.

સવાલ- 17. શું વેક્સીન લગાવ્યા પછી કોરોના વાયરસ નહીં હોય?
જવાબ- આવું બિલકુલ નથી કે વેક્સીન લગાવ્યા પછી તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત થઈ જશે. જોકે વેક્સીન તમને મહદઅંશે રક્ષણ આપશે. તેમ છતાં પણ તમારે સંપૂર્ણ રીતે સાવચેત રહેવું પડશે. કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે. જેથી તમે પોતાને સુરક્ષિત રાખી શકશો. માસ્ક, દો ગજ કી દૂરી અને હાથ ધોવાનું નિયમિત રાખવું પડશે.

સવાલ- 18. શું સ્વાસ્થ્યકર્મી, કોરોના વોરિયર્સના પરિવારને પણ શરૂઆતના તબક્કામાં વેક્સીન મળશે?
જવાબ- સરકારે શરૂઆતના તબક્કામાં સ્વાસ્થ્યકર્મી, કોવિડ વોરિયર્સ અને કેટલાંક અન્યને વેક્સીન આપવા માટેની યાદી બનાવી છે. એવામાં તેમના પરિવારના લોકોને હાલ વેક્સીન આપવામાં આવશે નહીં. અન્ય લોકોનો નંબર પણ ત્યારે આવશે, જ્યારે સરકાર આગળની રણનીતિ પર કામ કરશે.

સવાલ- 19. ખુલ્લા બજારમાં વેક્સીન મળવાનું ક્યારથી શરૂ થશે?
જવાબ- હજુ વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. તેનો અર્થ એ છે કે હાલ બજારમાં તે વેચાતી નહીં મળે. જ્યારે વેક્સીનનું કામ શરૂ થશે. તેના પછી ડ્રગ રેગ્યુલેટર તરફથી દર અઠવાડિયે ડેટા કાઢવામાં આવશે. જેના આધારે આગળની તૈયારી થશે.

સવાલ- 20. ભારતની વેક્સીન ફાઈઝર કે મોડર્નાથી શ્રેષ્ઠ કેમ?
જવાબ- ભારતમાં વેક્સીનેશન સાથે જોડાયેલું કામ છેલ્લા 16 વર્ષથી ચાલી રહ્યું છે. એવામાં વેક્સીનેશનમાં ભારત જેવા દેશને કોઈ મુશ્કેલી નહીં આવે. સાથે જ દેશમાં જે વેક્સીન બનાવવામાં આવી છે. તેમને સામાન્ય સ્થિતિમાં રાખી શકાય છે. એવામાં ભારતના તાપમાન અનુસાર તે ઘણી શ્રેષ્ઠ છે. જે કોઈપણ ભાગમાં સફળ સાબિત થશે.

સવાલ- 21. શું ભારતમાં બીજી વેક્સીન લગાવવામાં આવશે?
જવાબ- દેશમાં હજુ ભારત બાયોટેકની કોવેક્સીન, સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડની મંજૂરી મળી છે. તે ઉપરાંત અનેક અન્ય વેક્સીન તેના અંતિમ ટ્રાયલમાં છે. જેમાં રશિયાની વેક્સીન, મોડર્ના, ફાઈઝર વગેરે વેક્સીનનો સમાવેશ થાય છે. એવામાં તેમની ટ્રાયલ પૂરી થયા પછી તેમને મંજૂરી મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news