અયોધ્યા કેસ: ચુકાદો લખવામાં વ્યસ્ત CJI રંજન ગોગોઈએ કર્યો વિદેશ પ્રવાસ રદ

અયોધ્યા કેસ (Ayodhya Case)ની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. 6 ઓગસ્ટથી શરૂ થયેલી નિયમિત સુનાવણી 40 દિવસ સુધી સતત ચાલ્યા બાદ 16 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઇ ગઇ છે

અયોધ્યા કેસ: ચુકાદો લખવામાં વ્યસ્ત CJI રંજન ગોગોઈએ કર્યો વિદેશ પ્રવાસ રદ

નવી દિલ્હી: અયોધ્યા કેસ (Ayodhya Case)ની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. 6 ઓગસ્ટથી શરૂ થયેલી નિયમિત સુનાવણી 40 દિવસ સુધી સતત ચાલ્યા બાદ 16 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઇ ગઇ છે. ત્યારબાદ 8થી 17 નવેમ્બરની વચ્ચે આ કેસનો ચુકાદો આવવાની સંભાવનાઓ છે. અયોધ્યા મામલે નિર્ણય લખવામાં વ્યસ્ત રહેવાથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ તેમનો વિદેશ પ્રવાસ રદ કર્યો છે. રંજન ગોગોઇને દક્ષિણ અમેરિકાના દેશ, મધ્ય પૂર્વ અને કેટલાક અન્ય દેશ યૂએઇ, બ્રાઝીલ અને અમેરિકાની યાત્રા કરવાની હતી. તેમની 18 ઓક્ટબરના રોજ દુબઇ જવાનું હતું. ત્યારબાદ ત્યાંથી કાહિરા, બ્રાઝીલ અને ન્યૂયોર્કમાં ઘણા કાર્યક્રમોમાં હાજર રહેવાનું હતું. તેઓ 31 ઓક્ટોબરના રોજ સ્વદેશ પરત ફરવાના હતા. સરકાર તરફથી તેમને આ પ્રવાસની સ્વીકૃતિ મળી હતી. પરંતુ અયોધ્યા કેસમાં વ્યસ્ત હોવાના કરાણે ચીફ જસ્ટિસે તેમનો વિદેશ પ્રવાસ રદ કર્યો છે.

આ વચ્ચે સુપ્રીમ કોર્ટના નોટિસ અનુસાર અયોધ્યા કેસની સુનાવણી થયા બાદ આજે બંધારણીય પીઠના સભ્યો (પાંચ જજ)ની ચેમ્બરમાં બેસશે. પાંચેય જજ આજે તેમના કોર્ટ રૂમમાં સુનાવણી કરશે નહીં. પાંચેય જજ અયોધ્યા કેસનો ચુકાદો લખવા પર એકબીજા સાથે વિચાર-વિમર્શ કરશે.

40 દિવસ સુધી ચાલી નિયમિત સુનાવણી
આ પહેલાં બુધવારે અયોધ્યા કેસ (Ayodhya Case)માં છ ઓગસ્ટથી ચાલી રહેલી નિયમિત સુનાવણી બધા પક્ષોની દલીલ પુરી થઇ ગઇ છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂકાદાને પેન્ડિંગ રાખી લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે 17 નવેમ્બર પહેલાં ચૂકાદો આવી શકે છે. આમ એટલા માટે કે કારણ કે 17 નવેમ્બરના રોજ ચીફ જસ્ટિસ રંજન ગોગાઇ નિવૃત થવાના છે. તે આ કેસની સુનાવણી માટે રચવામાં આવેલી સંવિધાન પીઠના મુખ્ય છે. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ (Ayodhya Case)ની 40મા દિવસની સુનાવણીમાં રામલલા વિરાજમાનના સીએસ વૈદ્યનાથને પોતાની દલીલોમાં જણાવ્યું કે, પૈગમ્બર મોહમ્મદે કહ્યું હતું કે, કોઈ મસ્જિદ એ જમીન પર જ બનવી જોઈએ જેનો તે માલિક છે. સુન્ની વકફ બોર્ડ આ જગ્યા પર પોતાનો માલિકી હક્ક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર નમાજ પઢવાને આધાર બનાવીને જમીન આપવાની માગણી કરી રહ્યું છે. 

અયોધ્યા કેસમાં પ્રથમ અરજીકર્તા સ્વર્ગીય કોપાલ સિંહ વિશારત તરફથી વરિષ્ઠ વકીલ રંજીત કુમારે કહ્યું કે, ઈમારતમાં મૂર્તિ રાખવાનો કેસ અભિરામ દાસ પર દાખલ થયો હતો. તેઓ અહીંના પુજારી હતા. તેઓ નિર્વાણી અખાડાના હતા. સેવાદાર હોવાનો નિર્મોહી અખાડાનો દાવો ખોટો છે. 

આ પહેલા આજે જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સ્પષ્ટ કર્યું હતું કે હવે કોઈ નવા દસ્તાવેજ પર વિચારણા કરાશે નહીં. હિન્દુ મહાસભા તરફથી હસ્તક્ષેપ સંબંધિત અરજીને ફગાવી દેતાં મુખ્ય ન્યાયાધિશે જણાવ્યું કે, દરેક સ્થિતિમાં આજે સાંજે 5 કલાકે આ કેસની સુનાવણી પૂર્ણ થઈ જશે. હવે બહુ થયું. ચીફ જસ્ટિસે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીને ચર્ચા કરવાની મંજુરી આપવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, તેમની અરજી આ કેસમાં સામેલ નથી, તેઓ માત્ર સુનાવણી સાંભળી શકે છે. કોર્ટે જણાવ્યું કે, અમે ગઈકાલે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, હવે કોઈ અન્યને સાંભળીશું નહીં. 

મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ફાડ્યો નકશો
સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને અત્યંત વાંધાજનક વ્યવહાર દેખાડ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ વિકાસ સિંહ દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવેલા નકશાની નકલો તેમણે ફાડી નાખી હતી. હકીકતમાં હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે વિવાદિત સ્થાન પર મંદિરની હાજરી સાબિત કરવા માટે પૂર્વ IPS કિશોર કુણાના પુસ્તક 'Ayodhya Revisited'નો ઉલ્લેખ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

રાજીવ ધવને તેને રેકોર્ડનો ભાગ નહીં જણાવીને વિરોધ કર્યો હતો. વિકાસ સિંહે ત્યાર પછી એક નકશો રજુ કર્યો અને તેની નકલ રાજીવ ધવનને આપી હતી. ધવને તેનો પણ વિરોધ કરતાં પોતાની પાસે રહેલી નકશાની નકલો ફાડવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ન્યાયાલયમાં સોપો પડી ગયો હતો. મુખ્ય ન્યાયાધિશે ધવનના આ વ્યવહાર પર નારાજગીની સ્ટાઈલમાં કહ્યું કે, તમે ઈચ્છો તો બધા જ પાનાં ફાડી શકો છો. ત્યાર પછી મુખ્ય ન્યાયાધીશે વાંધો ઉઠાવતા કહ્યું કે, જો આ પ્રકારનું જ વાતાવરણ રહ્યું તો તેઓ અત્યારે જ સુનાવણી પુરી કરી દેશે અને જે કોઈ પક્ષને પોતાની દલીલ રજુ કરવી હોય તેની પાસેથી લેખિતમાં લેવાશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news