અયોધ્યા વિવાદ: મધ્યસ્થતા પેનલે સુપ્રીમને સોપ્યો રિપોર્ટ, આગામી સુનાવણી 2 ઓગસ્ટે

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્દેશ આપ્યાં. ગુરુવારે મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલે મધ્યસ્થતા કમિટીને 31 જુલાઈ  સુધીનો સમય આપ્યો છે.

અયોધ્યા વિવાદ: મધ્યસ્થતા પેનલે સુપ્રીમને સોપ્યો રિપોર્ટ, આગામી સુનાવણી 2 ઓગસ્ટે

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વના નિર્દેશ આપ્યાં. ગુરુવારે મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટની બંધારણીય પેનલે મધ્યસ્થતા કમિટીને 31 જુલાઈ  સુધીનો સમય આપ્યો છે. ત્યારબાદ 2 ઓગસ્ટના રોજ બપોરે2 કલાકે કોર્ટમાં સુનાવણી હાથ  ધરાશે. એટલે કે 2 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે કે આ મામલાનો ઉકેલ મધ્યસ્થતાથી નીકળશે કે પછી રોજેરોજ સુનાવણી હાથ ધરાશે.

31 જુલાઈ સુધી થશે મધ્યસ્થતાની કોશિશ
અત્રે જણાવવાનું કે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદમાં એક પક્ષકારે ગોપાલ સિંહ વિશારદની અરજી પર સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટી પાસે રિપોર્ટ મંગાવ્યો. મધ્યસ્થતા કમિટીએ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજુ  કરી દીધો. આ પ્રોગ્રેસ રિપોર્ટને સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય પેનલે જોયો. બેન્ચે મીડિએશન કમિટીને 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. 

પક્ષકારે કોર્ટ પાસે સુનાવણીની માગણી કરી હતી
થોડા દિવસો પહેલા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે એક પક્ષકાર ગોપાલ સિંહ વિશારદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે મધ્યસ્થતા કમિટીના નામ પર વિવાદનો ઉકેલ આવે તેવા ઓછા અણસાર છે. કારણ કે તેમાં ફક્ત સમયની બરબાદી થઈ રહી છે આથી કોર્ટ મધ્યસ્થતા  કમિટી ખતમ કરીને પોતે આ મામલે સુનાવણી કરી ઉકેલ લાવે. 

8 માર્ચે મધ્યસ્થતા કમિટીની થઈ હતી રચના
8 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એફ એમ કલીફુલ્લા, ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરમ પંચુને મધ્યસ્થ નિયુક્ત કરાયા હતાં. કોર્ટે તમામ પક્ષોને વાત કરીને વિવાદનો સર્વમાન્ય ઉકેલ લાવવાની કોશિશ કરવા જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મધ્યસ્થતા માટે 8 સપ્તાહનો સમય છે. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા પેનલને 4 અઠવાડિયામાં પ્રગતિ રિપોર્ટ આપવા જણાવ્યું છે. મધ્યસ્થતા પેનલ ફૈઝાબાદમાં બેસશે. રાજ્ય સરકાર મધ્યસ્થતા પેનલને સુવિધાઓ આપશે. કોર્ટે કહ્યું કે મધ્યસ્થતા તરત શરૂ થાય. તેને શરૂ કરવામાં એક સપ્તાહથી વધુનો સમય ન લાગે. આ સાથે જ કોર્ટે કહ્યું કે વિવાદની પતાવટ વખતે મીડિયા રિપોર્ટિંગ થશે નહીં. 

જુઓ LIVE TV

ટાઈટલ વિવાદથી સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે
નોંધનીય છે કે રામ મંદિર માટે થનારા આંદોલન દરમિયાન 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને પાડી નાખવામાં આવી હતી. આ મામલે અપરાધિક કેસની સાથે સાથે દીવાની કેસ પણ ચાલ્યો હતો. ટાઈટલ વિવાદ સંબંધિત મામલો સુપ્રીમમાં પેન્ડિંગ છે. 

અલાહાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર, 2010ના રોજ અયોધ્યા ટાઈટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો, જેમાં વિવાદિત વિસ્તારને 3 ભાગમાં વહેંચવાનો આદેશ અપાયો હતો. જે જગ્યાએ રામલલ્લાની મૂર્તિ છે, ત્યાં રામલલ્લાને બિરાજમા કરવામાં આવે. સીતા રસોઈ અને રામ ચબૂતરો નિર્મોહી અખાડાને આપવામાં આવે અને એક તૃતિયાંશ જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવે. ત્યાર બાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 

અયોધ્યાની વિવાદિત જમીન પર રામલલ્લા બિરાજમાન અને હિન્દુ મહાસભાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીજી તરફ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે પણ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદા સામે અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ અન્ય પક્ષકારોએ પણ અરજીઓ લગાવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news