પાણીપુરીનું મહાભારત કનેક્શનઃ દ્રોપદીએ પાંડવો માટે જે ડીશ બનાવી તે હતું દુનિયામાં પાણીપુરીનું પહેલું વર્ઝન

સ્વાદના રસિયાઓ અને ખાસ કરીને મહિલાઓ બીજીકોઈ વાતે સંમત થાય કે ન થાય, એક વાતે ચોક્કસ સંમત થાય, કે જેણે જીવનમાં પાણીપુરી નથી ખાધી, તેણે ખરેખર જીવનમાં કંઈ ખાધુ જ નથી. કેટલાક લોકોનું તો માનવુ છે કે, મોંઢામાં મૂકતાની સાથે જ કચર...કચર અવાજ સાથે ફૂટી જતી અને તીખા-મીઠા પાણીથી જીભની સાથે આંખ-કાન-નાક એમ દરેક ઈન્દ્રિયને સતેજ કરતી પાણીપુરીને રાષ્ટ્રીય વાનગીનું બિરુદ આપી દેવુ જોઈએ. રિસાયેલી પત્ની કે ગર્લફ્રેન્ડને મનાવવી હોય, કે પછી આખા દિવસનો થાક ઉતારવો હોય, કે મિત્રોને સસ્તી અને બેસ્ટ ટ્રીટ આપવી હોય તો દરેક માટે વન એન્ડ ઓનલી જગ્યા છે, અને એ છે પાણીપુરીની લારી. પાણીપુરી વેચતો ફેરિયો પણ જેમ પડીયામાં એક પછી એક શાનદાર રીતે પકોડી સર્વ કરે, ત્યારે તો સ્વર્ગનું સુખ મેળવ્યા જેવી અનુભૂતિ થાય છે. લગ્ન પ્રસંગમાં સૌથી વધુ ભીડ પણ પકોડીના કાઉન્ટર પર જ હોય છે.
 

પાણીપુરીનું મહાભારત કનેક્શનઃ દ્રોપદીએ પાંડવો માટે જે ડીશ બનાવી તે હતું દુનિયામાં પાણીપુરીનું પહેલું વર્ઝન

મોનાલી સોની, અમદાવાદઃ પાણીપુરી એવુ સ્ટ્રીટ ફૂડ છે, જે રંકથી લઈને રાજા સુધી એટલે કે તમામની પહેલી પસંદ છે. આ વાતનો પુરાવો તમને દરેક શહેર, ગલી, મહોલ્લા, ચોક-બજારમાં જોવા મળશે. પાણીપુરી કેટલી ફેમસ છે, તેનો અંદાજો તમે પાણીપુરીની લારી પર ઉમટતી ભીડ પરથી લગાવી શકશો. કેટલીક જગ્યા પર પકોડી ચણા બટાકામાં, તો ક્યાંય  રગડામાં આપવામાં આવે છે. પહેલી પાણીપુરી ખાવામાં જેટલી ચટાકેદાર છે, તેટલો જ મજેદાર તેનો ઈતિહાસ છે.

પાણીપુરીનું મહાભારત સાથેનુું કનેક્શન
એક પ્રાચીન દંતકથા મુજબ પાણીપુરીનું મહાભારત સાથે કનેક્શન છે. દ્રુપદ રાજાની પુત્રી એટલે કે દ્રોપદીનાં લગ્ન જ્યારે પાંડવો સાથે થયા, ત્યારે રાજમાતા કુંતીને નવવધુ દ્રોપદીની પરીક્ષા કરવાનું મન થયું. લાડકોડમાં ઉછરેલી દ્રોપદીમાં પાકકળા અંગે કેટલી સમજ છે, તે ચકાસવા માટે કુંતીએ થોડા શાકભાજી અને લોટ મોકલાવ્યો. સાથે જ એક સંદેશો મોકલાવ્યો કે, આ સમગ્રીનો ઉપયોગ કરીને તે એવી વાનગી બનાવે, જે સ્વાદિષ્ટ હોય અને પાંડવોનું પેટ ભરાય તેવી હોય. ત્યારે દ્રોપદીએ બટાકાની અંદર સૂકા મસાલા મિક્સ કરીને એક માવા જેવુ તૈયાર કર્યું. અને મોકલાવેલા લોટમાંથી નાના ગોળ આકારની પૂરી બનાવી દીધી. દ્રોપદીએ પુરીની અંદર શાકનાં માવાને મિક્સ કરીને પાંડવો સામે નવી ડીશ પ્રસ્તુત કરી. અને તે ડીશ હતી પાણીપુરીનું દુનિયાનું પહેલું વર્ઝન. આ ડીશ પાંડવોને ખૂબ પસંદ પડી, અને કુંતી પણ પોતાની પુત્રવધુની પાકકળા પર પ્રસન્ન થઈ ગયા.

panipuricover.gif

પાણીપુરી વિશે શું ગ્રીક અને ચીની લોકોની માન્યતા
પાણીપુરી સાથે બીજી પણ એક માન્યતાનો ઉલ્લેખ ગ્રીક ઈતિહાસકાર Megasthenes અને ચીની બૌદ્ધ યાત્રી Faxian Xuanzangની પુસ્તકમાં છે. પુસ્તક મુજબ સૌપ્રથમવાર પાણીપુરીની શરૂઆત ગંગા નદીના કિનારે વસેલા મગધ સામ્રાજ્યથી થઈ છે. આ સમગગાળા દરમિયાન પિઠ્ઠો, તિલવા, ચેવડો જેવી અન્ય ખાદ્ય વસ્તુઓ પણ અસ્તિત્વમાં આવી. ત્યારનું મગધ આજે બિહાર રાજ્યના નામે ઓળખાય છે. 

પાણીપુરીનું મુગલ કનેક્શન
પાણીપુરીના અસ્તિત્વ સાથે જોડાયેલી ત્રીજી માન્યતા દિલ્લી સાથે કનેક્શન ધરાવે છે. જૂની દિલ્લીના લાલકિલ્લાની આસપાસનો વિસ્તાર ચાંદની ચોકના નામે ઓળખાય છે. બાદશાહ શાહજહાંના સમયમાં આ જગ્યા પરથી નહેર પસાર થતી હતી. આ નહેરના માધ્યમથી યમુના નદીનું પાણી શહેર સુધી પહોંચાડવામાં આવતુ હતું. આ નહેર તમામ લોકોને પીવાનું પાણી પુરુ પાડતી હતી. એકસમયે કોઈ કારણોસર નહેરનું પાણી ગંદુ થઈ ગયું. અને લોકો બીમાર પડવા લાગ્યા. ત્યારે શાહી હાકીમે બાદશાહ શાહજહાંની પુત્રી રોશનઆરાને બિમાર લોકોની સારવાર માટે કોઈ નુસ્ખો તૈયાર કરવાનું કહ્યું. ત્યારે રોશનઆરાએ લોટમાંથી નાના આકારની પુરી બનાવી અને હિંગ, ફુદિના, સૂંઠ, જીરાયુક્ત એક ચટાકેદાર પાણી તૈયાર કર્યું. પાણી અને પુરીનું બેલેન્સ જાળવવા માટે રોશનઆરાએ શાકભાજી બનાવી. આ નુસ્ખાનો પ્રયોગ કર્યા બાદ લોકો ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા. અને કેટલાક સ્વાદના રસિયાઓએ પુરીની અંદર શાકભરીને તેને પાણી સાથે ખાવા લાગ્યા. શહેઝાદી રોશનઆરાની તરકીબ કામ આવી ગઈ. અને લોકોને નવું વ્યંજન મળી ગયું.

અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ
વાત જ્યારે સ્ટ્રીટ ફૂડની કરવામાં આવે, ત્યારે સૌથી પહેલી યાદ પાણીપુરીની આવે. જેનું નામ સાંભળતાની સાથે જ મોંઢામાં પાણી આવવા લાગે છે, તેવી પાણી જ્યારે હકીકતમાં મોંઢામાં મૂકીએ અને જે કચર કચર અવાજ આવે, ત્યારે દેવોને પણ દુર્લભ સુખ મેળવ્યા જેવી અનુભૂતિ થાય છે. આખા ભારતમાં અલગ અળગ નામથી ઓળખાતી પાણીપુરી અમીર-ગરીબ સૌના હૈયે વસી ગઈ છે. સામાન્ય રીતે પાણીપુરી અથવા તો ગોલગપ્પાના નામથી ઓળખાતી આ પકોડીને ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ અને બિહારમાં ગુપચુપના નામે ઓળખવામાં આવે છે. તો મધ્યપ્રદેશમાં પકોડી ફુલ્કીના નામે ઓળખાય છે. મહારાષ્ટ્રમાં પાની પૂરી બતાશા, તો ગુજરાતમાં પાણીપુરીના નામે ઓળખાય છે. બંગાળ અને બાંગ્લાદેશમાં પકોડીને ફુચકાના નામે ઓળખવામાં આવે છે. લખનઉંમાં પાંચ અલગ અલગ ટેસ્ટમાં મળવાના કારણે તેને પાંચ સ્વાદનાં બતાશેનાં નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં રોટલીને ફુલ્કા કહેવામાં આવે છે. ત્યારે નેપાળમાં પકોડીને ફુલ્કા કહેવામાં આવે છે. મધ્યપ્રદેશમાં ટિક્કીના નામે પકોડી પ્રખ્યાત છે.

સમયની સાથે પાણીપુરીમાં આવ્યો બદલાવ
સમયની સાથે બદલાવવુ પ્રકૃતિનો નિયમ છે. આ નિયમની સાથે ચાલતા ચાલતા પકોડીએ પણ પોતાના સ્વાદમાં પરિવર્તન લાવ્યુ છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કેટલીક જગ્યાએ સેલ્ફ સર્વિસ પાણીપુરી મળે તેવા અદ્યતન ખુમચા શરૂ થયા છે. જ્યાં પકોડી મૂકો એટલે તેની જાતે માવો અને પાણી ભરાઈ જાય. પાણીપુરીનું માર્ગરિટા, ચોકલેટ વર્ઝન યુવાઓનો પહેલી પસંદ બની ગયું છે. આઈસક્રીમ પાણીપુરી, પાણીપુરી શોટ્સ અને ફાયર પાણીપુરીને પણ લોકોના દિલ પર રાજ કરવામાં સફળતા મળી છે. 

પાણીપુરીના ફાયદા
આપણા સાહિત્યમાં ભોજનનાં પાંચ પ્રકાર છે. ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચેષ્ય અને પેય. ભોજનનાં આ પાંચેય પ્રકારનો સુમેળ સંયોગ એટલે કે પાણીપુરી. ભોજનનાં છ પ્રકારનાં રસનો એકસાથે સ્વાદ એટલે પાણીપુરી. જીરા, આદુ, લીંબુ, ફુદિના, કોથમીરયુક્ત પાણીથી તૈયાર થયેલા ગોલગપ્પામાં અનેક પરિવર્તન આવ્યા છે. પરંતુ આજદિન સુધી જે નથી બદલાયું તે છે પકોડીનું ચટપટુ પાણી. સ્ટ્રીટ ફૂડ હોવાની સાથે સાથે પાણીપુરી કેટલાક અંશે ફાયદાકારક પણ છે. તમે આ વાત જાણીને થોડા આશ્ચર્યચકિત થઈ જશો, પરંતુ એ હકીકત છે કે, પાણીપુરી જે સ્વાદમાં ચટપટી લાગે છે, તેને ખાવાથી મોંઢામાં પડતા છાલાથી રાહત મળે છે. પકોડીનું હિંગવાળુ પાણી એસિડિટી અને કબજિયાતમાંથી રાહત અપાવે છે. આ સિવાય હાઈજેનિક રીતે બનાવેલુ પકોડીનું પાણી ગેસ, પિત્ત, કફ, પેટમાં બળતરા, ખાટા ઓડકારાથી પણ રાહત અપાવે છે. પાણીપુરી હાઈ કેલરી ફૂડની કેટેગરીમાં આવતુ સ્ટ્રીટફૂડ છે. એક પ્લેટમાં આવતી 4થી 6 નંગ પાણીપુરી 100 કેલરી પૂરી પાડે છે. એટલા માટે વજન ઉતારવા ઈચ્છતા લોકોને પાણીપુરીથી થોડુ અંતર જાળવી રાખવુ જ હિતાવહ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news