48 વર્ષના થયા 'પ્રિન્સ ઓફ કોલકત્તા' સૌરવ ગાંગુલી, જાણો તેમના વિશે કેટલિક મહત્વની વાતો


પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે 48મો જન્મદિવસ છે. 8 જુલાઈ, 1972માં જન્મેલા ગાંગુલી ભારતીય ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. તેઓ હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ છે. 
 

48 વર્ષના થયા 'પ્રિન્સ ઓફ કોલકત્તા' સૌરવ ગાંગુલી, જાણો તેમના વિશે કેટલિક મહત્વની વાતો

નવી દિલ્હીઃ આજે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)નો આજે 48મો જન્મદિવસ છે. 'પ્રિન્સ ઓફ કોલકત્તા અને રોયલ બંગાલ ટાઇગર' (Prince of Kolkata' and 'Royal Bengal Tiger)ના નામથી જાણીતા ગાંગુલીએ પોતાના કરિયરમાં અનેક સિદ્ધિઓ મેળવી હતી. ગાંગુલીની કેપ્ટનશિપ અને બેટિંગ સ્ટાઇલને આજે પણ યાદ કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટને નવી ઓળખ અપાવવામાં ગાંગુલીની મહત્વની ભૂમિકા છે. 

સદીથી થઈ ક્રિકેટના સફરની શરૂઆત
પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલી (131 રન)એ 1996માં લોર્ડસના ઐતિહાસિક મેદાન પર શાનદાર સદીની પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી. 113 ટેસ્ટ મેચોમાં ગાંગુલીએ 7212 અને 311 વનડે રમ્યા બાદ તેમણે 11363 રન બનાવ્યા હતા. ભાહરત તરફથી વર્લ્ડકપમાં સૌથી મોટો સ્કોર 183 તેમના નામે છે. 

ભારતની બહાર સદી
ગાંગુલીએ વનડેમાં કુલ 22 સદી ફટકારી, જેમાં 18 સદી તેણે ભારતની બહાર ફટકારી છે. કેપ્ટનશિપની વાત કરીએ તો વિદેશી જમીન પર તેની આગેવાનીમાં ભારતે 28 ટેસ્ટ મેચ રમી, જેમાં 11 જીત મેળવી હતી. ગાંગુલી વિશે ખુબ ઓછા લોકો જાણતા હશે કે તે મુખ્યરૂપથી જમણેરી બેટ્સમેન હતા, પરંતુ તેઓ ડાબા હાથના બેટ્સમેન તે માટે બન્યા જેથી પોતાના ભાઈના ક્રિકેટનો સામાન ઉપયોગ કરી શકે. 

ગાંગુલીની આગેવાનીમાં સફળતા
વર્ષ 2000માં મેચ ફિક્સિંગ પ્રકરણ બાદ જ્યારે ભારતીય ક્રિકેટ સંકટમાં હતુ ત્યારે ગાંગુલીએ ટીમની કમાન સંભાળી અને ટીમને પણ સંભાળી હતી. દાદા કેપ્ટન બન્યા તો ટીમ ટેસ્ટ રેન્કિંગમાં 8માં સ્થાને હતી. જ્યારે તેઓ કેપ્ટનશિપમાંથી નિવૃત થયા તો ભારત બીજા સ્થાને હતું. 

ENG vs WI: આજથી ક્રિકેટના નવા યુગની શરૂઆત, ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ રચશે ઈતિહાસ

પાકિસ્તાન વિરુદ્ધ ફટકારી બેવડી સદી
ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી બાદ વર્ષ 2007માં પાકિસ્તાન વિરુદ્ધ 239 રન બનાવ્યા હતા. બેંગલુરૂમાં રમેલી આ ઈનિંગ તેમના આંતરરાષ્ટ્રીય કરિયરની એકમાત્ર બેવડી સદી છે. 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુરમાં તેમણે પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી. 

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંયુક્ત વિજેતા
2000માં કેન્યામાં રમાયેલો આઈસીસી નોકઆઉટ કપ ગાંગુલીની આગેવાનીમાં પ્રથમ મોટી ટૂર્નામેન્ટ હતી. તેની ફાઇનલમાં ક્રિસ ક્રેન્સની શાનદાર ઈનિંગને કારણે ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 2002માં શ્રીલંકામાં આયોજીત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું સંયુક્ત ટાઇટલ જીતીને ભારતે ગાંગુલીની આગેવાનીમાં પ્રથમ આઈસીસી ટાઇટલ જીત્યું હતું. 

લોર્ડસમાં કાઢ્યું ટીશર્ટ
2002ના નેટવેસ્ટ ફાઇનલને કોણ ભૂલી શકે છે. ભારતીય ટીમે 146 રન પર 5 વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડના સ્કોર 325ને પાર કર્યો હતો. ભારતની આ જીતમાં યુવા ચહેરા મોહમ્મદ કેફ અને યુવરાજ સિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ગાંગુલીએ લોર્ડસની બાલકનીમાં ટીશર્ટ કાઢીને ફેરવ્યું હતું. 

વિશ્વકપની તે હાર
2003માં ગાંગુલીની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વકપ ફાઇનલમાં પહોંચી હતી. 1983 બાદ પ્રથમવાર ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ફાઇનલમાં તેનો સામનો અજેય રહેનારી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે હતો. ફાઇનલમાં ભારતે 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ભારતીય ખેલ પ્રેમિઓના મનમાં સૌરવ ગાંગુલી અને તેની ટીમ પ્રત્યે સન્માનમાં વધારો થયો હતો. 

હાલ બોર્ડ પ્રમુખ છે ગાંગુલી
પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલી હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ છે. તે પહેલા તેઓ બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહી ચુક્યા છે. ચર્ચા તે પણ છે કે તે આઈસીસીના ચેરમેન બનવાની રેસમાં સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news