ટ્રેનમાં કેટલા સામાન સાથે પ્રવાસ કરી શકાશે એ વિશે આવી ગયો છે નિયમ, વધારે લગેજ હશે તો...

જે લોકો ટ્રેનમાં વધારે સામાન સાથે પ્રવાસ કરે છે તેમણે આ સમાચાર ખાસ વાંચવા જોઈએ

ટ્રેનમાં કેટલા સામાન સાથે પ્રવાસ કરી શકાશે એ વિશે આવી ગયો છે નિયમ,  વધારે લગેજ હશે તો...

નવી દિલ્હી : જે લોકો ટ્રેનમાં વધારે સામાન સાથે પ્રવાસ કરે છે તે્મણે આ સમાચાર ખાસ વાંચવા જોઈએ. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે નિયત સીમા કરતા વધારે સામાન સાથે લઈ જવાનું ભારે પડી શકે છે. હવે પ્લેનની જેમ ટ્રેનમાં પણ નિશ્ચિત હદ કરતા વધારે સામાન લઈ જશે એને દંડ લાગી શકે છે. રેલવેના એક અધિકારીએ માહિતી આપી છે કે વધારે સામાનને લગતી અનેક ફરિયાદ પછી હવે ભારતીય રેલવેએ આ મામલે કડક અભિગમ અપનાવાનું નક્કી કર્યું છે. 

'આ નિયમ અંતર્ગત જે પ્રવાસી વધારે સામાન સાથે ઝડપાશે તેણે દંડ પેટે નિર્ધારીત રકમથી છ ગણી વધારે રકમ આપવી પડશે. નિયમ પ્રમાણે સ્લિપર ક્લાસ અને સેકન્ડ ક્લાસમાં વધારાના ચાર્જ વગર ક્રમશ: 40 કિલો અને 35 કિલો સામાન લઈ જઈ શકાય છે. જો તમારે વધારે સામાન લઈ જવો હોય તો પાર્સલ કાર્યાલયમાં ફી ભરીને  ક્રમશ: 80 કિલો અને 70 કિલો સામાન લઈ જઈ શકાય છે. આ વધારાનો સામાન માલગાડીમાં રાખવામાં આવે છે. 

રેલવે બોર્ડના જનસંપર્ક વિભાગના ડિરેક્ટર વેદ પ્રકાશે માહિતી આપી છે કે જો પ્રવાસી નિશ્ચિત મર્યાદા કરતા વધારે સામાન સાથે પકડાશે તો તેણે દંડ પેટે નક્કી ભાડા કરતા છ ગણી વધારે રકમ ચૂકવવી પડશે. આ પગલું યાત્રીઓની સુવિધા વધારવા તેમજ ડબાની અંદર ભીડ પર કાબૂ રાખવા માટે લેવામાં આવ્યું છે. અધિકારીએ માહિતી આપી છે કે પ્રવાસી દ્વારા લઈ જવાતા સામાન પર નજર રાખવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. 

અધિકારીએ ઉદારણ આપતા જણાવ્યું છે કે કોઈ પ્રવા્સી 80 કિલો સામાન લઈને 500 કિલોમીટરનો પ્રવાસ કરે તો વધારાના 40 કિલો વજન માટે 109 રૂ. ચૂકવવા પડતા હોય છે. જોકે એ આ રકમ ચૂકવ્યા વગરના સામાન સાથે ઝડપાય તો તેણે દંડ પેટે 654 રૂ. ચૂકવવાની તૈયારી રાખવી પડશે. ફર્સ્ટ એસીમાં પ્રવાસી 70 કિલો વજન સાથે ફ્રીમાં પ્રવાસ કરી શકે છે અને વધારેમાં વધારે 150 કિલો જેટલું વજન લઈ જઈ શકે છે પણ 70 કિલો ઉપરાંતના વધારાના 80 કિલો વજન માટે અલગથી પૈસા ચૂકવવા પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news