અમદાવાદમાં ભગવાનની 146મી રથયાત્રા: દર વર્ષ કરતા આ પ્રમાણે નીકળશે નવા રંગરૂપ સાથે રથયાત્રા

અમાસના દિવસથી લઈ ત્રીજના દિવસ સુધીના ભગવાનના અલગ અલગ પ્રસંગ માટેના પહેરવેશ આજે ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યા છે. અલગ અલગ યજમાનો દ્વારા આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં ભગવાનની 146મી રથયાત્રા: દર વર્ષ કરતા આ પ્રમાણે નીકળશે નવા રંગરૂપ સાથે રથયાત્રા

ઝી બ્યુરો/અમદાવાદ: 20 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146ની રથયાત્રા યોજાશે. રથયાત્રાને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જમાલપુર જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે આજે મંદિરમાં ભગવાનનું મામેરું મંદિર તરફથી ગોઠવવામાં આવ્યું છે. 

અમાસના દિવસથી લઈ ત્રીજના દિવસ સુધીના ભગવાનના અલગ અલગ પ્રસંગ માટેના પહેરવેશ આજે ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યા છે. અલગ અલગ યજમાનો દ્વારા આ વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, સાથે જ આજે વાજતે ગાજતે નિજ મંદિરમાં લાવવામાં આવ્યા અને ભક્તોના દર્શન માટે મુકવામાં આવ્યા છે. મામેરામાં ત્રણ નાના ચાંદીના મુઘટ મુકવામાં આવ્યા છે, અયોધ્યા રામલલા માટે મોકલવામાં આવશે.

ભગવાનના મામેરામાં આ વસ્તુઓ અપાઇ
રથયાત્રામાં મામેરાનું મહત્વ વધુ હોય છે. આ વર્ષે ભગવાનને મામેરામાં ત્રણેય ભગવાનના વાઘા, સોનાના ઢોળ ચડાવેલા હાર, સુભદ્રાજીને પાર્વતી શણગાર આપવામાં આવ્યો છે. પાર્વતી શણગારમાં લિપસ્ટિક, કાજલ, ચાંદલા, બેંગલ્સ, નેઇલ પોલીસ, શૃંગારની નાનીથી લઈ મોટી તમામ સામગ્રીનો સમાવેશ થાય છે. ભગવાનને મોરપિચ્છ પસંદ હોવાથી મોરપિચ્છ થીમનાં વાઘા ઘરેણાં તૈયાર કરવામાં આવ્યા છે.

146ની રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આજે એક પત્રકાર પરિસદ કરવામાં આવી હતી, જેમાં સમગ્ર રથયાત્રાની રૂપરેખા આપવામાં આવી છે. રથયાત્રા પૂર્વે મંદિરમાં ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 18 તારીખે રવિવારે ભગવાનનો નિજ મંદિરમાં ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે, ત્યારબાદ નેત્રોત્સવની વિધિ સવારે 8 વાગે યોજાશે. સોમવારે 9.30 વાગે ધ્વજારોહણ વિધિ પણ કરવામાં આવશે. 

નેત્રોત્સવનાં દિવસે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહેશે. સંતોનું સન્માન કરવા માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર રહેશે. 19 તારીખ સોમવારે સવારે 10 વાગે સોનાવેષનાં દર્શન અને ગજરાજ પૂજન કરવામાં આવશે. 10.30 વાગે મંદિરના પ્રાંગણમાં ત્રણે રથની પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે. સોમવારે સાંજે સીએમ દ્વારા વિશિષ્ટ પૂજા કરવામાં આવશે. મંગળવાર રથયાત્રાના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહશે અને CM ભૂપેન્દ્ર પટેલ પહીન વિધિ કરશે. 

પ્રસાદીની તૈયારી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમાલપુર જગન્નાથ મંદિર તરફથી અયોધ્યામાં રામમંદિર માટે મુગટ મોકલવામાં આવશે. 20 જૂને યોજાનારી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિ જાંખી દર્શાવતી ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજાવાળા જોડાશે. 2000થી વધુ સાધુ-સંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.

મંગળવારે સવારે 7 વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે પ્રસ્થાન
અષાઢી સુદ બીજના દિવસે મંગળવારે સવારે 3.45 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે અને ચાર વાગ્યે ભગવાનની મંગળા આરતી યોજાશે. 4:30 વાગ્યે ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. ભગવાનની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ હાજર રહેશે. ત્યારબાદ સવારે 6:00 વાગ્યે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે. 7.05 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી ભગવાનની રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news