'મારા ભૂતકાળ સાથે મારા પુત્રને લેવાદેવા નથી, એ દારૂ નથી પીતો' જાણો નબીરાના પિતાએ બીજું શું કહ્યું

Ahmedabad Accident Case Latest Update: પુરપાટ ઝડપે કાર ચલાવીને અમદાવાદના એસજી હાઈવે પર 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, મારો છોકરો બહુ સીધો છે, તેને કોઈ વ્યસન નથી. એ ક્યારેય ફાસ્ટ ગાડી પણ ચાલવતો નથી. છતાં અકસ્માત થયો એના માટે સોરી. જે કરવું પડે એ હું કરીશ.

'મારા ભૂતકાળ સાથે મારા પુત્રને લેવાદેવા નથી, એ દારૂ નથી પીતો' જાણો નબીરાના પિતાએ બીજું શું કહ્યું

Ahmedabad Accident Case Latest Update/ગૌરવ પટેલ, અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેને જોવા માટે લોકોના ટોળા ભેગા થયા હતા. આ દરમિયાન એક જગુઆર કાર ચાલકે લોકોને અડફેટે લેતા એક પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોના થયા છે. રાત્રે એક વાગ્યાની આસપાસ એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર ડમ્પર અને થાર ગાડીનો અકસ્માત થયો હતો. જેને જોવા માટે લોકો ભેગા થયા હતા. તે સમયે જગુઆર કારે લોકોને અડફેટે લઈ લીધા હતા. ઘટના બાદ સૌથી પહેલાં ઝી 24 કલાકની ટીમ આરોપીના ઘરે પહોંચી હતી. સમગ્ર મામલે ઝી24કલાકની ટીમે આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે એક્સક્લુસિવ વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છેકે, અકસ્માત બાદ મુખ્ય આરોપી અને કાર ચાલક હાલ તથ્ય પટેલ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ડોક્ટરની નીગરાનીમાં સારવાર હેઠળ છે.

આરોપી કાર ચાલતના પિતા સાથે એક્સકલુસિવ વાતચીતઃ
ઝી24કલાકના સંવાદદાતા ગૌરવ પટેલે અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને જયારે આ ઘટના અંગે સવાલો કર્યા ત્યારે તેમણે આખી ઘટના અંગે વિગતવાર વાતચીત કરી હતી. આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, સૌથી પહેલાં રાત્રે મારી પત્ની પર કોઈનો ફોન આવ્યો હતોકે, તથ્યનો અકસ્માત થયો છે. એટલે મને વાત મળી કે મારા છોકરાને ત્યાં ટોળાએ ઘેરી લીધો છે. હું તાત્કાલિક ત્યાં પહોંચ્યો. લોકો મારા છોકરા સાથે હાથાપાઈ કરી રહ્યાં હતા એટલે હું ત્યાંથી મારા દિકરાને લઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યો. ત્યાંથી નીકળતી વખતે મેં સમગ્ર મામલે સેટેલાઈટ પીઆઈને કોલ કરીને પણ સમગ્ર માહિતી આપી હતી. મેં આ કેસમાં પોલીસને પુરતો સહકાર આપવાની પણ વાત કરી હતી.

તથ્ય સાથે કારમાં કોણ કોણ હતું?
પુરપાટ ઝડપે કાર ચલાવીને લોકોને કચડી નાંખનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, તથ્ય ઘણીવાર આ રીતે પોતાના મિત્રો સાથે બહાર ફરવા જતો હોય છે. એ રીતે કાલે પણ ગયો હતો. તેની સાથે તેની ગાડીમાં બીજા ચાર-પાંચ છોકરા છોકરીઓ પણ હતાં. એ બધા એના ગ્રૂપના ફ્રેન્ડ છે. એનું 20થી વધારે મિત્રોનું ગ્રૂપ છે એટલે કોણ હતા એમને હું ઓળખતો નથી. 
 
શું અકસ્માત સમયે કારની સ્પીડ 160ની હતી?
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, હું મારા દિકરાને ઓળખું છું એના પરથી ખબર છે કે અકસ્માત સમયે 100 થી વધારેની સ્પીડ નહોંતી. મેં તેના બીજા મિત્રોને પૂછ્યું પણ હતું તેમણે જણાવ્યુંકે, ના અંકલ આટલી બધી સ્પીડ નહોંતી. મારા અંદાજે 85 થી 90 થી વધારે સ્પીડ હતી જ નહીં. એની કારમાં ઓવર સ્પીડનું બર્ઝર વાગે એનાથી વધારે સ્પીડમાં એ ક્યારેય ગાડી ચલાવતો જ નથી. એટલે 160થી વધારે સ્પીડમાં કાર ચાલતી હતી એ વાત સાવ ખોટી છે. આ પહેલાં તથ્યનો કોઈવાર કોઈ અકસ્માત થયેલો નથી. એ ગાડી બહુ ફાસ્ટ ચલાવતો જ નથી.

શું અકસ્માત સમયે તથ્યએ કોઈ નશો કર્યો હતો?
તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, મારો દિકરો સાવ સીધો-સાદો છે. તેણે પોતાની જિંદગીમાં આજ સુધી ક્યારેય પાન-મસાલો કે સીગારેટ-બીડી પણ પીધાં નથી. દારૂ પીવાનો તો સવાલ જ નથી આવતો. તથ્યએ આજ સુધી ક્યારેય કોઈ નશો કર્યો નથી. તથ્યને કોઈપણ જાતનું કોઈ વ્યસન નથી. એના ગ્રૂપમાં પણ મોટાભાગે કોઈ એવા વ્યસનવાળા લોકો નથી. 

શું દિકરાને બચાવવા તમે લોકોને બંદૂક બતાવી ડરાવ્યાં હતા?
કાર ચાલક આરોપી તથ્યના પિતા અને જાણીતા બિલ્ડર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, એ બધી વાતો ખોટી બનાવેલી છે. મીડિયા આખી વાતને શું સ્વરૂપ આપે એ મને ખબર નથી. પણ જ્યારે મને અકસ્માતની જાણ થઈ ત્યારે તરત હું રાત્રે ત્યાં સ્થળ પર દોડી આવ્યો હતો. હું ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે ત્યાં 500 લોકોનું ટોળું હતું. પબ્લિક મારા છોકરાને મારી રહી હતી. તેથી મેં એને છોડાવ્યો. તથ્યને પણ ઈજા પહોંચી હતી. ત્યારે હું પબ્લિક વચ્ચેથી તેને લઈને હોસ્પિટલ લઈ ગયો. મેં કોઈને ઘન કે બંદૂક બતાવી નથી. 

મારા ભૂતકાળ સાથે મારા પુત્રને કોઈ લેવાદેવા નથીઃ પ્રજ્ઞેશ પટેલ
9 લોકોની ગાડી નીચે કચડીને મોતને ઘાટ ઉતારનાર તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, મારો દિકરો સાવ સીધો સાદો છે. તેને કોઈ વ્યસન પણ નથી. તે ગાડી પણ ધીમે જ ચલાવે છે. મારા ભૂતકાળ સાથે મારા દિકરાને કોઈ લેવાદેવા નથી. અને મારા ભૂતકાળ વિશે હું અત્યારે કોઈ વાત કરવા માંગતો નથી. મારો દિકરો તથ્ય કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. કોલેજ ઓછો જાય છે. ઘરેથી જ અભ્યાસ કરે છે. ઉલ્લેખનીય છેકે, વર્ષ 2020માં રાજકોટમાં થયેલાં ગેંગરેપમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ પણ આરોપી તરીકે સામેલ હતા. જોકે, તેમણે આ મુદ્દે વાત કરવાનો ઈનકાર કરી દીધો હતો.

 

મૃતકોના પરિવાર વિશે આરોપીના પિતાએ શું કહ્યું?
આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, કાયદા પ્રમાણે જે થાય એ હું કરવા તૈયાર છું. હું કાયદા મુજબ બધા સહકાર આપીશ. મારો છોકરો અને એના મિત્રો પણ પોલીસ સમક્ષ હાજર થશે. મારા છોકરાને પણ થોડું વાગ્યું છે. જોકે, જે અકસ્માતમાં મૃત્યુ પામ્યાં છે એ બહુ ખોટું થયું છે. એના માટે સોરી. હું આ ઘટનામાં ભોગ બનનાર દરેક વ્યક્તિના પરિવાર સાથે રહેવા તૈયાર છું. 9 લોકોનો મોત થયા છે એમના પરિવાર જે કહેશે એ કરવા તૈયાર છું. હું બધો દંડ ભોગવવા તૈયાર છું. એ લોકો મને મારવા માંગતા હોય તો પણ હું માર ખાવા પણ તૈયાર છું. જરૂરી સહાય આપવા પણ હું તૈયાર છું

વિસ્મય જેવો જ કેસ છે તો તમે આગળ શું કરશો?
આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલે જણાવ્યુંકે, વિસ્મયનો હીટ એન્ડ કેસ મને ખ્યાલ છે. હું પણ મારા દિકરા માટે જરૂર પડશે તે બધુ જ કરીશ. કાયદાકિય પ્રક્રિયાને ફોલો કરીશ. તપાસમાં સહકાર આપીશ. કાયદો જે પણ નક્કી કરશે તે માનવા હું તૈયાર છું. નવ લોકોના મોત થયા છે એ કરુણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news