નવરાત્રિમાં ગરબા રમતા પહેલા સાચવજો, ગરબા પ્રેક્ટિસમાં બે યુવકોના હાર્ટએટેકથી થયા મોત

Navratri 2023 : કોરોના બાદ ગુજરાતમાં હાર્ટએટેકના કિસ્સા વધ્યા... અત્યાર સુધી જામનગર અને જુનાગઢના બે યુવકોનું ગરબામાં પ્રેકિટસ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું

નવરાત્રિમાં ગરબા રમતા પહેલા સાચવજો, ગરબા પ્રેક્ટિસમાં બે યુવકોના હાર્ટએટેકથી થયા મોત

Heart Attack : ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રિ. આ દિવસની તો ગુજરાતીઓ કાગડોળે રાહ જોઈને બેસ્યા છે. ગુજરાતમાં અત્યારથી જ નવરાત્રિનો થનગનાટ શરૂ થઈ ગયો છે. લોકોએ તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી, તો ગરબા પ્રેક્ટિસ માટે ડાન્સ ક્લાસ ધમધમતા થઈ ગયા છે, લોકોનું શોપિંગ અત્યારથી જ શરૂ થઈ ગયું છે. ત્યારે આ વચ્ચે ટેન્શનવાળા સમાચાર સામે આવી રહ્યાં છે. નવરાત્રિમાં ગરબા રમતા સમયે સાવધાની રાખવાની જરૂરી પડી છે. કારણ કે, નબળા હૃદયના લોકો પર આ નવરાત્રિએ મોટી ઘાત છે. જો તમારું દિલ કમજોર છે કે તમને હાર્ટની બીમારી છે તો આ વર્ષે ગરબા રમવાનું ટાળજો. કારણ કે, નવરાત્રિ પહેલા જ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન બે યુવકોના મોત નિપજ્યા છે. 

કિસ્સો-1
પાંચ દિવસ પહેલા જૂનાગઢમાં દાંડીયારાસ રમતા 24 વર્ષીય યુવાનનું કરૂણ મોત થયું હતું. નવરાત્રિની પ્રેક્ટિસ દરમ્યાન યુવાન જમીન પર ઢળી પડ્યો હતો. ચિરાગ પરમાર નામના 24 વર્ષીય યુવાનનું ગરબા રમતા મૃત્યુ થયું હતું. જમીન પર ઢળી પડતાં યુવાનને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

કિસ્સો-2
19 વર્ષીય યુવકનું ગરબા પ્રેક્ટિસ કરતા હૃદય હુમલાથી મોત નિપજ્યું છે. 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવકનું હૃદય હુમલાથી મોત નિપજ્યું છે. યુવા દીકરાના નિધનથી કુંવરિયા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તાર આવેલ "સ્ટેપ એન્ડ સ્ટાઈલ ગરબા ક્લાસ" માં ઉત્સાહ અને જોશ સાથે પ્રેક્ટિસ કરતા 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામના યુવકનું હૃદય હુમલાથી મોત નીપજ્યું હતું. યુવાન વિનીતના મૃતદેહને પીએમ અર્થે સરકારી જી.જી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.  

એક વર્ષમાં હૃદયરોગના 3 લાખ 37 હજાર 266 કેસ નોંધાયા
નવરાત્રિમાં ગરબા રસિકો માટે સતર્કતાથી સાવધાની રાખવાનો કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, ગુજરાતનુ આરોગ્ય કથળી રહ્યું છે એવુ અમે નહિ આંકડા કહી રહ્યાં છે. ગુજરાતમાં હ્રદયરોગ, કેન્સર અને કિડનીના દર્દીઓમાં વધારો થયો છે. રાજ્યમાં આરોગ્યની સુવિધા સામે અનેક સવાલ ઉઠ્યા છે. કોરોના પછી રાજ્યમાં ઠેરઠેર હ્રદયરોગના કેસમાં બમણો વધારો થઈ રહ્યો છે. એક વર્ષમાં હૃદયરોગના 3 લાખ 37 હજાર 266 કેસ નોંધાયા છે.  

કોરોના બાદ હાર્ટએટેકના કેસ વધ્યા 
ગુજરાત સરકાર આરોગ્ય વિભાગમાં દર વર્ષે બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે. છતાં ગુજરાતીઓનું આરોગ્ય કથળી રહ્યું છે તેવું આંકડા પૂરવાર કરી રહ્યાં છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમા નબળી સુવિધા જોવા મળી છે. કોરોનાકાળ બાદ હૃદયરોગના કેસો બમણા થયા છે. તો ક્ષયમુક્ત ગુજરાતના નામે લાખો ખર્ચ્યા બાદ પણ ટીબીના કેસમાં વધારો થઈ રહ્યો છે. વિકાસના મોડલ તરીકે ઓળખાતુ ગુજરાત હવે બીમાર બન્યું. એમ કહી શકાય કે રૂપિયાવાળુ ગુજરાત માંદુ પડ્યું છે. ગુજરાતમાં હાર્ટએટેક, ટીબી, હૃદયરોગ, કેન્સર, કિડની સહિત અન્ય રોગોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. 

એક તરફ સરકાર સ્વસ્થ ગુજરાતના ગુનગાન ગાય છે, પરંતુ આરોગ્ય વિભાગ રોગોને કાબૂ લાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. આરોગ્ય વિભાગના આંકડા કહે છે કે, વર્ષ 2020-21 ની સરખામણીમાં વર્ષ 2022-23 માં રોગોનું પ્રમાણ વધ્યું છે. ને તેમાં તો કોરોના બાદ તો તોતિંગ વધારો આવ્યો છે. 

તબીબોનું માનવું છે કે, આના માટે ગુજરાતીઓની લાઈફસ્ટાઈલ કારણભૂત છે. વધતા રોગોને કાબૂમાં નહિ લેવાય તો હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધતી જશે. છેલ્લાં કેટલાક સમયથી હાર્ટએટેકના કિસ્સા વધી રહ્યાં છે. હવે તો યુવા અને નાની વયના બાળકોને પણ હાર્ટએટેક આવી રહ્યાં છે. જે પુરાવા છે કે ગુજરાતનું સ્વાસ્થય નબળું બન્યું છે. તો બીજી તરફ, ગુજરાતમાં 1 હજારથી વધુ દર્દીઓ કિડની મેળવવા માટે વેઈટિંગ લિસ્ટમાં છે. એક તરફ અંગદાન વધ્યુ હોવા છતાં કિડનીના વેઈટિંગ લિસ્ટમાં વધારો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news