ભવ્યાતિભવ્ય જીત બાદ કોંગ્રેસ કરશે ગેનીબેનનું સન્માન, આવી છે તૈયારીઓ

Geniben Thakor : ગુજરાત કોંગ્રેસ કરશે સાંસદ ગેનીબેન ઠાકોરનું સન્માન... 13 જૂને બપોરે 2 કલાકે રાજીવ ગાંધી ભવનમાં યોજાશે કાર્યક્રમ... ચૂંટણીમાં મજબૂતાઈથી લડનારા ઉમેદવારોનું પણ થશે અભિવાદન

ભવ્યાતિભવ્ય જીત બાદ કોંગ્રેસ કરશે ગેનીબેનનું સન્માન, આવી છે તૈયારીઓ

Gujarat Congress : લોકસભા ચૂંટણી 2024 માં ભવ્યાતિભવ્ય જીત મેળવીને ગેનીબેન ઠાકોરે ભાજપનુ ક્લીન સ્વીપ કરવાનું સપનુ રગદોળ્યું છે. સાથે જ કોંગ્રેસનો લોકસભાનો વનવાસ પૂરો કર્યો છે. આખા દેશમાં હાલ ગેનીબેનની ભવ્યાતિભવ્ય જીતની ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ ગેનીબેન ઠાકોરનું સન્માન કરવા જઈ રહી છે. 13 જુન ના રોજ બપોરે 2.00 કલાકે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાંથી કોંગ્રેસના સાંસદ તરીકે ચુંટાયા ગેનીબેન 
ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચુંટણી મજબૂતાઇથી લડનારા કોંગ્રેસના ઉમેદવારોનું અભિવાદન કરશે. જેમાં એકમાત્ર જીત મેળવનારા ગેનીબેન ઠાકોરનું સન્માન કરવામા આવશે. ગેનીબેન ઠાકોર ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં સન્માન અને અભિવાદન સમારોહ યોજાશે. જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે. 

ગેનીબેનને કોંગ્રેસને સલાહ 
ગેનીબેને જીત બાદ મતદારોને સંબોધન કર્યું હતું. સાથે જ પોતાના સંબોધનમાં કોંગ્રેસની ખામીઓ પણ કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર કામગીરમાં ભાજપની સરખામણીએ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે. જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ ઉપર પોતાના સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવું પડે છે. તેના બદલે જો પાર્ટી પેરેલર ચૂંટણી લડતી થશે, તો કોંગ્રેસ મજબૂતાઈ ચૂંટણી મેદાનમાં જઈને જન આશીર્વાદ મેળવતી થશે. એની શરૂઆત બનાસકાંઠાથી થઈ છે. બનાસકાંઠા કોંગ્રેસનો કાયમી ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાની મોટી સિસ્ટમનો અભાવ હોય. ક્યાંક પક્ષ વિરોધી કામો જે કરતા હોય  એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈ સ્થાન ન હોવું જોઈએ. 

પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે 
તેમણે કહ્યું કે, જે પક્ષનું ખોટું કરતા હોય નુકસાન કરતા હોય જો એને સજા ન કરો તો બીજા એને જોઈને પ્રેરિત થતા હોય છે અને પાર્ટીને નુકશાન થતું હોય છે. હું પાર્ટીને સલાહ આપવા સક્ષમ નથી કે સલાહ આપવાનો મારો કોઈ  અધિકાર નથી પણ જે લોકો મારા નીચે કામ કરે છે એ લોકોને મેં હંમેશા મનોબળ પૂરું પાડ્યું છે. હું સિસ્ટમમાં કામ કરૂં છું. પાર્ટીના વિરોધમાં  કોઈપણ કે મારો સાગો ભાઈ કામ કરે તો મેં કયારેય ‘લેટ ગો’ની ભાવના રાખી નથી. જ્યારે ઈમાનદારીની વાત આવે તો કોંગ્રેસનો કોઈપણ કાર્યકર નાનામાં નાની ચૂંટણી મારી મદદથી લડવાનો હોય તો મેં એને પુરી મદદ કરીને જીતડવાના પ્રયત્નો કર્યા છે. માટે પાર્ટીના લોકો પાર્ટી સાથે વફાદારીથી કામ કરે એવી હું અપેક્ષા રાખું છું.

30406 વોટથી ગેનીબેનનો વિજય 
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો 30,406 મતોથી પ્રચંડ વિજય થયો હતો. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા. તો સામે ભાજપના રેખાબેન ચૉધરીને 6,41,477 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 30,604 મતોથી માત આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news