રૂપાણી શાસનના 5 વર્ષઃ સામા પ્રવાહે તરવાની કાયમી આદતને લીધે વિજયભાઈ બન્યા ‘વિજયી ભવ’

રૂપાણી શાસનના 5 વર્ષઃ સામા પ્રવાહે તરવાની કાયમી આદતને લીધે વિજયભાઈ બન્યા ‘વિજયી ભવ’
  • વિધાનસભાની ચૂંટણી વખતે રુપાણીના પ્રચારમાં એક જ વાક્ય હતું, રાજકોટ વિજય ભવ, એ એમણે મુખ્યમંત્રી તરીકે ય સાચુ પાડ્યું

દિપ્તી સાવંત/અમદાવાદ :2017 માં વિધાનસભાની ચૂંટણી વખતે સમગ્ર રાજકોટમાં ચારેબાજુ કેસરી રંગે રંગાયેલા હોર્ડિંગ જોવા મળતાં હતાં, જેમાં મોટા સફેદ અક્ષરોમાં લખાયેલું હતુઃ રાજકોટ વિજય ભવ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijay Rupani) ના પ્રચાર અભિયાનમાં લખાયેલું માત્ર આ એક વાક્ય આજે તેમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 5 વર્ષનો કાર્યકાળ (five years of Rupani government) સફળતાપૂર્વક પૂરો કરવામાં નિમિત્ત બન્યું છે. 

વિજયભાઈ મુખ્યમંત્રી (Gujarat CM) બન્યાં ત્યારથી કેટલાક વિવાદોને કારણે ગમે ત્યારે વિજયભાઈની ખુરશી જશે તેવુ લાગતુ હતુ. પણ એવી તીવ્ર હવાઓના કંઈક વાવાઝોડા વિજયભાઈ તારવી ગયા છે તેનું મુખ્ય કારણ છે તેમની કર્મપરાયણતા. ટીકાઓ, આલોચનાઓ પ્રત્યે આંખ આડા કાન કરવાની વિજયભાઈની આ આદત આજકાલની નથી. તેમની રાજકી કારકિર્દીનો ગ્રાફ તપાસીએ તો એ સમજી શકાશે કે, આરંભથી જ સામા પ્રવાહે તરવાની અને ધસમસતા વહેણની બહાર નીકળવાની તેમને આદત છે. 

મોટા માથા સાથે સંઘર્ષ વગરની હરીફાઈ

રાજકોટ આરંભથી જ ભાજપનો ગઢ રહ્યું છે. અહીં ચીમનભાઈ શુક્લ અને તેમના માનીતા વજુભાઈ વાળા જેવા દિગ્ગજ નેતાઓની છત્રછાયામાં રહેવા છતાં વિજયભાઈ આરંભથી જ સૌના માનીતા રહ્યા. કોઈની પણ સાથે સંઘર્ષમાં ઉતર્યા વગર તેમણે પોતાની લીટી મોટી કરવામાં ધ્યાન આપ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકામાં તેમને વજુભાઈ સાથે જ હરીફાઈ થતી હતી. 1987 થી સતત તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાતા હતા, પરંતુ મેયરપદે વજુભાઈને જ તક મળતી રહી. છતાં અસંતોષ કે કડવાશ દેખાડ્યા વગર તેઓ પોતાનું કામ કરતાં રહ્યાં અને છેવટે 1996 માં તેમને મેયર તરીકે તક મળી. 

મોદીની ‘ન્યૂ ભાજપ’ થિયરી ફળી

હાલમાં કર્ણાટકમાં ન્યુ ભાજપ થિયરીના હેતુથી મુખ્યમંત્રીપદેથી યેદીયુરપ્પાને હટાવીને યુવાનેતા બોમ્માઈને તક આપવામાં આવી. આ ન્યુ ભાજપ થિયરી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ 20 વર્ષ પહેલાં ગુજરાતમાં લાગુ કરેલી છે. જેને લીધે ભાજપ બીજી અને ત્રીજી હરોળના નેતૃત્વને સતત તૈયાર કરતું રહે છે. વિજયભાઈ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જૂના જોગી વજુભાઈને મોદી વિધાનસભામાં લાવ્યા અને રાજકોટમાં વિજયભાઈને તક આપી. તેમાં વિજયભાઈ સફળ સાબિત થયા એટલે તેમને મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ જેવી મહત્વની જવાબદારી આપી. એ પછી પ્રદેશપ્રમુખ તરીકે સંગઠનની ક્ષમતા માપી. વજુભાઈને કર્ણાટકના ગવર્નર બનાવીને છેવટે વિજયભાઈ માટે વિધાનસભાનો પ્રવેશ પણ મોકળો કર્યો. આમ, સતત નવી પેઢીના નેતાઓને આગળ કરવાની મોદીની સ્ટ્રેટેજી વિજયભાઈની રાજકીય પ્રગતિમાં નિમિત્ત બની છે. 

બોલો ઓછું, કામ વધુ કરો

પાંચ વર્ષના શાસન દરમિયાન વિજયભાઈ પર વહીવટી અણઆવડત, તંત્ર પર પકડ રાખવાની નબળાઈ સહિતના આક્ષેપો વારંવાર થયા છે પરંતુ એથી ઉશ્કેરાવાને બદલે વિજયભાઈએ નિષ્ફળતાઓમાંથી શીખવાનું વલણ દાખવ્યું છે. સતત કાર્યરત રહેવાની એમની આદતને લીધે જ સભાના મંચ પર થાક અને લો બીપીના કારણે ઢળી પડતાં આપણે જોયા હતા. કદાચ એ ઘટનાને લીધે જ ઓછુ બોલનારા પણ કર્મઠ નેતા તરીકેની એમની છબી જનમાનસમાં વધુ દૃઢ થઈ છે. 

હું તો અડધી પીચે બેટિંગ કરું છું 

એમણે પોતે જ કરેલું આ વિધાન જે-તે વખતે તેમની ઉતાવળ તરીકે ગણાયું હતું. પરંતુ અડધી પીચે બેટિંગ કરવા છતાં વિજયભાઈ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા છે. ગુજરાતના અત્યાર સુધીના કુલ 16 મુખ્યમંત્રી પૈકી ફક્ત 4 મુખ્યમંત્રી જ 5 વર્ષ સુધી ટકવા સદભાગી રહ્યા છે. નરેન્દ્ર મોદી, માધવસિંહ સોલંકી, હિતેન્દ્ર દેસાઈ પછી હવે વિજયભાઈ પણ તેમાંના એક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news