ભાજપને ભારે પડ્યું સાબરકાંઠા: ભૂકંપના ઝટકાની કમલમ સુધી અસર, પોલીસ ગોઠવવી પડી!

Loksabha Election 2024: લોકસભાની લડાઈમાં સાબરકાંઠા ભાજપમાં ભૂકંપના એવા આંચકા આવ્યા કે તેની કંપારી છેલ્લી ગાંધીનગર કમલમ સુધી સંભળાઈ. ભાજપે ઉમેદવાર બદલતા સમર્થકોએ અરવલ્લીને જાણે બાનમાં લઈ લીધું. સોશિયલ મીડિયા, રોડ-રસ્તા પર વિરોધનો વંટોળ એવો ફાટી નીકળ્યો કે પ્રદેશ પ્રમુખે ખુદ બાજી સંભાળવી પડી.

ભાજપને ભારે પડ્યું સાબરકાંઠા: ભૂકંપના ઝટકાની કમલમ સુધી અસર, પોલીસ ગોઠવવી પડી!

Loksabha Election 2024: દરેક ચૂંટણીમાં જે વિરોધ કોંગ્રેસમાં જોવા મળતો હોય છે તેવો જ વિરોધ કેડર બેઝ પાર્ટી કહેવાતી ભાજપમાં જોવા મળ્યો. લોકસભાની લડાઈમાં સાબરકાંઠા ભાજપમાં ભૂકંપના એવા આંચકા આવ્યા કે તેની કંપારી છેલ્લી ગાંધીનગર કમલમ સુધી સંભળાઈ. ભાજપે ઉમેદવાર બદલતા સમર્થકોએ અરવલ્લીને જાણે બાનમાં લઈ લીધું. સોશિયલ મીડિયા, રોડ-રસ્તા પર વિરોધનો વંટોળ એવો ફાટી નીકળ્યો કે પ્રદેશ પ્રમુખે ખુદ બાજી સંભાળવી પડી. અનેક કાર્યકરોએ રાજીનામા પણ ધરી દીધા.

સોશિયલ મીડિયામાં પણ આકરો વિરોધ
જે પાર્ટીની શિસ્તના ગુણગાન ગાવામાં આવે છે. જેના ઉદાહરણ અપાય છે. તે કેડરબેઝ પાર્ટીમાં આ શું થઈ રહ્યું છે?, વાત અમે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની કરી રહ્યા છીએ. પાર્ટીમાં એવું તો શું થયું કે એકાએક લોકો રસ્તા પર ઉતરી ગયા? બજારો બંધ થઈ ગયા? સોશિયલ મીડિયા પર વિરોધ ફાટી નીકળ્યો? કેમ કાર્યકરોમાં જોવા મળ્યો ભારે આક્રોશ? આ જ પાર્ટીમાં એકવાર ઉમેદવાર નક્કી થઈ ગયા બાદ ઉમેદવાર બદલાતા નથી. આજ પાર્ટીમાં કાર્યકરો હાઈકમાન્ડના નિર્ણયને એક જ સ્વરે વધાવી લે છે. પરંતુ સાબરકાંઠામાં એવું તે શું થયું કે 100-200 નહીં પણ હજારો લોકો રસ્તા પર ઉતરી ગયા અને ભાજપને ચીમકી આપી દીધી?

આક્રોશની આ આગ એટલી ભભૂકી કે ભાજપના 2 હજારથી વધુ કાર્યકરોએ ભીખાજી ઠાકોરના સમર્થનમાં રાજીનામા ધરી દીધા .આવો વિરોધ કદાચ ભાજપમાં ક્યારેય નથી જોવા મળ્યો. એક સાથે આટલી મોટી સંખ્યામાં સામૂહિક રાજીનામાથી ભાજપમાં ભારે ઉહાપોહ થઈ ગયો છે. વિરોધનો વંટોળ સોશિયલ મીડિયામાં પણ જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ભીખાજીના સમર્થકોએ વીડિયો બનાવી નવા ઉમેદવાર શોભના બારિયાનો વિરોધ કર્યો.

દરેક ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યાલય પર પોલીસ બંદોસ્ત ગોઠવવો પડે છે. કારણ કે કોંગ્રેસમાં ટિકિટ જાહેર થયા પછી ઉકળતા ચરુ જેવો માહોલ હોય છે. પરંતુ સાબરકાંઠા ભાજપમાં તો આક્રોશની આગ એવી જોવા મળી કે અરવલ્લી ભાજપ કાર્યાલય પર પોલીસ બોલાવવી પડી હતી. ભીખાજીના સમર્થકોએ ભાજપના કાર્યાલયને ઘેરી લીધું હતું અને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યો હતો. ભીખાજી સિવાય કોઈનો સ્વીકાર નહીં કરીએ તેવી ચીમકી પણ આપી હતી. 

વિરોધ આગ ઠારવા માટે કમાન ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે હાથમાં લેવી પડી હતી. ભીખાજી ઠાકોરને ગાંધીનગર કમલમ બોલાવી તેમની સાથે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠક પછી ભાજપના હોદ્દેદારો ડાહી ડાહી વાતો મીડિયા સમક્ષ કહેતા જોવા મળ્યા હતા. તો આ આખી બબાલમાં જે કેન્દ્ર સ્થાને હતા તે ભીખાજી ઠાકોર ગાંધીનગર કમલમાં સી.આર.પાટીલ સાથે બેઠક બાદ ઠીલા પડેલા જોવા મળ્યા. પ્રેશર પોલિટિક્સ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે કામ ન આવતા સમર્થકો પોતાના ન હોવાનું કહ્યું. સાથે જ પોતે પાર્ટી સાથે જ છે તેવો રાગ આલાપ્યો.

સાબરકાંઠામાં ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. પરંતુ આંતરિક વિરોધને કારણે તેમની પાસેથી ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર કરાવી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મહેન્દ્રસિંહ બારેયાના પત્નીને ટિકિટ આપવામાં આવી. શોભના બારિયા વ્યવસાયે શિક્ષક છે. તેમના પતિ મહેન્દ્રસિંહ કોંગ્રેસમાંથી પ્રાંતિજથી ધારાસભ્ય હતા. સ્વાભાવિક છે કે પાર્ટીની આખી જિંદગી સેવા કરનારા કંઈ ન મળે અને પક્ષપલટુઓને મોટું ઈનામ મળી જાય તો કાર્યકરોમાં વિરોધની આગ તો ફાટવાની જ...ભાજપે શરૂ કરેલો ભરતી મેળો ભાજપને નુકસાન તો નહીં કરાવેને?...જોવાનું રહેશે કે આગળ શું નવું થાય છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news