રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર: 22 જાન્યુઆરી સુધી 397 કેસ નોંધાતા સરકાર ચિંતિત

અમદાવાદમાં 20 જાન્યુઆરી બાદ સ્વાઈન ફ્લૂના 19 કેસ નોંધાયા, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 દિવસમાં 75 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યભરમાં 22 જાન્યુઆરી સુધી સ્વાઈન ફ્લૂના કુલ 397 કેસ નોંધાયા અને અત્યાર સુધી રાજ્યમાં 8નાં મોત નોંધાયા છે 

રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર: 22 જાન્યુઆરી સુધી 397 કેસ નોંધાતા સરકાર ચિંતિત

અમદાવાદ/રાજકોટ/ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એકવાર સ્વાઇન ફ્લુએ ભરડો લીધો છે. સતત વધતા સ્વાઇન ફ્લુના દર્દીઓની સંખ્યા રાજ્યના આરોગ્ય વિભાગ માટે ચિંતાનું કારણ બની છે. 22 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લૂના 397 કેસ નોંધાયા છે અને 8 લોકોના મોત થયા છે.  માત્ર અમદાવાદ શહેરમાં જ 20 જાન્યુઆરી બાદ સ્વાઇન ફ્લુના વધુ 19 કેસ નોંધાયા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 દિવસમાં 75 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 15 દર્દીના મોત થઈ ચૂક્યા છે. આ તો સરકારી ચોપડે નોંધાયેલા કેસ છે, આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં નોંધાતા કેસના આંકડા હજુ વધી હોઈ શકે છે.

સ્વાઈન ફ્લૂના મોતના દરરોજ આવી રહેલા સમાચારના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. આરોગ્ય મંત્રી નિતિન પટેલે તાત્કાલિક સ્વાઈન ફ્લૂ અંગે આરોગ્ય કમિશનર પાસે રિપોર્ટ માગ્યો છે. 

જાન્યુઆરી માસમાં જ મેગાસીટી અમદાવાદમાં 84 કેસ નોંધાયા છે, જેમાં બે વ્યક્તીઓનાં મોત થયા છે. વર્ષ 2018માં અમદાવાદમાં દર્દીઓની સંખ્યા 777 હતી અને 29 લોકોનાં મોત નિપજ્યા હતા. 

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડી નો પારો વધતા સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વર્ષ 2019ના પ્રારંભથી જ સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 દિવસમાં 75 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જે પૈકી 15 દર્દીના સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે અને ગોંડલના મોટા દડવાની 55 વર્ષીય મહિલા સહિત 4 દર્દીના મોત નિપજ્યા છે.

રાજકોટમાં હજુ પણ સ્વાઈન ફલૂ વોર્ડમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં 32 દર્દી સારવાર લઇ રહ્યા છે. જેમાંથી રાજકોટ શહેરના 11, જિલ્લાના 8 અને અન્ય જિલ્લાના 13 દર્દીનો સમાવેશ થાય છે. વધતા જતા સ્વાઈન ફ્લૂના કેસ આરોગ્ય વિભાગ માટે ચિંતા નો વિષય બન્યો છે, ત્યારે સામાન્ય શરદી ઉધરસ કે સ્વાઈન ફ્લૂના લક્ષણ જણાય તો સિવિલ હોસ્પિટલ કે એમડી કક્ષાના તબીબ પાસે સારવાર લેવા સૂચન કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરના સ્વાઈન ફ્લૂના આંકડા
વર્ષ    દર્દી    મોત
2017    2647    150
2018     777     29
2019     84       02

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news