રાહતના સમાચાર : તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે, મધ્ય આંખ છૂટી પડી રહી છે

રાહતના સમાચાર : તૌકતે વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે, મધ્ય આંખ છૂટી પડી રહી છે
  •  વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે
  • વાવાઝોડું ટકરાયું ત્યારે મુખ્યમંત્રી કંટ્રોલરૂમમાં ઉપસ્થિત હતા અને સમગ્ર વાવાઝોડાના મેનેજમેન્ટનું સંચાલન કરી રહ્યા હતા

ઝી મીડિયા/બ્યૂરો :તૌકતે વાવાઝોડું રાત્રે 9 વાગે ગુજરાતના ઉના પાસે ટકરાયું હતું. તે વખતે તેની ગતિ પ્રતિ કલાક ૧૫૦થી ૧૭૫ કિલોમીટરની હતી. જેમાં સૌથી વધારે જાફરાબાદ અને પીપાવાવમાં 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) એ ગુજરાતના દરિયા કાંઠાને ધમરોળી મૂક્યુ છે. એમ કહો કે તબાહી સર્જી હતી. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરમાં નારિયેલીનું ઝાડ પડતા 2 માળનું મકાન ધરશાહી થયું છે. સમગ્ર પરિસ્થિતિ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાત્રે પોણા એક વાગ્યે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાંથી રવાના થયા હતા. હવામાન ખાતાના અપડેટ અનુસાર, વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. તો વેરાવળ-સોમનાથમાં ગત મોડી રાતથી વીજપુરવઠો ચાલુ-બંધ થવાનો સિલસિલો યથાવત છે. 

વાવાઝોડામાં કોઈ જાનહાનિના સમાચાર નથી 
વાવાઝોડું ટકરાયું ત્યારે મુખ્યમંત્રી કંટ્રોલરૂમમાં ઉપસ્થિત હતા અને સમગ્ર વાવાઝોડાના મેનેજમેન્ટનું સંચાલન કરી રહ્યા હતા. જિલ્લાના કલેક્ટરો સાથે સંપર્કમાં હતા. કેટલાક તાલુકાઓમાં સાવચેતીના પગલાં તરીકે પાવર કટ કરવામાં આવી હતી. તો અનેક જગ્યાએ થાંભલા પડી ગયા છે. વૃક્ષો તૂટીને રસ્તા પર પડી ગયા છે. દરિયાના મોજા 6 મીટર સુધી ઉંચા ગયા હતા. સારી વાત એ છે કે, સમગ્ર વાવાઝોડાની સ્થિતિમા હોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી. વાવાઝોડાની આંખ પણ પસાર થઈ ગઈ છે. દોઢ વાગ્યાની આસપાસ વાવાઝોડું આગળ વધ્યું હતું. 

આજ સાંજ સુધીમાં ચક્રવાત રાજ્યમાંથી પસાર થશે
સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓની વાત કરીએ તો, અમરેલી, ધારી, ખાંભા, અમરેલી, રાજુલા, જાફરાબાદ, મહુવા રહ્યા છે. ઉના અને ગીરગઢડામાં સૌથી વધારે અસર પડી હતી. અહી લાઈટો પણ ગઈ હતી. પવનની સાથે ભારે વરસાદ પણ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડું હજી આગળ વધશે. આજ સાંજ સુધીમાં ચક્રવાત આપણા રાજ્યમાંથી પસાર થશે. હજી આવવતીકાલે સાંજ સુધી સાવચેતી રાખવાની છે. 

બોટાદમા પરિવારને સલામત સ્થળે ખસેેડાયો
બોટાદના કૃષ્ણસાગર તળાવ પાસે ઝૂપડામાં રહેતા એક પરિવારને મોડી રાત્રે સલામત સ્થળે ખસેડાયો હતો. અગાઉ સૂચના આપવા છતાં પરિવાર સલામત જગ્યા પર ગયો ન હતો. બોટાદ ડી.વાય.એસ.પી. રાજદીપ નકુમને આ માહિતી મળતા ટીમ સાથે પહોંચી પરિવારને સલામત સ્થળે ખસેડાયો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news