આંખમાં આવ્યા આંસુ... જાણો કેમ અયુબની પુત્રીની વાત સાંભળી પીએમ મોદી થયા ભાવુક?

સમારોહમાં પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા અને બોલતા બોલતા તેમની આંખમાં આંસુ આવી ગયા હતા અને તેમણે બોલવાનું બંધ કરી દીધું હતું. થોડીવાર રોકાયા બાદ પીએમ મોદીએ કહ્યું- દીકરી તારી સહાનુભૂતિ જ તારી તાકાત છે. પીએમ મોદીએ પૂછ્યું ઇદ કેવી રહી? રમઝાન કેવો રહ્યો?

આંખમાં આવ્યા આંસુ... જાણો કેમ અયુબની પુત્રીની વાત સાંભળી પીએમ મોદી થયા ભાવુક?

ઝી બ્યુરો, અમદાવાદ: ભરૂચ ખાતે યોજાયેલા ઉત્કર્ષ સમારોહમાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું. રાજ્ય સરકારની ચાર મુખ્ય સરકારી યોજનાનો 100 ટકા ટાર્ગેટ પૂર્ણ થતા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ એક નેત્રહીન સરકારી યોજનાના લાભાર્થી સાથે વાત કરી હતી. જે દરમિયાન પીએમ મોદી ભાવુક થયા હતા.

પીએમ મોદી સાથે વાત કરતા લાભાર્થી અયુબ પટેલે જણાવ્યું હતું કે તે સાઉદી અરબમાં હતો. ત્યારે તેની આંખમાં આઇસ ડ્રોપ નાખવામાં આવ્યા હતા. જેની સાઈડ ઇફેક્ટ થતા તેની આંખો જતી રહી છે. અયુબે કહ્યું કે, ગ્લુકોમા થઈ ગયો છે. તે દરમિયાન પીએમ મોદીએ અયુબને પૂછ્યું કે શું તે તેની દીકરીઓને ભણાવે છે? જવાબ આપતા અયુબે કહ્યું કે, તે તેની દીકરીઓને ભણાવે છે. તેને ત્રણ દીકરીઓ છે. એક દીકરી 12 માં ધોરણમાં અભ્યાસ કરે છે. બીજી દીકરી 8 માં ધોરણમાં અભ્યાસ કરે છે અને ત્રીજી દીકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.

અયુબે વધુમાં જણાવ્યું કે, પહેલા ધોરણમાં અભ્યાસ કરતી પુત્રીને આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો છે અને હવે તે 8 માં ધોરણ સુધી ફ્રીમાં અભ્યાસ કરી શકશે. આ વાત પર પીએમ મોદીએ કહ્યું- વાહ. પીએમ મોદીએ અન્ય બે દીકરીઓ વિશે પૂછ્યું તો અયુબે જવાબ આપતા કહ્યું કે, બંને પુત્રીઓને સ્કોલરશિપ મળે છે. મોટી પુત્રીનું રિઝલ્ટ આવ્યું છે. તેને 80 ટકા આવ્યા છે. આ વાત પર પીએમ મોદીએ પૂછ્યું તે શું કરવા ઈચ્છે છે? અયુબે જણાવ્યું કે, તે ડોક્ટર બનવા માંગે છે.

પીએમ મોદીએ અયુબની પુત્રી સાથે વાત કરી. અયુબની પુત્રીએ જણાવ્યું કે તેનું નામ આલિયા છે. પીએમ મોદીએ ડોક્ટર બનવા પાછળનું કાણ પૂછ્યું, જેનો જવાબ આપતા આલિયાએ કહ્યું મારા પિતા જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેના કારણે હું ડોક્ટર બનવા માંગુ છું. એટલું બોલતાની સાથે જ આલિયા ભાવુક થઈ ગઈ અને પિતાને માઈક આપી રડવા લાગી હતી.

આ જોઈ પીએમ મોદી પણ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આસું આવી ગયા હતા. થોડીવાર પીએમ મોદી શાંત રહ્યા અને પછી તેમણે આલિયાને કહ્યું- દીકરી તારી સહાનુભૂતિ જ તારી તાકાત છે. પીએમ મોદીએ પૂછ્યું ઇદ કેવી રહી? રમઝાન કેવો રહ્યો? અયુબે કહ્યું સારો રહ્યો. પીએમ મોદીએ કહ્યું દીકરીઓનું સપનું પૂરુ કરજો અને કોઇપણ મુશ્કેલી પડે તો મને કહેજો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news