ટીકા થયા બાદ રેલવેએ ઘટાડ્યું 'વંદે ભારત એક્સપ્રેસ'નું ભાડું

દિલ્હીથી વારાણસી વચ્ચે દોડનારી દેશની સૌથી ઝડપી ટ્રેન T-18 કે જેને હવે નવું નામ 'વંદે ભારત એક્સપ્રેસ' આપવામાં આવ્યું છે તેનું ભાડૂં રૂ.1,850થી ઘટાડીને રૂ.1,760 કરવામાં આવ્યું છે 

ટીકા થયા બાદ રેલવેએ ઘટાડ્યું 'વંદે ભારત એક્સપ્રેસ'નું ભાડું

નવી દિલ્હીઃ દેશની સૌથી ઝડપથી દોડનારી ટ્રેન 'વંદે ભારત એક્સપ્રેસ'નું ભાડું ઘટાડવામાં આવ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ મોદી આ ટ્રેનને લીલી ઝંડી બતાવાના છે. સોમવારે T-18 ટ્રેનના ભાડા અંગે રેલવે દ્વારા જાહેરાત કરાઈ હતી, જે શતાબ્દી એક્સપ્રેસ કરતાં 1.5 ગણું વધારે હતું. વધારે ભાડા અંગે ટીકા થયા બાદ તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

દિલ્હીથી વારાણસી વચ્ચે દોડનારી દેશની સૌથી ઝડપી ટ્રેન T-18 કે જેને હવે નવું નામ 'વંદે ભારત એક્સપ્રેસ' આપવામાં આવ્યું છે તેનું ભાડૂં રૂ.1,850થી ઘટાડીને રૂ.1,760 કરવામાં આવ્યું છે. આ સાથે જ એક્ઝીક્યુટીવ કાર માટેનું ભાડું પણ રૂ.3,520થી ઘટાડીને રૂ.3,310 કરાયું છે. ભારતીય રેલવે દ્વારા આ સુધારો કરાયો છે. 

આ ટ્રેનની સરખામણી શતાબ્દી અને રાજધાની જેવી ટ્રેન સાથે કરવામાં આવે છે. શતાબ્દી સાથે સરખામણી કરીએ તો દિલ્હીથી વારાણસી વચ્ચે T-18 ટ્રેનનું ભાડું તેના કરતાં દોઢ ગણું વધારે છે, જ્યારે ફર્સ્ટ એસી કરતાં 1.4 ગણું વધારે છે. ટી-18 ટ્રેનના બંને ક્લાસમાં જમવાનો ચાર્જ અલગથી લેવામાં આવશે. 

નવી દિલ્હથી વારાણસી સુધીની મુસાફરી માટે એક્ઝીક્યુટીવ ક્લાસના પ્રવાસીને રૂ.399માં મોર્નિંગ ટી, બ્રેકફાસ્ટ અને લંચ આપવામાં આવશે. જ્યારે ચેર કારમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીને રૂ.344માં ચા, બ્રેકફાસ્ટ અને લંચ આપવામાં આવશે. નવી દિલ્હીથી કાનપુર અને પ્રયાગરાજની મુસાફરી કરનારા પ્રવાસીએ જમવા માટેનો ચાર્જ એક્ઝીક્યુટીવ ક્લાસ અને ચેર કાર માટે અનુક્રમે રૂ.155 અને રૂ.122 ચૂકવવાના રહેશે. વારાણસીથી નવી દિલ્હીની મુસાફરી કરતા પ્રવાસીએ એક્ઝીક્યુટીવ ક્લાસ માટે રૂ.349 અને ચેર કારના પ્રવાસીએ રૂ.288 જમવા માટે ચૂકવવાના રહેશે. 

'વંદે ભારત એક્સપ્રેસ'ને દિલ્હીથી વારાણસી વચ્ચે બે સ્ટોપેજ કાનપુર અને પ્રયાગરાજ આપવામાં આવ્યા છે. આ ટ્રેન 755 કિમીનું અંતર 8 કલાકમાં કાપશે. આધુનિક સુવિધાઓથી સજ્જ અને એન્જિન વગર દોડનારી આ ટ્રેનને બૂલેટ ટ્રેનના મોડેલ પર તૈયાર કરાઈ છે. આ ટ્રેન ટ્રાયલ દરમિયાન 180 કિમીની ઝડપે દોડી હતી. હવે તે શતાબ્દીનું સ્થાન લેશે, જે 130 કિમીની ઝડપે દોડે છે. 

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પ્રથમ કોચમાં ડ્રાઈવિંગ સિસ્ટમ લગાવાઈ છે અને તેમાં 44 સીટ છે. ટ્રેનમાં વચ્ચે બે એક્ઝીક્યુટીવ કોચ રહેશે, જેમાં 52 સીટ હશે. આ ઉપરાંત અન્ય કોચમાં 78 મુસાફરોના બેસવાની વ્યવસ્થા છે. 

ટ્રેનના કોચમાં સ્પેનથી મગાવાયેલી વિશેષ સીટ ફીટ કરવામાં આવી છે, જેને જરૂર પડે 360 ડિગ્રી સુધી ફેરવી શકાય છે. અત્યારે આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડશે. ત્યાર બાદ આગામી સમયમાં દેશના અન્ય મુખ્ય રૂટ પર પણ તેને દોડાવાશે. ટ્રેનમાં દિવ્યાંગો માટે બે વિશેષ બાથરૂમ અને બેબી કેર માટે પણ એક અલગ સ્થાન બનાવાયું છે. 

ટ્રેનમાં ચેન હવે જૂની વાત બની જશે. આ નવી ટ્રેનમાં બે ઈમરજન્સી સ્વીચ લગાવાઈ છે. કટોકટીની સ્થિતીમાં તેને દબાવીને મદદ લઈ શકાય છે. ટ્રેનમાં મુસાફરોની તમામ નાની-મોટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુવિધાઓ આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news