WION Global Summit : અત્યારે સુરક્ષા દળોની પડખે ઊભા રહેવાનો સમય, ક્રિકેટ પછી - વીવીએસ લક્ષ્મણ

વીવીએસ લક્ષ્મણે જણાવ્યું કે, દેશે તાજેતરમાં જ એક મોટો આતંકવાદી હુમલો જોયો છે, દરેક ભારતીય ગુસ્સામાં છે. આવી સ્થિતિમાં ક્રિકેટ અંતિમ બાબત છે, જેના અંગે લોકો વિચારી રહ્યા છે 

WION Global Summit : અત્યારે સુરક્ષા દળોની પડખે ઊભા રહેવાનો સમય, ક્રિકેટ પછી - વીવીએસ લક્ષ્મણ

દુબઈઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે. આવી સ્થિતીમાં એવી પણ માગ થઈ રહી છે કે, ભારતે આગામી વર્લ્ડ કપ ક્રિકેટ 2019માં પાકિસ્તાન સામે મેચ રમવી ન જોઈએ. પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ પણ અત્યારે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાની તરફેણમાં દેખાતા નથી. તેમણે વિઓન ગ્લોબલ સમિટ (WION Global Summit)માં જણાવ્યું કે, 'અત્યારે સુરક્ષા દળોની પડખે ઊભા રહેવાનો સમય છે. હું અત્યારે ક્રિકેટ અંગે વિચારવા પણ માગતો નથી.'

વીવીએસ લક્ષ્મણે બુધવારે Zee Mediaની આંતરરાષ્ટ્રીય ચેનલ WIONની ગ્લોબલ સમિટ (Global Summit)માં ક્રિકેટથી માંડીને આતંકવાદ સુધીના દરેક વિષય પર ચર્ચા કરી હતી. વીવીએસ લક્ષ્મણે વધુમાં જણાવ્યું કે, "દેશે તાજેતરમાં જ એક મોટો આતંકવાદી હુમલો જોયો છે, દરેક ભારતીય ગુસ્સામાં છે. આવી સ્થિતિમાં ક્રિકેટ અંતિમ બાબત છે, જેના અંગે લોકો વિચારી રહ્યા છે. અત્યારે આપણા જવાનોની પડખે ઊભા રહેવાનો સમય છે. આપણે શહીદોનાં પરિવારોની પડખે ઊભા રહેવાનું છે." 

તમે જ્યારે રમતા હતા એ સમયે શું પાકિસ્તાન સામે રમતાં વધુ પડતું દબાણ રહેતું હતું? આ સવાલના જવાબમાં વીવીએસ લક્ષ્મણે જણાવ્યું કે, "હા, એ સાચું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધોને કારણે ક્રિકેટરો પાસે વધુ અપેક્ષા રહે છે. એ સાચું છે કે, આ કારણે અન્ય મેચની સરખામણીએ વધુ અશા રાખવામાં આવે છે. જોકે, પ્રોફેશનલ ખેલાડી હોવાના ધોરણે અમે એ જાણીએ છીએ કે તમે સારું પ્રદર્શન ત્યારે જ કરી શકો છો, જ્યારે માત્ર રમત પર ધ્યાન આપો છો."

વીવીએસ લક્ષ્મણે વધુમાં જણાવ્યું કે, 1990ના દાયકામાં જ્યારે યુએઈમાં રમવા આવતા હતા ત્યારે અહીં ક્રિકેટની વધુ સુવિદાઓ નહતી. એ સમયે અહીં માત્ર એક આંતરરાષ્ટ્રીય મેદાન હતું. હવે પરિસ્થિતી બદલાઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, 'અમે જ્યારે ગયા વર્ષે એશિયા કપ રમવા આવ્યા ત્યારે અનેક વસ્તુઓ બદલાયેલી જોવા મળી હતી. હવે અહીં ક્રિકેટની જ સુવિધાઓ વધી નથી, પરંતુ અનેક મેદાન પણ થઈ ગયા છે.'

ભારતનું વધી રહ્યું છે કદ- શેખ નહયાન
આ અગાઉ WION Global Summitનું ઉદ્ઘાટન કરતા મુખ્ય અતિથિ અને ગેસ્ટ ઓફ ઓનર શેખ નહયાન મુબારક અલ નહ્યાને જણાવ્યું કે, દક્ષિણ એશિયાના અર્થતંત્રમાં ભારતનું મહત્વ વધી રહ્યું છે અને તેની સાથે જ વૈશ્વિક બાબતોમાં તેના વધતા કદ અંગે વ્યૂહાત્મક દૃષ્ટિકોણની જરૂર છે. ભારતની આ સ્થિતિ દક્ષિણ એશિયાના વિસ્તારમાં નવી સંભાવનાઓ પેદા કરે છે. 

શેખ નહયાન સંયુક્ત આરબ અમીરત(યુએઈ) સરકારના કેબિનેટના મહત્વના સભ્ય અને ટોલેરન્સ મંત્રી છે. તેની સાથે જ શેખ નહયાને જણાવ્યું કે, આ વિસ્તારના વ્યાપારિક અને આર્થિક વાતાવરણ, વૃદ્ધિ અને વિકાસનું વાતાવરણ બનાવવા માટે તમામ સ્તરના પ્રયાસ કરવા પડશે. યુએઈના ભારત અને અન્ય એશિયન દેશો સાથે સારા સંબંધો છે. સ્થાનિક અને વૈશ્વિક સુરક્ષામાં તેની મહત્વની ભૂમિકા છે. 

દક્ષિણ એશિયાની શક્તિ, સંભાવનાઓ અને ભવિષ્ય (Unleashing the Poser of South Asia) વિષય પર WION દ્વારા 20 ફેબ્રુઆરીથી દુબઈમાં એક Global Summitનું આયોજન કરાયું છે. શેખ નહયાને આ આયોજન માટે Zee Media અને WIONનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, તેના દ્વારા તમે શાંતિ અને સતત વિકાસને પ્રોત્સાહિત કરી રહ્યા છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news