90 વર્ષ પહેલાં વજીરે ખાધી કેરી, પછી નવાબે આપ્યું નામ! જાણો જૂનાગઢની કેસરની સ્વાદિષ્ટ કહાની

Mango Special : હવે તો કેસર કેરી મહોત્સવ પણ ઉજવવામાં આવતા હોય છે. વર્ષ 2009થી અમદાવાદમાં પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગાંધીનગર, વડોદરા અને દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોમાં પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કઈ રીતે પડ્યું કેરીનું નામ કેસર? જૂનાગઢથી લઈને છેક પાકિસ્તાન સુધી જોડાયેલાં છે કેસરના નામાંકરણના તાર...

90 વર્ષ પહેલાં વજીરે ખાધી કેરી, પછી નવાબે આપ્યું નામ! જાણો જૂનાગઢની કેસરની સ્વાદિષ્ટ કહાની

Kesar Mango Special: ઉનાળો આવે, ગરમીની સિઝન આવે એટલે કેરીની સિઝન આવે...ઉનાળામાં બીજું કંઈ ગમે કે ના ગમે પણ કેસર કેરી તો સૌને ગમે. પણ શું તમે જાણો છોકે, કેરીને કેસરનું નામ કઈ રીતે મળ્યું? કેરીને કેસરનું નામ મળતા જ કેરીને ચાર ચાંદ લાગી ગયા. પણ આ નામ કોણે આપ્યું, કેવી રીતે ફળોના રાજા ગણાતા કેરીની સૌથી સ્વાદિષ્ટ જાતને મળ્યું કેસરનું નામ. આની પાછળનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. 

કેરીને ફળોમો રાજા કહેવાય છે અને તે ભારતનું રાષ્ટ્રીય ફળ છે. ભારતમાં બે ડઝન કરતા પણ વિવિધ જાતની કેરી ઉગાડવામાં આવે છે. જો કે ગુજરાતના જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં પાકતી કેસર કેરી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. 25 મે ‘કેસરી કેરી’નો જન્મદિવસ તરીકે ઉજવાય છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ દિવસની ‘મેંગો ડે’ તરીકે ઉજવણી કરે છે. જોકે, તેના પાછળનો રોચક ઈતિહાસ પણ કેસર કેરી જેવો જ રસપ્રદ છે. 

  • 9 દાયકા કરતા પણ જુનો છે કેસર કેરીના નામ નો ઈતિહાસ
  • ગુજરાતથી છેક પાકિસ્તાન સુધી જાડાયેલાં છે કેસર કેરીના નામાંકરણના તાર
  • જૂનાગઢના નવાબે દરબારીઓની હાજરીમાં કેરીને કેમ આપ્યું હતું કેસરનું નામ?
  • કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે, તેથી કેરીને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે 
  • જુનાગઢની પ્રખ્યાત 'કેસર કેરી'નો 25 મેના રોજ જન્મ દિવસ ઉજવાય છે
  • 25, મે 1934ના દિવસે જૂનાગઢના નવાબે સેલાભાઇની આંબડીનું આપ્યુ હતુ 'કેસર' નામ
  • ગુજરાત સહિત ભારતભરમાં પાકે છે કેરીની બે ડઝન કરતા પણ વધારે સ્વાદિષ્ટ જાત

કેસરના નામે થાય છે મેળા અને મહોત્સવઃ
હવે તો કેસર કેરી મહોત્સવ પણ ઉજવવામાં આવતા હોય છે. વર્ષ 2009 થી અમદાવાદમાં પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ગાંધીનગર, વડોદરા અને દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોમાં પણ કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તાસભર અને કાર્બાઇડ ફ્રી કેસર કેરી સીધી જ ખેડૂતો પાસેથી ગ્રાહકોને પહોંચે એમ આયોજન કરવામાં આવે છે. જેથી ભાવ પણ ખેડૂત અને ગ્રાહકને પરવડે એવા રહેતા હોય છે. એટલું જ નહીં દુનિયાભરમાં પ્રખ્યાત ગુજરાતના જૂનાગઢ જિલ્લાના– તલાલા તાલુકામાં પાકતી કેસર કેરીની વિદેશમાં મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. ઉપરાંત ગુજરાતની કેસર કેરીની જાતને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જીઆઇટેગ (GI) પણ આપવામાં આવ્યો છે.કેરીનો ઈતિહાસ જાણીએ એ પહેલાં જાણી લઈએ કેટલાં પ્રકારની હોય છે કેરી...

કેમ વખણાય છે કેસર?
દેશમાં રત્નાગીરી હાફૂસથી લઇ અનેક કેરીની જાતો કેરીના રસિયાઓને આકર્ષતી હોય છે. પરંતુ જૂનાગઢની કેસર કેરી માટે આકર્ષણ હોવાનું પણ ખાસ કારણ છે. અહીં ગીર, તાલાલા અને વંથલીની કેસર જાણીતી છે. પરંતુ અહીંની કેસરની વાત કરવામાં આવે તો તેની છાલ અને તેનો રંગ તેમજ ફળનો આકાર જોઈને આકર્ષણ જન્માવે તેવો છે. કેસરનો ગર્ભ પણ એકદમ કેસરીયાળો રંગ ધરાવે છે અને મીઠાશ મધમધતી છે. તો વળી ગર્ભમાં રેસાઓનથી હોતા. જૂનાગઢની કેસર કેરીની ગોટલી ખૂબ નાની અને ફળ મોટું હોય છે, એટલે ગર્ભ વધારે હોય છે. આમ સુંગંધ અને સ્વાદ જ નહીં અનેક ગુણોથી ભરપૂર જૂનાગઢની કેસર કેરીના રસિયાઓનું મન મોહી લે છે.

વિદેશમાં કેસર કરીની બોલબાલાઃ
ખાસ કરીને Uk, USA, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, બ્રાઝિલ અને આ ઉપરાંત યુનાઇટેડ આરબ અમીરાત સહિતની ગલ્ફ ક્રંટ્રીમાં પણ છે ગુજરાતની કેસર કેરીની ડિમાંડ.

કઈ રીતે તૈયાર કરાય છે કેસર?
વિદેશમાં મોકલા માટે ખાસ રીતે તૈયાર કરાય છે આ કેરી. ખાસ કરીને કોઇ પણ પ્રકારની દવા છાંટ્યાં વિનાના તૈયાર કરવામાં આવેલા ફળ વિદેશમાં નિકાસ કરવામાં આવતા હોય છે. વિસ્તારમાં અનેક આંબાની વાડીઓમાં કોઇ પણ પ્રકારની દવાઓનો ઉપયોગ કર્યા વિના જ આંબાનો ઉછેર કરવામાં આવતો હોય છે અને પાક લેવામાં આવતો હોય છે. જેની માંગ વિદેશોમાં ખુબ હોય છે.

ગુજરાતની કઈ-કઈ કેસર કેરી છે સૌથી પ્રખ્યાત?

  • જૂનાગઢની કેસર
  • ગીરની કેસર
  • કચ્છની કેસર
  • વલસાડની કેસર

ભારતમાં 2 ડઝનથી વધારે કેરીની જાતોઃ
ભારતના વિવિધ રાજ્યોના અલગ-અલગ પ્રદેશોમાં ઘણા પ્રકારની કેરી ઉગાડવામાં આવે છે. આ મામ કેરીઓનો દેખાવ અને સ્વાદ અલગ-અલગ હોય છે. જેમાં કેસર કેરી, હાફૂસ, રાજાપૂરી, તોતાપૂરી, દશેરી સૌથી વધુ પ્રખ્યાત છે.

કેરીની અલગ અલગ જાત વિશે જાણોઃ

  • કેસર
  • હાફુસ
  • કાગડા
  • લંગડો
  • રાજાપૂરી
  • તોતાપૂરી
  • દશેરી
  • પાયરી
  • સરદાર
  • નીલમ
  • આમ્રપાલી
  • બેગમપલ્લી
  • વનરાજ
  • નિલ્ફાન્સો
  • જમાદાર
  • મલ્લિકા
  • રત્ના
  • સિંધુ
  • બદામ
  • નિલેશ
  • નિલેશાન
  • નિલેશ્વરી
  • વસી બદામી
  • દાડમીયો

કેરીની વાત આવે એટલે કેસરની વાત આવે. કેસરની વાત આવે એટલે વાહ વાહ થઈ જાય. એમાંય ગુજરાતના જૂનાગઢની કેસરની તો વાત જ ના પૂછો. કેસર નામ પડે એટલે જૂનાગઢની કેસર જ નજર સામે આવે. તેનો આકાર અને રંગ આકર્ષક છે, સાથે જ તેનો સ્વાદ પણ ખૂબ જ અદ્ભૂત છે. કેસરનું આકર્ષણ દેશ વિદેશમાં જોવા મળે છે. જૂનાગઢની જમીન સાથે જ જોડાયેલો છે કેરીના નામાંકરણનો ઈતિહાસ...જાણવા જેવો છે કેસર કેરીનો ભવ્ય ઈતિહાસ...

90 વર્ષ પહેલા જુનાગઢના નવાબે કેરીને આપ્યું હતું ‘કેસર’ નામઃ
આ ઘટના ભારત દેશ આઝાદ થયો તે પહેલાની છે. વર્ષ 1930માં વંથલીની સીમમાં આંબાના બગીચાઓ આવેલા હતા. તે સમયે સાલેભાઇના નામ વ્યક્તિ જુનાગઢના વજીર હતા. તેઓ આંબાવાડીની મુલાકાતે ગયા ત્યારે તેની બાજુની વાડીમાં કેરીનો પાક જોયો અને તે માંગરોળ સ્થિત પોતાના મિત્ર જહાંગીર મિયા શેખને ચખાડવા લઈ ગયા. કેરી ખાઇને જહાંગીર મિયાએ તેમના દરબારીઓને પૂછતા તેમણે કહ્યું કે આજ સુધી આટલી સ્વાદિષ્ટ કેરી અમે ક્યારેય ખાધી નથી. સૌના મનમાં સવાલ થયો કે આ કેરીનું નામ શું રાખવું ? ત્યારે સહમતીથી નિર્ણય લેવાયો કે આ કેરીની શોધ સાલેભાઇએ કરી હોવાથી તેનું નામ સાલેભાઇની આંબળી રાખવું જોઈએ. ત્યારબાદ આ કેરી સાલેભાઈની આંબળીના નામે ઓળખાવા લાગી. ઉપરાંત આ કેરીની શોધ કરવા બદલ સાલેભાઈને સાલેહિંદનો ઈલ્કાબ પણ આપવામાં આવ્યો હતો.

માંગરોળની આ ઘટનાની જાણ તત્કાલિન જૂનાગઢના નવાબને થઈ તેમણે આ બાબતે વધુ શોધખોળ માટે બાગાયતી શાસ્ત્રના નિષ્ણાંત આયંગર સાહેબની મદદ મેળવી હતી. બાગાયતી શાસ્ત્રી આયંગર સાહેબે સાલેભાઇની સાથે મળીને તે આંબાના ઝાડોની મુલાકાત લીધી અને 97 કલમના વર્ધન માટે આદેશ આપ્યો. આ કલમ છોડમાંથી આંબાના વૃક્ષો બન્યા, વર્ષ 1934માં કેરી લાગી અને તેને ઝાડ પરથી ઉતારીને જૂનાગઢના નવાબ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

‘કેસર’ ના નામ સાથે જોડાયેલી રસપ્રદ વાતઃ
જૂનાગઢના નવાબ મહાબત ખાન બીજાના સમયગાળા દરમિયાન જે કેરી સાલેભાઈની આંબડીથી ઓળખાતી હતી, એ કેરીને મહાબત ખાન ત્રીજાના વખતમાં કેસર તરીકે ઓળખ મળી હતી. જૂનાગઢ સ્ટેટના ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ એ.એસ.કે. આયંગરે 25 કલમ વંથલીથી મંગાવીને વૈજ્ઞાનિક ઢબ સાથે આંબડીનો ઉછેર શરુ કરાવ્યો હતો. જેના ત્રણેક વર્ષ બાદ તેઓની દેખરેખ હેઠળ ગુણવત્તાસભર કેરીના ઉત્પાદનને મેળવવામાં આવ્યુ હતું.

કઈ રીતે નવાબે કેરીને આપ્યું કેસરનું નામ?
તૈયાર થયેલા આંબાની કેરી ઉતરવા લાગતા તેને નવાબ અને તેમના દરબારીઓએ સ્વાદ માણીને તેના ભરપૂર વખાણ કર્યા હતા. કેરીના રેસા વગરના કેસરી ગર્ભ અને તેની સુગંધને લઈ કેરીને માટે કેસર નામ આપવામાં આવ્યું હતુ. આમ સાલેભાઈની આંબડીમાંથી આ કેરીને કેસર તરીકે ઓળખવામાં આવી હતી. 25, મે 1934ના દિવસે જૂનાગઢના નવાબે સેલાભાઇની આંબડીનું નામ કેસર આપ્યુ હતુ. આ દિવસે નવાબને કેસર કેરીને પીરસવામાં આવી હતી. તેનો રંગ અને સ્વાદ જોઈ કેસર નામ આપવામાં આવ્યુ હતુ. બસ ત્યારથી દેશ અને દુનિયામાં કેસર કેરી જાણીતી બની છે.

નામાંકારણની એક દંતકથા એવી પણ છે....
જૂનાગઢના નવાબના દરબારમાં માંગરોળની ઘટનાનું ફરી પુનરાવર્તન કરાયું. દરેક દરબારીને કેરી ચખાડવામાં આવી અને નામ શું રાખવું તે વિશે પુછ્યું. તે સૌએ એકમતમાં કહ્યું કે, આવું સુગંધીત અને રેસા વાળું ફળ આજ દિન હજુ સુધી ખાધું નથી અને તેની મીઠાસ કેસર જેવી છે. તેથી આ કેરીનું નામ ‘કેસર’ રાખવું જોઇએ. બસ ત્યારથી તે ‘કેસર કેરી’ તરીકે ઓળખવામાં આવી...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news