અમદાવાદ સિવિલમાં બે દર્દીઓ પર અતિ જટીલ ગણાતી "રોટેશન પ્લાસ્ટી સર્જરી" હાથ ધરાઇ

કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારની સાથે-સાથે કેન્સર હોસ્પિટલના તબીબોએ અત્યંત રેર કહી શકાય તેવી સર્જરી સફળતાપુર્વક પાર પાડીને પોતાની તબીબી કુશળતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. 

 અમદાવાદ સિવિલમાં બે દર્દીઓ પર અતિ જટીલ ગણાતી "રોટેશન પ્લાસ્ટી સર્જરી" હાથ ધરાઇ

અમદાવાદઃ અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કોરોનાકાળમાં કોરોનાની સાથે સાથે નોન કોવિડ કેન્સરના દર્દીઓની શ્રેષ્ઠ સારવારના ઉત્તમ ઉદાહરણ સામે આવ્યા છે. 

તાજેતરમાં દિવાળીના તહેવાર દરમિયાન જ્યારે અમદાવાદ શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો ત્યારે સિવિલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડીંગને પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા માટે કાર્યરત કરાવવામાં આવી છે. 

કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારની સાથે-સાથે કેન્સર હોસ્પિટલના તબીબોએ અત્યંત રેર કહી શકાય તેવી સર્જરી સફળતાપુર્વક પાર પાડીને પોતાની તબીબી કુશળતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. 

સમગ્ર ભારતભરમાં જૂજ હોસ્પિટલમાં જ થતી “રોટેશન પ્લાસ્ટી” નામની સર્જરી કેન્સર હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં બે અલગ- અલગ દર્દીઓ પર હાથ ધરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં ૮થી ૧૦ લાખના ખર્ચે થતી આ પ્રકારની જટીલ સર્જરીને ગુજરાત  સરકારની કાર્યરત વિવિધ યોજના હેઠળ બંને દર્દીઓને નિઃશુલ્ક કરવામાં આવી છે. 

કેન્સર હોસ્પિટલમાં રાજસ્થાનની ૧૨ વર્ષીય દિકીરી અસ્મિતા અને મધ્યપ્રદેશના ૯ વર્ષીય અમિત પર રેર ગણાતી રોટેશન પ્લાસ્ટી નામની સર્જરી હાથ ધરવામાં આવી હતી. 

આ બંને દર્દીઓ હાડકાના કેન્સરના કારણે ઘણી તકલીફ અનુભવી રહ્યા હતા. તેઓને હલન-ચલનમાં તકલીફ પડી રહી હતી. રાજસ્થાનના દર્દી સુનિતાના પિતાનું કહેવું છે કે હાડકામાં થયેલા કેન્સરના કારણે રાજસ્થાનની વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે જતા ત્યાના તબીબોએ હાથ ઉંચા કરી દીધા હતા. ત્યાંના તબીબોએ તેમની  દિકરીની બચી શકવાની સંભાવના પણ નહીવત બતાવતા તેમના પરિવારમાં ગમગીન વાતાવરણ છવાઇ ગયુ હતુ. ક્યાંય પણ આશાનું કિરણ નજર આવી રહ્યુ ન હતુ. એવામાં રાજસ્થાનના એક તબીબ દ્વારા અમને અમદાવાદ  સિવિલ સંકુલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં  આ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ થઇ શકશે તે દિશા તરફ માર્ગ ચિંધવામાં આવ્યો.અમે બીજા જ દિવસે અમારી દિકરીને લઇને કેન્સર હોસ્પિટલ આવી પહોચ્યા. 

 અહીંના ઓર્થોપેડિક ઓન્કોસર્જરી વિભાગમાં મારી દીકરીની સ્થિતિ બતાવતા ત્યાના તબીબો દ્વારા એમ.આર.આઇ., બાયોપ્સી જેવા રીપોર્ટ કરાવવામાં આવ્યા. બાળકોને કેન્સર હોવાથી તેમને કીમો આપીને સ્વાસ્થયને લગતા પરિમાણો સામાન્ય કરવામાં આવ્યા. સ્વાસ્થયને્ લગતા રીપોર્ટ સામાન્ય આવી જતા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ. 

કેન્સર હોસ્પિટલના ઓર્થોપેડિક ઓન્કોલોજી વિભાગના ડૉ. અભિજીત સાલુન્કે અને તેમની ટીમ દ્વારા એન્સ્થેસિયા વિભાગના સહયોગથી સમગ્ર સર્જરી હાથ ધરવામાં આવી. સામાન્ય રીતે પગના ભાગમાં જ્યાં ટ્યુમર હોય તેને કાઢી નાંખવામાં આવે છે. પરંતુ બંને બાળકોના કિસ્સામાં લોહીની નસો , ચેતાતંતુને જોડતી નસો અલગ કરવી  જરૂરી હતી.કેન્સરના ટ્યુમરથી આ નસોને અલગ કરવામા ન આવે તો સર્જરી બાદ આ નસો  બ્લોક થઇ જવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હતી. 

આ તમામ ગંભીરતાઓ વચ્ચે ૫-૬ કલાકની જહેમત બાદ સમગ્ર સર્જરી સફળતાપુર્વક પાર પડી. રોટેશન પ્લાસ્ટી સર્જરીમાં બંને દર્દીઓના ઘૂંટણના ભાગને પગના પંજાથી જોડવામાં આવ્યુ છે.જેથી હવે આગામી સમયમાં પંજાનો ભાગ ઘૂંટણનું કામ કરશે. સમય જતા પ્રોસ્થેસિસ લેગ (કૃત્રિમ પગ) લગાવવાથી દર્દી આસાનીથી ચાલી શકશે.

કેન્સર હોસ્પિટલના ડાયરેકટર ડૉ. શશાંક પંડ્યા કહે છે કે" રાજ્ય સરકારના સહયોગથી અમારી જી.સી.આર.આઇ.માં સમગ્ર ભારતભરમાંથી આવતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. અતિ મોંધી સારવાર પણ સરકારી યોજના હેઠળ નિઃશુલ્ક કરવામાં આવે છે.ગુજરાત સરકારની દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતના કારણે અમારી હોસ્પિટલમાંથી ઘણાંય દર્દીઓ પીડામુક્ત થઇને ગયા છે. 

દિવાળીના તહેવાર દરમિયાન અમારી કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડીંગની કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે કાર્યરત કરવામાં આવ્યુ છે. તે દરમિયાન પણ અમારી કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓની સારવાર શ્રેષ્ઠપણે ચાલી રહી છે. આ સમયગાળા દરમિયાન  અમારી હોસ્પિટલમાં ૧૫૦ થી વધારે અતિ જટિલ ગણાતી સર્જરી હાથ ધરવામાં આવી છે.

▪શું છે "રોટેશનપ્લાસ્ટી"  સર્જરી....
 જ્યાં પગની ઘૂંટણની સંયુક્ત અસ્થિભંગ પછી ઘૂંટણની સંયુક્ત 180 ડિગ્રી દ્વારા પગનું પરિભ્રમણ કરવામાં આવે છે. આ પ્રકારની રોટેશનપ્લાસ્ટી એ એક જટીલ સર્જિકલ પ્રક્રિયા છે જે નીચલા હાથપગના હાડકાની ગાંઠ માટે વપરાય છે અને તે એક પ્રકારની સુધારેલી વિચ્છેદન શસ્ત્રક્રિયા છે. આ શસ્ત્રક્રિયા એ અંગ બચાવ અને અંગવિચ્છેદન શસ્ત્રક્રિયા વચ્ચેનો માર્ગ છે.આ સર્જરી દરમિયાન ઘૂંટણ અને પંજા વચ્ચેના જે ભાગમાં કેન્સરનું ટ્યુમર હોય તેને કાપીને બંને ભાગને જોડવામાં આવે છે. જેથી સર્જરી બાદ સામાન્ય પગની તુલનામાં અંગ ટૂંકા બને છે અને પુન રીકવરી બાદ પગ પર કૃત્રિમ અંગ પ્રત્યારોપણ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news