ગુજરાતના બાળકોનું ભવિષ્ય અંધકારમય, આંધળા પણ બની શકે છે તેવો ડરામણો રિપોર્ટ

43% pre-school students poor eye-sight : અમદાવાદની બે શાળાનો સરવે... પ્રિ-સ્કૂલના કુલ 1,723માંથી 43% વિદ્યાર્થીઓની પ્રાથમિક તપાસમાં આંખની દ્રષ્ટિ નબળી જોવા મળી 

ગુજરાતના બાળકોનું ભવિષ્ય અંધકારમય, આંધળા પણ બની શકે છે તેવો ડરામણો રિપોર્ટ

Ahmedabad Students અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. કારણ કે, જો આ બાબત પર ધ્યાન નહિ અપાય તો ભવિષ્યમાં અનેક બાળકોની દ્રષ્ટિ જતી રહે તેવુ બની શકે છે. કારણ કે, એક ચોંકાવનારો રિપોર્ટ એવુ કહે છે કે, ગુજરાતના પ્રી-સ્કૂલની ઉંમરના 43% બાળકોની દ્રષ્ટિ નબળી પડી રહી છે. આઉટડોર ગેમ્સનું ઓછું એક્સપોઝર અને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં વધારો થવાના લીધે પ્રી-સ્કૂલની ઉંમરના 43% બાળકોની દ્રષ્ટિ નબળી પડી રહી છે. અમદાવાદની બે ખાનગી શાળાઓ દ્વારા છ વર્ષથી ઓછી ઉંમરના 1,723 વિદ્યાર્થીઓની આંખોની તપાસ કરી હતી. જેમાં આ ખુલાસો થયો છે. 

અમદાવાદની બે ખાનગી શાળા દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી આંખની તપાસના ચોંકાવનારા પરિણામોએ પ્રી-સ્કૂલના બાળકોને અસર કરતા આ મુદ્દે ગંભીર ચિંતા જગાવી છે. તારણો મુજબ, 2.5 વર્ષથી 6 વર્ષની વયના આશરે 43% બાળકોની દ્રષ્ટિ નબળી છે. આ વિદ્યાર્થીઓમાંથી, લગભગ પાંચમા ભાગના બાળકોને દ્રષ્ટિ સુધારવા માટે તાત્કાલિક ચશ્માંની જરૂર છે.

બાળકોની એકંદર સુખાકારી જાળવવાના મહત્વને સમજીને અમદાવાદની બે અગ્રણી પ્રી-સ્કૂલ્સે ગયા અઠવાડિયે નર્સરીથી સિનિયર કેજી સ્તરના 1,723 વિદ્યાર્થીઓ માટે મફત આંખની તપાસનું આયોજન કર્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય નાની વયના વિદ્યાર્થીઓના આંખના સ્વાસ્થ્ય સહિત એકંદરે આરોગ્યનું મૂલ્યાંકન કરવાનો હતો. આ તપાસના પરિણામથી માતા-પિતા, શિક્ષકો અને વિશાળ સમુદાયમાં બાળપણથી જ બાળકોની આંખના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના મહત્વ વિશે જાગૃતિ આવી છે.

સ્ક્રીનીંગના મુખ્ય તારણો:

• પ્રિ-સ્કૂલના કુલ 1,723માંથી 43% વિદ્યાર્થીઓની પ્રાથમિક તપાસમાં આંખની દ્રષ્ટિ નબળી જોવા મળી 
• મોટાભાગના માતાપિતા તેમના કન્સલ્ટિંગ ડોક્ટર સાથે સેકન્ડરી ઇન્વેસ્ટિગેશન માટે ગયા, પ્રાથમિક તપાસના તારણોને પ્રમાણિત કર્યા અને સુધારાત્મક પગલાં લેવાનું શરૂ કર્યુ. ઘણા પ્રિસ્કૂલર્સે ચશ્મા પહેરવાનું શરૂ કર્યું
• ડોકટરોના મતે, નવી સામાન્ય જેમ કે આઉટડોર પ્રવૃત્તિઓનું ઓછું સંપર્કમાં આવવું અને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં વધારો એ આંખોની નબળી દ્રષ્ટિનું મુખ્ય કારણ છે. બાળકોએ પૌષ્ટિક ખોરાકની સાથે તંદુરસ્ત આંખની દ્રષ્ટિ માટે એક કલાક સૂર્યપ્રકાશમાં રહેવું જોઈએ.
• તાજેતરના અભ્યાસ મુજબ ભારત એવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે જેમાં વર્ષ 2050 સુધીમાં 50% વસ્તી માયોપિક (માઈનસ નંબર) ધરાવતી હશે.

શાળાના ડિરેક્ટરે શૈક્ષણિક કાર્યોની સાથે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સુખાકારી પર સમાન ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. “માતા-પિતાને આ હકીકતથી વાકેફ કરીને, અમારો ધ્યેય એ છે કે તેમને વહેલા તબક્કે સુધારાત્મક પગલાં લેવા માટે સશક્ત બનાવીએ જેથી સમસ્યાઓ વધુ ગંભીર ન બને. ગયા વર્ષના આંખ પરીક્ષણના તારણોને પગલે, શાળાએ આ વર્ષે નિષ્ણાંત બાળરોગના નેત્રરોગ ચિકિત્સકો (પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટ્સ) સાથે સહયોગ કરવાનું નક્કી કર્યું છે જેથી ચોક્સાઈપૂર્વકના પરિણામો મેળવી શકાય”.

અભ્યાસમાં આ નાના બાળકોમાં હાલ જોવા મળેલી નબળી દ્રષ્ટિ માટે ત્રણ પ્રાથમિક કારણો જવાબદાર છે. ઘરની બહાર કરાતી અપૂરતી પ્રવૃત્તિઓ અને ઓછો સૂર્યપ્રકાશ, વધુ પડતો સ્ક્રીન સમય, ઘરની અંદર રહીને કરાતી પ્રવૃત્તિઓમાં ઝડપી વધારો અને મર્યાદિત પૌષ્ટિક ખોરાક જેવા પરિબળો આ સમસ્યાના કારણો તરીકે જાણવા મળ્યા હતા. 

સંવેદનશીલ સરકારનો વધુ એક નિર્ણય, મહિલા ધારાસભ્યો માટે કરી મોટી જાહેરાત
 
બાળકોની આંખની તપાસ હાથ ધરનાર અમદાવાદના પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજીસ્ટ અને સ્ક્વિંટ સ્પેશિયાલિસ્ટ ડો. નુતિ શાહે સમજાવ્યું હતું કે “ઘરની બહાર કરાતી પ્રવૃત્તિઓનો અભાવ અને સ્ક્રીન પર વધુ પડતી નિર્ભરતાને કારણે આ બાળકોમાં લાંબા અંતરની દ્રષ્ટિ ઝાંખી પડી છે. આપણે એવી પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ, જેમાં વર્ષ 2050 સુધીમાં 50% વસ્તી માયોપિક (માઈનસ નંબર) હશે. આવી સ્થિતિમાં પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજિસ્ટ દ્વારા 3 વર્ષની ઉંમરે બાળકોની ફરજિયાત આંખની તપાસ અને ત્યાર બાદ વાર્ષિક ધોરણે તપાસની ભલામણ કરવામાં આવે છે. તમારા બાળકની આંખની તંદુરસ્તી જાળવવા માટે સૂર્યપ્રકાશના યોગ્ય સંપર્કમાં રહીને ઘરની બહાર બે કલાકની આઉટડોર એક્ટિવિટી તથા સ્ક્રીન સમય અને ઈનડોર એક્ટિવિટી મર્યાદિત કરવી જરૂરી છે.”

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news