ખેડૂતો માટે મોટા સમાચાર: સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ રાખવામાં આવી

ખેડૂતો માટે મોટા સમાચાર: સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ રાખવામાં આવી

* પાંચ દિવસ માટે મગફળી ખરીદીની પ્રક્રિયા મોકુફ કરવામાં આવી
* વરસાદી માહોલના કારણે લેવાયો નિર્ણય પુરવઠા મંત્રી જયેશ રાદડીયા
* 26 તારીખને સોમવારથી રાબેતા મુજબ મગફળી ખરીદવાની પ્રક્રિયાનો પ્રારંભ

હિતલ પારેખ/ગાંધીનગર : ટેકાના ભાવે મગફળીની ખરીદી જ્યાં સુધી છેલ્લો ખેડૂત મગફળી નહી વેચાય ત્યાં સુધી ચાલુ જ રાખવામાં આવશે તેવું વચન ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું. જો કે અચાનક હવે મગફળીની ટેકાના ભાવે ખરીદી અટકાવી દેવામાં આવી છે. આ અંગે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવી છે. હાલ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે નહી જવાની અપીલ કરવામાં આવી છે. જો કે તેની પાછળનું કારણ અલગ છે.

હાલમાં જે પ્રકારે વરસાદી માહોલ છે તેને જોતા ગમે તે ઘડીએ કમોસમી વરસાદ તુટી પડે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તો ડુંગળી અને મગફળી પલળી પણ ગયાના કિસ્સા સામે આવ્યા છે. જેમાં કેટલાક કિસ્સામાં ખેડૂતનો પાક તો કેટલાક કિસ્સામાં સરકારે ખરીદેલો પાક પલળી ગયાની ઘટનાઓ બની છે. તેવામાં હાલ ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ પાંચ દિવસ માટે વેચાણ કરવા માટે નહી આપવાનું જણાવવામાં આવ્યું છે. જેથી પલળવાની ચિંતા ન રહે ન તો ખેડૂતને કે ન તો સરકારને.

જો કે જયેશ રાદડિયા દ્વારા બાંહેધરી આપવામાં આવી કે આ નિર્ણય માત્ર અને માત્ર વાતાવરણને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. માટે કોઇ પ્રકારનું રાજકારણ કે આક્ષેપો ન થવા જોઇએ. 26મી ઓક્ટોબરથી ફરી એકવાર રાબેતામુજબ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવશે. જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા ખેડૂતની મગફળીનું વેચાણ નહી થઇ જાય ત્યાં સુધી આ ખરીદી ચાલુ રાખવામાં આવશે. માટે ખેડૂતોને ગભરાવાની કે કોઇ પણ વેપારી કે રાજકીય પક્ષનાં પ્રલોભનમાં આવવાની જરૂર નથી. સરકાર 26મી ઓક્ટોબરથી રાબેતામુજબ ફરી એકવાર ખરીદી પૂર્વવત રીતે શરૂ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news