સ્પે.એજ્યુકેટર્સની ભરતીમાં ભોપાળું! દિવ્યાંગ બાળકોના શિક્ષકોની દયનીય સ્થિતિ! ક્યારે થશે ભરતી?

Special Educator: સ્પેશિયલ એજ્યુકેટરની 3 હજાર જગ્યા માટે પરિક્ષા લેવામાં આવી. તેમાં માત્ર 188 લોકોને જ પાસ કરાયા. જેમાંથી માત્ર 139નો જ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષકોનો એવો પણ આરોપ છેકે, કાયમી ભરતી કરવી ના પડે એથી શિક્ષણ સચિવ વિનોદ રાવ દ્વારા કોઈકને કોઈક હથકંડ્ડા કરવામાં આવતા હોય છે. 

સ્પે.એજ્યુકેટર્સની ભરતીમાં ભોપાળું! દિવ્યાંગ બાળકોના શિક્ષકોની દયનીય સ્થિતિ! ક્યારે થશે ભરતી?

Special Educator: સ્પેશિયલ એજ્યુકેટરની 3 હજાર જગ્યા માટે પરિક્ષા લેવામાં આવી. તેમાં માત્ર 188 લોકોને જ પાસ કરાયા. જેમાંથી માત્ર 139નો જ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની કદાચ આવી પહેલી ભરતી હશે જેમાં આ પ્રકારે ભરતીના પરિણામો અપાયા છે. નામ પુરતી ભરતીની પ્રક્રિયા કરવામાં આવે છે પણ ભરતી કરવામાં આવતી નથી.

દિવ્યાંગ બાળકો અને તેમના શિક્ષકો બન્નેની દયનીય સ્થિતિ! 
ઉલ્લેખનીય છેકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શારીરિક ખોડ-ખાપણ ધરાવનારી વ્યક્તિઓને વિશેષ સન્માન આપીને સમાજમાં તેમને માન મળે તે આશથી તેમને 'દિવ્યાંગ' નામ આપ્યું. આવા બાળકોને ભણાવવા માટે જીવનમાં પગભર કરવા માટે તેમને યોગ્ય પ્રશિક્ષકની જરૂર હોય છે. એક સ્પેશિયલ એજ્યુકેટર જ તેમને આ તાલીમ આપી શકે છે. પણ ગુજરાતમાં એવા હજારો દિવ્યાંગ વિદ્યાર્થીઓ હાલ ભગવાન ભરોસે છે. એમને ભણાવવા સ્પેશિયલ એજ્યુકેટર્સ એટલેકે, સ્પેશિયલ શિક્ષકો નથી. જે છે તેમને કોન્ટ્રાક્ટ પર થોડા પૈસા આપીને મજુરી કરાવવામાં આવે છે તેવો આરોપ પણ શિક્ષકો લગાવી રહ્યાં છે.

વર્ષોથી કરાર આધારિત નોકરી કરતા સ્પેશ્યિલ એજ્યુકેટર્સની કાયમી ભરતી ક્યારે?
કેન્દ્ર સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતમાં ક્લ્સ્ટર કક્ષાએ સામાન્ય પગારમાં આવા સ્પેશિયલ એજ્યુકેટર્સ તરીકે હજારો શિક્ષકો ગામડે ગામડે જઈને દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓને પ્રશિક્ષિત કરે છે. આમાંથી ઘણાં શિક્ષકો છેલ્લાં 10 વર્ષથી કરાર આધારિત નોકરી કરે છે. વારંવાર સરકાર દ્વારા એમને કાયમી ભરતીની રૂપેરી થાળી બતાવીને એમના મુખમાંથી કોળિયો છીનવી લેવામાં આવે છે. આ વખતની ભરતીમાં પણ કંઈક એવા જ ઘાટ ઘઢાયા છે. ગુજરાતમાં દિવ્યાંગ બાળકોની ચિંતા કરવાની જરૂર છે. એમના માટે સામાન્ય શિક્ષકો ન ચાલે. દિવ્યાંગ બાળકો એટલેકે, સ્પેશિયલ ચાઈલ્ડને ભણાવવા તેમને પગભર કરવા તેમને પ્રશિક્ષિત કરવા માટે સ્પેશિયલ એજ્યુકેટરની જરૂર પડતી હોય છે. સ્પેશિયલ બીએડ કરીને વર્ષોથી સમગ્ર શિક્ષા અભિયાનમાં સામાન્ય પગારમાં ગામડે ગામડે ધક્કા ખાતા શિક્ષકોની ભરતીમાં ભોપાળું થયું છે. તેઓ ખાતાકીય ભરતીથી સમાવેશ કરવાની માંગ કરી રહ્યાં છે. 

શિક્ષકોનો એવો પણ આરોપ છેકે, કાયમી ભરતી કરવી ના પડે એથી શિક્ષણ સચિવ વિનોદ રાવ દ્વારા કોઈકને કોઈક હથકંડ્ડા કરવામાં આવતા હોય છે. સ્પેશિયલ એજ્યુકેટર્સની કાયમી ભરતીથી સરકારની તિજોરી પર બોજો ના આવે એવું કરીને સરકાર પાસેથી શાબાશી મેળવવા માંગે છે એવું અનેક કરાર આધારિત શિક્ષકો જણાવી ચુક્યા છે. તેમની એવી પણ ફરિયાદ છેકે, દિવ્યાંગ બાળકોના શિક્ષકોની સંખ્યા સામાન્ય શિક્ષકો કરતા ખુબ ઓછી છે. તેમનું સંગઠન ખુબ નાનું છે. તેથી સરકાર કક્ષાએ પણ તેમની રજૂઆતોની કોઈ નોંધ લેવામાં આવતી નથી. ઉલ્લેખનીય છેકે, ગુજરાત સરકારના માનીતા અધિકારી આ એજ વિનોદ રાવ છે, જેના પર વડોદરામાં થયેલાં હરણીકાંડમાં નિર્દોષોના મોતના મામલે તપાસ ચાલી રહી છે. ત્યારે આવા શિક્ષકોને એક માત્ર આશા ગુજરાતના મૃદુ અને સેવાભાવી સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે છે. વર્ષોથી તેઓ દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ એજ્યુકેટર તરીકે કરાર આધારિત નોકરી કરે છે. તેમને કાયમી કરવાની માંગ કયારે પુરી થશે? 

દિવ્યાંગ બાળકોના શિક્ષકોની ક્રૂર મજાક!
સરકાર કાયમી ભરતીનું રૂપકડું નામ આપીને દિવ્યાંગ બાળકોના શિક્ષકો સાથે ક્રૂર મજાક કરી રહી છે. શિક્ષકોની માનીએ તો આ વખતે પણ સ્પેશિયલ એજ્યુકેટર્સની ભરતીની જાહેરાતો થઈ, 3 હજાર સ્પેશિયલ એજ્યુકેટર્સની કાયમી ભરતી કરવાના દાવા થયા અને પછી પરીક્ષા લેવાઈ એમાં ભોપાળું વળ્યું. રાજ્યમાં 3 હજાર જગ્યા ભરવા માટે પરીક્ષા લેવાઈ હતી, જેમાં 188 જ પાસ થયા. સ્પેશિયલ એજ્યુકેટરની 3 હજાર જગ્યા સામે મેરિટ યાદીમાં 139નો સમાવેશ કરવામાં આવ્યો. એમાં પણ પેપર ચેકિંગથી લઈને પરિણામ આપવાની પ્રક્રિયામાં ખુબ લાલિયાવાડી ચલાવવામાં આવી છે. વર્ષ પહેલાં લેવાયેલી પરિક્ષાના પરિણામોના હજુ સુધી ઠેકાણાં પડ્યાં નહોતાં. ઓનલાઈન કંઈક જુદુ પરિણામ અને ઘરે મોકલેલી માર્કશીટમાં કંઈક જુદું પરિણામ આવા કિસ્સાઓ પણ સામે આવ્યાં. 

મહત્ત્વનું છેકે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે 3 હજાર જેટલા સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવ્યા બાદ જાહેર કરાયેલા પરિણામમાં માત્ર 188 ઉમેદવારો જ પાસ થયા હતા. જોકે, હવે સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટે ભરતી સમિતિ દ્વારા કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 139 ઉમેદવારોનો મેરિટ યાદીમાં સમાવેશ થયો હોવાનું જાણવા મળે છે. આમ, 3 હજારની ભરતી સામે માત્ર 139 ઉમેદવારોનો જ મેરિટ યાદીમાં સમાવેશ થતાં સમગ્ર ભરતી પ્રક્રિયા ફારસરૂપ સાબિત થઈ હોવાનું જાણવા મળે છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લા શિક્ષણ સમિતિ તથા નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ-૩ની ભરતી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતી માધ્યમમાં ધોરણ-1થી 5 અને ધોરણ-6થી 8 માટે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિ તરફથી મળેલી ખાલી જગ્યાઓની સામે સરકાર દ્વારા મંજૂર થયેલી જગ્યાઓના સંદર્ભમાં સપ્રમાણ વહેંચણી આધારે મળેલી માંગણી પત્રક મુજબની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવાનું નક્કી કરાયું હતું. જેના માટે 19 ફેબ્રુઆરી, 2024થી 28 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

રાજ્યમાં સ્પેશિયલ એજ્યુકેટરની કુલ 3 હજાર જેટલી જગ્યાઓ ભરવામાં આવનાર હતી. જેમાં ધોરણ-1થી 5માં 1861 જગ્યાઓ હતી, જેમાં સામાન્ય કેટેગરીની 950, SC કેટેગરીની 122, ST કેટેગરીની 199, SEBC કેટેગરીની 425, આર્થિક નબળા વર્ગની 165 જગ્યાઓ ભરવાનું નક્કી કરાયું હતું. જ્યારે ધોરણ-6થી 8માં 1139 જગ્યાઓ, જેમાં સામાન્ય કેટેગરીની 592, SC કેટેગરીની 65, ST કેટેગરીની 127, SEBC કેટેગરીની 265 અને આર્થિક નબળા વર્ગની કેટેગરીની 90 જગ્યાઓ ભરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધોરણ-1થી 5માં કુલ જગ્યા પૈકી જિલ્લા રોસ્ટર રજિસ્ટર મુજબ 4 ટકા શારિરીક અશક્તતા ધરાવતા ઉમેદવારોની 69 જગ્યા અને ધોરણ-6થી 8માં 40 જગ્યા ભરવામાં આવનાર હતી.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ એજ્યુકેટરની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ધો.1થી 5માં 1861 અને ધો.6થી 8માં 1139 જેટલા સ્પેશ્યલ એજ્યુકેટરની ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 25 મે, 2023ના રોજ આ પરીક્ષાનું આયોજન કર્યું હતું. ધો.1થી 5ની શાળાઓમાં સ્પેશ્યલ એજ્યુકેટર બનવા માટે સમગ્ર રાજ્યમાંથી 2273 ઉમેદવારો નોંધાયા હતા અને તેમાંથી પરીક્ષા વખતે 1927 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધો.6થી 8ની શાળાઓમાં સ્પેશ્યલ એજ્યુકેટર બનવા માટે સમગ્ર રાજ્યમાંથી 2034 ઉમેદવારો નોંધાયા હતા અને તેમાંથી પરીક્ષા વખતે 1803 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષા પુર્ણ થયા બાદ જુલાઈ-2023ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પેશ્યલ એજ્યુકેટર માટેની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. 

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં ધો.1થી 5ની શાળાઓમાં સ્પેશ્યલ એજ્યુકેટર બનવા માટે લેવાયેલી પરીક્ષામાં માત્ર 35 ઉમેદવારો જ પાસ થવામાં સફળ રહ્યા હતા. જ્યારે ધો.6થી 8ની શાળાઓમાં સ્પેશ્યલ એજ્યુકેટર બનવા માટેની પરીક્ષામાં 153 ઉમેદવારો સફળ રહ્યા હતા. આમ, બંને મળીને કુલ 188 ઉમેદવારો જ સ્પેશ્યલ એજ્યુકેટર બનવા માટે લાયક બન્યા હતા. હવે જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ લાંબા સમયથી ભરતી માટેની કાર્યવાહી અટકી હતી. જોકે, હવે ભરતી સમિતી દ્વારા સ્પેશિયલ એજ્યુકેટર માટેની કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી છે. જેમાં વિવિધ કેટેગરીમાં 139 ઉમેદવારોનો મેરિટ યાદીમાં સમાવેશ કરાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news