લગ્નના વરઘોડામાં સ્પ્રાઈટ ઉડાડવાની ના પાડતા ખેલાયો ખૂની ખેલ! સામાન્ય બોલાચાલીમાં ખંજર ભોંકી હત્યા

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના છેવાળાના ગામ રતનપુરા ગામે લગ્ન પ્રસંગે નિકળેલા વરઘોડામાં નાચતા સમયે સ્પ્રાઈટ (સોડા) ઉડાડી રહેલા યુવકને એક વડીલે તેવું કરવા માટે ના પાડતા યુવક અને વડીલ વચ્ચે ચમક ઝરી હતી.

લગ્નના વરઘોડામાં સ્પ્રાઈટ ઉડાડવાની ના પાડતા ખેલાયો ખૂની ખેલ! સામાન્ય બોલાચાલીમાં ખંજર ભોંકી હત્યા

ઝી બ્યુરો/પંચમહાલ: લગ્ન પ્રસંગમાં ગ્રામ્ય વિસ્તારોમાં યોજાતા ડીજે સાથેના વરઘોડામાં સામાન્ય બાબતે થતી બોલાચાલી કે તકરાર ક્યારેક ખૂબ મોટું અને ખૂંખાર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. જો કે આવા પ્રસંગોમાં થતી સામાન્ય તકરારો ક્યારેક જીવલેણ પણ સાબિત થતી હોય છે. જ્યાં વરઘોડામાં સ્પ્રાઈટ પીણું ઉડાડવા જેવી ખૂબ જ સામાન્ય બાબતની બોલાચાલીમાં ખંજર ભોંકી હત્યા કરી નાખવામાં આવી છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના છેવાળાના ગામ રતનપુરા ગામે લગ્ન પ્રસંગે નિકળેલા વરઘોડામાં નાચતા સમયે સ્પ્રાઈટ (સોડા) ઉડાડી રહેલા યુવકને એક વડીલે તેવું કરવા માટે ના પાડતા યુવક અને વડીલ વચ્ચે ચમક ઝરી હતી. વરઘોડો પત્યા પછી આ વાતની અદાવત રાખીને યુવકના ભાઈએ વડીલના પેટમાં તીક્ષ્ણ હથિયારનો ઘા કરી આંતરડા બહાર કાઢી નાંખતા વડીલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા મોત નિપજ્યું હતું. કાલોલ તાલુકાના રતનપુરા ગામમાં હિંમતભાઈ ભલાભાઈ ગોહિલના દિકરા મહેશનો લગ્ન પ્રસંગ હોવાથી સાંજે ગામમાં મહેશનો વરઘોડો નીકળ્યો હતો. 

આ વરઘોડામાં ગામના જુવાનીયાઓ ડીજે ના તાલે મન મુકીને નાચી રહ્યા હતા, ત્યારે વરઘોડો ફરતો ફરતો ગામના શંકર ભગવાનના મંદિરે પહોંચ્યો હતો.એ સમયે વરઘોડામાં નાચી રહેલા જુવાનીયાઓ વચ્ચે ગામનો જ પૃથ્વી ઉર્ફે ભયલાલભાઈ પરમાર નામનો યુવક તેની પાસેની સ્ટ્રાઈટ (સોડા)ની બોટલથી બધા પર સોડા ઉડાડતો હોવાથી ગામના દશરથભાઈ માનાભાઈ ગોહિલે આ રીતે બધા પર સ્ટ્રાઈટ ઉડાડવાની ના પાડતા પૃથ્વી અને દશરથકાકા વચ્ચે બોલાચાલી થઇ હતી.

બોલાચાલી બાદ વરઘોડામાં બધાએ બંનેને સમજાવીને વાળી લેતા મામલો થાળે પાડયો હતો. એ ઘટના પછી પૃથ્વી ત્યાંથી પોતાને ઘેર જતો રહ્યો હતો. વરઘોડો ગામમાં ફરીને રાત્રે અગિયારેક વાગ્યાના સુમારે વરરાજાના ઘરઆંગણે પરત ફર્યો હતો. તે સમયે દશરથભાઈ માનાભાઈ ગોહિલ પોતાના પરિવારજનો અને સંબંધીઓ સાથે મંડપ નીચે શેરીમાં ઉભા હતા. એ સમયે સોડા ઉડાડી રહેલા પૃથ્વીનો ભાઈ મહેશ ભલસિંગભાઈ ઉર્ફે ભયલાલભાઈ પરમાર તેના હાથમાં તીક્ષ્ણ હથિયાર લઈ આવીને દશરથભાઈ ગોહિલના પેટમાં મારી દીધું હતું.

સૌ કોઈ લગ્ન ઉત્સાહમાં હતા અને અચાનક થયેલા આ હુમલાથી દશરથભાઇના પેટમાંથી આંતરડા બહાર નીકળી આવતા લોહી લુહાણ હાલતે જમીન ઉપર પડી ગયા હતા. ઇજાગ્રસ્ત દશરથકાકાને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ખાનગી ગાડીમાં બાકરોલ ગામથી 108 એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરીને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે તપાસીને દશરથભાઈ માનાભાઈ ગોહિલને મૃત જાહેર કર્યા હતા.

જ્યાં થોડા કલાકો પહેલા લગ્ન નો ઉત્સાહ હતો ત્યાં હવે માતમ છવાયો હતો.જેના પગલે પરિવારજનોમાં ભારે શોક છવાયો હતો.જે સમગ્ર ઘટના અંગે પરિવારજનોએ કાલોલ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપીને હથિયાર મારનાર આરોપી મહેશકુમાર ભલસીંગભાઈ ઉર્ફે ભયલાલભાઈ પરમાર (રહે. ટાંકીવાળુ ફળિયું, રતનપુરા) વિરુધ્ધમાં હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે કાલોલ પોલીસે ખાનગી બાતમીના ના આધારે હત્યારા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી તેની સામે વધુ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news