વાવેતર નિષ્ફળ જવાની ભીતિ! ગુજરાતના આ જિલ્લામાં સતત વરસાદ ચાલું રહેતા પાક નિષ્ફળ જવાની ભીતિ

ચોમાસાનો પ્રારંભ થતાં ભાવનગર જિલ્લામાં 24 જૂનથી વરસાદ શરૂ થયો હતો, અને ત્યારથી જિલ્લાના કોઈને કોઈ તાલુકા પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે

વાવેતર નિષ્ફળ જવાની ભીતિ! ગુજરાતના આ જિલ્લામાં સતત વરસાદ ચાલું રહેતા પાક નિષ્ફળ જવાની ભીતિ

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ પડી રહ્યો છે, ચોમાસાના પ્રારંભથી જ સારા વરસાદના કારણે ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી હતી. ત્યારે મોટાભાગના ખેતરોમાં હાલ પાક ઉગી નીકળ્યો છે, પરંતુ સતત થઈ રહેલા વરસાદના કારણે પાકને નુકશાન થઈ રહ્યું છે. ત્યારે હવે વરાપ નીકળે એવી આશા ખેડૂતો સેવી રહ્યા છે, ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક બળી જવાની ખેડૂતોને ભીતિ છે. 

ચોમાસાનો પ્રારંભ થતાં ભાવનગર જિલ્લામાં 24 જૂનથી વરસાદ શરૂ થયો હતો, અને ત્યારથી જિલ્લાના કોઈને કોઈ તાલુકા પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે, ચોમાસાના પ્રારંભે જ સારો વરસાદ વરસી જતા જિલ્લાના ખેડૂતો દ્વારા વાવણી કાર્યની શરૂઆત કરી દેવામાં આવી હતી, જેના કારણે જિલ્લામાં લગભગ 3 લાખ 98 હજાર હેક્ટર જમીનમાં વાવેતર કાર્ય કરી વાવણી કાર્ય પૂર્ણ કરી દીધું છે. તેમજ ખેડૂતોના ખેતરોમાં હવે વાવેલો પાક પણ ઉગી નીકળ્યો છે, વાવણી કરી દીધા બાદ એક સારા વરસાદની ખેડૂતોને આશ રહેતી હોય છે, પરંતુ સતત પડી રહેલા વરસાદના કારણે હવે ખેડૂતો મૂંઝાયા છે.

20 જૂનથી ચોમાસુ શરૂ થયું હતું અને આજે 15 જુલાઈ એટલે કે 20 દિવસ જેવો સમય વિતી ગયો પરંતુ વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, તેમજ જિલ્લાના કોઈને કોઈ તાલુકામાં હાજરી પુરાવી ભીંજવતો રહ્યો છે, ખેડૂતોએ આ વર્ષ સારું જવાની તૈયારી રૂપે કપાસ, બાજરી, જુવાર, મકાઈ અને મગફળી જેવા પાકનું વાવેતર કરી દીધું છે, પરંતુ સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો હવે મુંજવણ અનુભવી રહ્યા છે, અને કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા છે.

ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણના કારણે વિપરીત પરિસ્થિતિઓનું નિર્માણ થઇ રહ્યું છે, બીપરજોય વાવાઝોડા બાદ વરસાદ ખેંચાશે એવી ખેડૂતોને ચિંતા હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે, હવામાન વિભાગ ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહીઓ પર આગાહી કરી રહ્યું છે, ભાવનગર જિલ્લામાં છેલ્લા 20 દિવસથી વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના કારણે અનેક જળાશયોમાં નવા નીર આવતા પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થઇ ગઇ છે, ખેડૂતોના અમુક પાકને 5 દિવસે એકવાર તો કોઈ પાકને 15 દિવસે પિયત આપવાનું હોય છે, પરંતુ ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવે વરસાદ અટકે તો વરાપ નીકળે એવી ખેડૂતો આશ લગાવી રહ્યા છે.

સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે, જેના કારણે પાકને વ્યાપક નુકશાન થઇ રહ્યુ છે, પાણી ભરાવા ને લીધે મૂળનો વિકાસ નથી થતો જેના કારણે છોડનો વિકાસ રૂંધાય છે, સતત વરસાદથી પાક પીળો પડી જઈ કોહવાઈ જાય છે, શાકભાજીના પાકને પણ સતત વરસાદથી નુકશાન થઇ શકે છે, ત્યારે હવે વરસાદ અટકે એવી ખેડૂતો ઇશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news