)
Surat News સુરત : દુનિયાભરના અનેક દેશોમાં હાલ અરાજકતાનો માહોલ ફેલાયો છે. બેરોજગારી વધી રહી છે. અમેરિકામાં પણ મંદીના વાદળો મંડરાયા છે. ત્યારે ગુજરાતમાં ચળકાટ મારતા હીરા ઉદ્યોગમાં મંદી આવવાના ભણકારા વાગી રહ્યાં છે. હજી ગઈકાલે જ સુરતની કિરણ જેમ્સે કામ ન હોવાને કારણે રત્ન કલાકારોને 10 દિવસનુ વેકેશન આપી દેવાયાના ખબર આવ્યા હતા, ત્યારે હવે ગુજરાતના 23 લાખ હીરા કારીગર બેકાર બને તેવો અંદાજ છે.
ગુજરાતના લેબગ્રોન હીરાની માંગ વિશ્વભરમાં છે. ત્યારે હવે આ લેબગ્રોન હીરાની માંગ ઘટી છે. ત્યારે આ કારણે ગુજરાતના હીરા કારીગરો બેકાર બને તેવી શક્યતા દેખાઈ રહી છે. કુદરતી હીરા અને લેબગ્રોન ડાયમંડની ચમક અને એકસરખી હોય છે. ત્યારે એક જ વર્ષમાં હીરાની કિંમતમાં અંદાજે 23 ટકાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડની ઉંચી માંગને કારણે નેચરલ ડાયમંડના ભાવ તૂટ્યા છે. ત્યારે અમદાવાદના બાપુનગરના 400 કારખાનામાં કામ કરતા 60 ટકા કારીગરો હાલ બેકાર હાલતમાં છે.
કુદરતી હીરા સામે મશીનમાં બનતા લેબગ્રોન હીરાની માંગ કરતા ઉત્પાદન વધતા શહેરમાં 60 હાર કારીગરો બેરોજગાર થાય તેવી શક્યતા છે. લેબગ્રોન ડાયમંડની માંગ કરતા તેનું ઉત્પાદન વધી ગયું છે. જેની અસર ગુજરાતના હીરા બજાર પર પડી છે. હીરા ઉદ્યોગ સાથે ગુજરાતભરમાં 50 લાખ કારીગરો જોડાયેલા છે. તો ગુજરાતમાં 23 લાખ અને અમદાવાદના 60 હજાર હીરા કારીગરોને અસર પડે તેવી શક્યતા છે.
અમદાવાદમાં 40 ટકા કારીગર બેકાર
હીરા કંપનીના માલિક લલિત હીરપરાએ જણાવ્યું કે, લેબગ્રોન હિરાની માંગ વઘતાં રત્ન કલાકારો બેકારી તરફ અમદવાદ શહેરના 60 હજાર રત્ન કલાકારો પર બેકારીનો ખતરો તોળાઈ રહ્યો છે. અમદાવાદ શહેરના બાપુનગર અને નિકોલમાં 400 કારખાનામાં હાલ માત્ર 60 ટકા કારીગરોને કામ મળી રહ્યું છે. બાકીના બેકાર બેઠા છે. છેલ્લા એક વર્ષમાં કુદરતી હીરાની માંગ 23 ટકા ઘટી છે, તો લેબગ્રોન ડાયમંડની માંગ વધતાં ઉત્પાદનમાં વધારો થયો છે. ત્રણ લાખનો નેચરલ હીરો આજે 2 લાખ 20 હજારનો ભાવે પહોંચ્યો છે. પરંતુ તેની સામે લેબગ્રોન હીરાનો ભાવ માત્ર 25000 રૂપિયા છે. ચીનમાં થતી હીરાના નિકાસમાં 50 ટકાનો ઘટાડો થતાં ભાવ આવ્યા તળીયે આવ્યા છે. વર્ષ 2015માં બંને હિરા વચ્ચે 10 ટકા ભાવનો તફાવત હતો, આજે તે તફાવત 90 ટકાએ પહોંચ્યો છે. સરકાર હીરાની નિકાસ પર યોગ્ય નિર્ણય લેશે તો ભાવ વધશે. દેશમાં રત્નકલાકોરની સંખ્યા 50 લાખ તે પૈકી ગુજરાતમાં 23 લાખ અને અમદાવાદમાં 60 હજાર છે.
કિરણ જેમ્સે 10 દિવસનું વેકેશન આપ્યું
સુરતના હીરા ઉદ્યાગના ઇતિહાસમાં પ્રથમવાર કારીગરોને લાંબી રજા જાહેર કરાઈ છે. શ્રાવણ મહિનામાં કિરણ જેમ્સે 10 દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. કિરણ જેમ્સ નામની કંપનીએ શ્રાવણ મહિનામાં પહેલીવાર આટલી લાંબી રજા જાહેર કરી છે. આ દસ દિવસ કંપનીમાં કોઈ કામ નહિ થાય. ત્યારે આ રજા પાછળ હીરા ઉદ્યોગમાં આવેલી મંદી કારણભૂત હોવાનું કહેવાય છે. ગુજરાતની ડાયમંડ ફર્મ કિરણ જેમ્સે સોમવારે તેના 50,000 કર્મચારીઓને 10 દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. આ રજાઓ એટલા માટે કરવામાં આવી છે કે જેથી હીરાના ઉત્પાદનને નિયંત્રિત કરી શકાય. વાસ્તવમાં વૈશ્વિક માંગમાં ઘટાડાને કારણે દેશમાં હીરાના વેપારીઓનો સ્ટોક વધ્યો છે. કિરણ જેમ્સ વિશ્વની સૌથી મોટી કુદરતી હીરા ઉત્પાદક કંપની છે. તે પોલિશ્ડ હીરાના સૌથી મોટા નિકાસકારોમાંની એક છે. તેણે તેના કર્મચારીઓ માટે 18-27 ઓગસ્ટ સુધી રજાની જાહેરાત કરી છે.