પીએમ મોદીનો સુરત કાર્યક્રમઃ 6 મિનિટમાં એક રાઉન્ડ ફરશે પીએમનું રિવોલ્વિંગ સ્ટેજ

NEW INDIA YOUTH CONCLAVE નામથી સુરતના ઈનડોર સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15000 થી વધુ પ્રોફેશનલ સાથે સંવાદ કરવાના છે. 30મી જાન્યુઆરીએ યોજાનારા આ કાર્યક્રમમાની તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. મેડીસન સ્ક્વેર ગાર્ડનની થીમ પર હાલ રિવોલ્વિંગ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે, આ સ્ટેજને ફરતો રાખવા માટેની મશીનરી સુરતના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

પીએમ મોદીનો સુરત કાર્યક્રમઃ 6 મિનિટમાં એક રાઉન્ડ ફરશે પીએમનું રિવોલ્વિંગ સ્ટેજ

તેજશ મોદી/સુરતઃ આગામી 30 જાન્યુઆરીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક રીતે જોઈએ ગુજરાતમાં ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરવાના છે. 'ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ'ના આયોજનમાં 15 હજારથી વધુ પ્રોફેશનલો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરશે. અમેરિકાના મેડિસન સ્ક્વેરની થીમ પર સુરતના ઈનડોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજ બનાવવામાં આવી રહ્યું છે, જે 6 મિનિટમાં એક રાઉન્ડ ફરશે.

શહેરના ડોકટર્સ, વકીલો, ટેક્સ કન્સલ્ટન્ટ, ટેકનોક્રેટ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહેશે. કાર્યક્રમમાં પ્રવેશ માટે NEWINDIAYOUTHCONCLAVE.COM પર ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું હતું. જોકે ઈનડોર સ્ટેડિયમની કેપેસીટી કરતા વધુ સંખ્યામાં રજીસ્ટ્રેશન થઇ ગયું છે. ઓનલાઈન ઉપરાંત લોકો ઓફ લાઈન પણ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આથી, સ્ટેડીયમની બહાર પણ એક ડોમ બનાવવામાં આવી રહ્યો છે, જ્યાં પણ લોકો બેસી શકશે.

મેડિસન સ્ક્વેરની જેમ આપશે ભાષણ
સુરતના ઈનડોર સ્ટેડિયમમાં પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના મેડિસન સ્કવેર ગાર્ડનની થીમ પર સંબોધન કરશે. 30 જાન્યુઆરીએ સાંજે 5.30 કલાકે આયોજીત આ કાર્યક્રમમાં મોદી સુરતના 15 હજારથી વધુ પ્રોફેશનલને સંબોધશે. મેડિસન સ્કવેરની માફક સુરતમાં પણ મોદી રિવોલ્વિંગ સ્ટેજ પર બેસીને ભાષણ આપશે. તેમણે 2014માં અમેરિકાના પ્રવાસ વખતે મેડિસન સ્કવેર ગાર્ડનમાં હાજર મેદનીને આ રીતે જ સંબોધન કર્યુ હતું. 

6 મિનિટમાં એક રાઉન્ડ ફરશે રિવોલ્વિંગ સ્ટેજ
સુરતમાં તેમના આ કાર્યક્રમ માટે ઈન્ડોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજને બનાવવાનું કામ ચાલી રહ્યું છે. સ્ટેજને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. સ્ટેજનો બહારજનો ભાગ સ્થિર રહેશે, જ્યારે અંદરનાં ભાગનું સર્કલ ગોળ ફરશે. રિવોલ્વિંગ સ્ટેજ સાડા પાંચ થી છ મીનીટનો એક રાઉન્ડ પૂરો કરશે. આ ઝડપ એટલા માટે રાખવામાં આવી છે, કારણ કે જો વધુ સ્પીડમાં સ્ટેજ ફરે તો ચક્કર આવી શકે છે. રિવોલ્વિંગ સ્ટેજ માટે જે ઇલેક્ટ્રિક મોટર મુકવામાં આવી છે, તે સુરતની SVNITના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવી છે. આમ સ્ટેજ બનાવવા માટે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પીએમને પુછી શકાશે સવાલ 
પીએમ મોદીના કાર્યક્રમનું આયોજન કરનારી ટીમના સભ્ય એવા સ્થાનિક ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જાણાવ્યું કે, ન્યૂ ઈન્ડિયા યૂથ કોન્કલેવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવાલો પૂછી શકાશે. NEWINDIAYOUTHCONCLAVE.COM પર જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ પોતાના રજીસ્ટ્રેશન સાથે સવાલ પૂછી શકાશે અને સાથે જ #YOUTH4MODI કરીને ટવીટર પરથી પણ સવાલ પૂછી શકે છે. દરેક વ્યક્તિના સવાલોના જવાબ આપવું શક્ય નથી. એક કલાકના કાર્યક્રમમાં થોડા સવાલોના જવાબ પીએમ મોદી આપશે અને સાથે જ થોડું સંબોધન પણ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news