સુરતમાં રાહતના સમાચાર, કોરોનાનો રિકવરી રેટ વધ્યો

સુરતમાં રાહતના સમાચાર, કોરોનાનો રિકવરી રેટ વધ્યો
  • કોરોનાના કેસો વધતાં રિકવરી રેટ ઘટી ગયો હતો. જેથી સુરતના તંત્રમાં પણ ટેન્શનનો માહોલ હતો. ત્યારે હવે રિકવરી રેટ વધતા સારા સમાચાર કહી શકાય
  • સુરત રેલવે સ્ટેશન પર કેટલાક લોકો રેપિડ ટેસ્ટ વગર ભાગી રહ્યા હતા. ત્યારે SMC કર્મચારીઓ દ્વારા મુસાફરોને પકડી પકડી લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા

તેજશ મોદી/ચેતન પટેલ/સુરત :કોરોનાની બીજી લહેર વચ્ચે સુરતમાં આશાનુ નવુ કિરણ દેખાયું છે. સતત વધી રહેલા કોરોનાના કેસ અને કોરોનાના મોતના આંકડા વચ્ચે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરત (surat) માં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ 83.4 ટકા થયો છે. રિકવરી રેટ (recovery rate) 10 દિવસ પહેલા 77.5 ટકા થયો હતો. જે તંત્ર માટે પણ રાહતના સમાચાર ગણી શકાય. 

કોરોના કેસ વધતા રિકવરી રેટ ઘટ્યો હતો 
સુરત શહેર અને જિલ્લામાં નવા કેસ કરતા સાજા થનારાની સંખ્યા સતત છઠ્ઠા દિવસે પણ વધતા સાજા થનારની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. એક સમયે સુરતનો રિકવરી રેટ 94 ટકા સુધી પહોંચ્યો હતો. પરંતુ કોરોનાના કેસો વધતાં રિકવરી રેટ ઘટી ગયો હતો. જેથી સુરતના તંત્રમાં પણ ટેન્શનનો માહોલ હતો. ત્યારે હવે રિકવરી રેટ વધતા સારા સમાચાર કહી શકાય. 

રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગ 
સુરત રેલવે તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ મામલે કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં બહારથી આવનાર લોકોના ફરજિયાત રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આજે રેલવે સ્ટેશન પર શરૂઆતમાં એવા દ્રષ્યો જોવા મળ્યા કે, કેટલાક લોકો રેપિડ ટેસ્ટ કરાવ્યા વગર ભાગી રહ્યા હતા. ત્યારે એસએમસી (SMC) કર્મચારીઓ દ્વારા મુસાફરોને પકડી પકડી લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા હતા. 

ટેસ્ટ કરાવનારની દુકાન બંધ 
તો બીજી તરફ, સુરતના શાક માર્કેટમાં વેક્સીન કે કોવિડ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. આજે સુરતમાં 400 લારીઓ બંધ કરાવાઈ છે. તો 4137 દુકાનોની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 2312 વ્યક્તિઓએ વેક્સીન લીધી હતી. તેમજ 273 વ્યક્તિઓએ રિપોર્ટ નહિ કાઢતા દુકાન બંધ કરાવાઇ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news