અલંગ-ભાવનગરમાં ગુંડારાજ સામે વેપારીઓએ બાંયો ચડાવી, તંત્ર કડક કાર્યવાહીના મુડમાં

વેપારીઓએ કલેક્ટરને ઉગ્ર રજુઆત કરી અસામાજીક તત્વો સામે કડક પગલા ભરવા માંગ કરી, તમામ તંત્ર કડક કાર્યવાહી માટે પ્રતિબદ્ધ

અલંગ-ભાવનગરમાં ગુંડારાજ સામે વેપારીઓએ બાંયો ચડાવી, તંત્ર કડક કાર્યવાહીના મુડમાં

વિપુલ બારડ/ભાવનગર: બુધેલ નજીક શીપબ્રેકર પર કેટલાક અસામાજિક ઇસમો દ્વારા હુમલો કરી અને લૂટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી પગલે શીપ બ્રેકરો સહીતન તમામ નાનામોટા સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આજે અલંગ તેમજ હીરા ઉદ્યોગ બંધ પાળી રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઆતો કરી હતી. જો કે એસોસિએશન દ્વારા આપવામાં આવેલ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

ગઈકાલે ભાવનગર-અલંગ રોડ પર બુધેલ નજીક અલંગના અગ્રણી ઉદ્યોગપતિ બટુકભાઈ માંગુકિયા તેમજ અન્ય શીપબ્રેકરો સાથે કાર ઓવરટેક જેવી સામાન્ય બાબતે બુધેલના સરપંચ ભવાનીસિંહ તેમજ દાનસંગ મોરી સહિતનાઓ હુમલો કરી મારમારવાની ઘટના બની હતી. આ ઘટનાને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી. ભોગબનાનાર ઉદ્યોગપતિઓ કલેકટર ઓફિસે દોડી ગયા હતા અને કલેકટરને આ બાબતે રોષભેર રજૂઆત કરી હતી. જયારે આ હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, અલંગશિપ બ્રેકીંગયાર્ડ , સ્ક્રેપ મર્ચન્ટ એસોસિએશન, રોલિંગ મિલ એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન, તથા ચેમ્બરની સાથે સંકળાયેલી ૫૮ જેટલી નાની મોટી સંસ્થાઓ આ બંધમાં જોડાઈ હતી અને આજે બંધ પાળ્યો હતો.

આજે તમામ સંસ્થાઓના પ્રતિનિધિ,આગેવાનો વેપારીઓ તેમજ શીપબ્રેકરો મોટી સંખ્ય્યમાં ભાવનગર રૂપાણી ખાતે આવેલ શીપ બ્રેકીંગ એસોસીએશનની ઓફિસે એકઠા થઈ બેનરો,પોસ્ટરો સાથે વિશાળ સંખ્યામાં રેલી યોજી હતી, આ રેલીમાં સંખ્યાબળ દેખાડવા માટે અલંગ ખાતેથી મોટી સંખ્યામાં મજુરોને પણ લાવવામાં આવ્યા હતા, આ વિશાળ રેલી કલેકટર કચેરીએ જઈ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી, સાથે સાથે કલેકટર કચેરી નજીક રોડ ચક્કાજામ કરી દેવાયો હતો તેમજ કેટલાક બિલ્ડર અગ્રણીઓએ રોડ પર સુઈ જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાથે સાથે રજૂઆત કરવામાં આવી હતી કે આ અસામાજિક તત્વો સામે તાકીદે કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ તત્વો બુધેલ અને આજુબાજુના વિસ્તારોમાં ગુંડાગીરી કરી નાનામોટા ઉદ્યોગકારો ને હેરાન કરી રહ્યા છે, દાનસંગ મોરી સામે આ પહેલા પણ અનેક કેસો થયા હોવા છતાં આજે બિન્દાસ્ત ફરી રહ્યો છે જેવી ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી, કલેકટરે પણ તેમની રજુઆતો ધ્યાને લઈને તેમની સામે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવી પડશે તે કરશે તેવી બાહેધરી આપી હતી.

 

આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને પોલીસ દ્વારા તાકીદે દાનસંગ મોરી સહિતના જે ઇસમો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે,  તેમજ કેસની તપાસ માટે ભાવનગર રેંજ આઈજી દ્વારા એસ.આઈ.ટી ની રચના કરવામાં આવી છે. જેની અધ્યક્ષતા ભાવનગર ના ડીવાયએસપી કરશે,  આ ટીમ માં વરતેજ પીએસાઈ, એલસીબી પી.આઈ તેમજ અન્ય બે પીઆઈ રહેશે અને તાકીદે આરોપી ને ઝડપી લેવાના તમામ પગલા પણ લેવામાં આવ્યા છે, આ કેસમાં એક ઇસમની ધરપકડ પણ કરી હોવાનું પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ દાનસંગ મોરી અને જીતું વાઘાણીને છેલ્લા ઘણા વર્ષોથી ખટરાગ ચાલી રહ્યો છે, અને જીતું વાઘાણી વિરુદ્ધ અનેકવાર રાજપૂત સમાજને એકઠા કરી અને મોરચો માંડ્યો હતો. જો એક ચુંટણી સમયે દાનસંગ મોરી પરના બધા કેસ પરત ખેચી લેવાની બાહેધરી બાદ અમિત શાહની હાજરીમાં સમાધાન થયું હતું. સમાધાન બાદ કેસો પરત નહિ ખેચાતા ફરી બુધેલ ખાતે રાજપૂત સમાજનું સંમેલન મળતા ફરી વિવાદ સળગ્યો હતો, ત્યારે આ સમગ્ર વિવાદમાં રાજકીય આગેવનો પણ પડદા પાછળ રસ લઈ રહ્યા હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news