કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા, પુલવામા હુમલા પર પાર્ટીના વલણથી હતા ખુબ દુ:ખી 

લોકસભા ચૂંટણી 2019 અગાઉ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા ગણાતા ટોમ વડક્કન આજે ભાજપમાં સામેલ થઈ ગયાં. 

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા, પુલવામા હુમલા પર પાર્ટીના વલણથી હતા ખુબ દુ:ખી 

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 અગાઉ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ અને કદાવર નેતા ગણાતા ટોમ વડક્કન આજે ભાજપમાં સામેલ થઈ ગયાં. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ભાજપમાં જોડવવા બદલ તેમનું સ્વાગત કર્યું. ટોમ વડક્કન કેરળના ત્રિશુર જિલ્લાથી આવે છે. ટોમ વડક્કન લાંબા સમયથી કોંગ્રેસની સાથે હતાં. તેઓ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત મદદનીશ પણ રહી ચૂક્યા છે. વડક્કન લાંબા સમય સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યા હતાં. રાહુલ ગાંધીના પાર્ટી અધ્યક્ષ બન્યા બાદ પણ તેઓ તેમના નીકટના ગણાતા હતાં. 

ભાજપમાં સામેલ થયા બાદ ટોમ વડક્કને કહ્યું કે "મેં 20 વર્ષ કોંગ્રેસને આપ્યાં. કોંગ્રેસમાં વંશવાદનું રાજકારણ હાવિ છે. પુલવામાં આતંકી હુમલા બાદ કોંગ્રેસે જે વલણ અપનાવ્યું છે તેનાથી હું ખુબ દુ:ખી છું. કોંગ્રેસ પુલવામા હુમલા પર રાજકારણ રમી રહી છે. હું ભારે મનથી કોંગ્રેસ છોડી રહ્યો છું. પાકિસ્તાની આતંકીઓએ આપણી જમીન પર હુમલો કર્યો અને તમે તેના ઉપર જ રાજકારણ રમો છો."

તેમણે કહ્યું કે જ્યારે તમે દેશની સેનાઓ પર સવાલ ઉઠાવો છો ત્યારે દુ:ખ થાય છે. કોંગ્રેસ છોડવી અને ભાજપમાં સામેલ થવું એ વિચારધારાની વાત નથી, દેશપ્રેમની વાત છે. ટોમ વડક્કન પૂર્વ પીએમ અને દિવંગત કોંગ્રેસ નેતા રાજીવ ગાંધીના પણ સહાયક રહી ચૂક્યા છે. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટ્વિટ, કહ્યું- 'PM મોદી ચીનથી ડરી ગયા'
આ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકી મસૂદ અઝહર પર ચીનના ભારત વિરોધી વલણ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પીએમ મોદી વિશે જે વિવાદાસ્પદ ટ્વિટ કરાઈ તેનાથી ભૂંકપ આવી ગયો છે. જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરના મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીને ભારત વિરુદ્ધ વલણ અપનાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે વિવાદાસ્પદ ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ડરી ગયાં. ચીનના ભારત વિરુદ્ધ વલણ અપનાવવા બદલ પીએમ મોદીએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. 

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે 'નબળા મોદી શી જિનપિંગથી ડરી ગયા છે છે. જ્યારે ચીન ભારત વિરુદ્ધ પગલું ભરે છે તો તેમના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નથી.' તેમણે દાવો કર્યો કે 'મોદીની ચીન કૂટનીતિ: ગુજરાતમાં શી સાથે ઝૂલા ઝૂલવા, દિલ્હીમાં ગળે મળવું, ચીનમાં ઘૂંટણિયા ટેંકવા જેવી રહી છે.'  

ભારતને જ્યારે પણ પીડા થાય છે ત્યારે રાહુલ ગાંધીને ખુબ ખુશી થાય છે: રવિશંકર પ્રસાદ
મસૂદ અઝહર પર ચીનના વલણ બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પીએમ મોદી પર નિશાન સાધતી ટ્વિટ કરી જેનો ભાજપે આક્રમક થઈને વળતો પ્રહાર કર્યો છે. ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે જ્યારે પણ ભારતને તકલીફ થાય છે તો રાહુલ ગાંધીને ખુબ ખુશી થાય છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ખબર પડવી જોઈએ કે વિદેશ નીતિ ટ્વિટરથી નથી ચાલતી. તેમણે કહ્યું કે ખુબ અફસોસ સાથે કહેવું પડે છે કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં કોંગ્રેસ ક્યારેય  ગંભીર રહી નથી. નહેરુના કારણે ચીન UNSCનો સ્થાયી સભ્ય બન્યો. તેમણે કહ્યું કે આજે તમારી વિરાસતના કારણે જ ચીન સુરક્ષા પરિષદનો સભ્ય છે. તેમણે કહ્યું કે રાહુલજી તમારું નિવેદન પાકિસ્તાનમાં હેડલાઈન બને છે, સાચવીને નિવેદન આપવા જોઈએ. સાવધાની હટી, દુર્ઘટના ઘટી...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news