પાકિસ્તાની હિન્દુ સાંસદ પહોંચ્યા કુંભ, પુલવામા હુમલા પર આપ્યું આ નિવેદન 

તણાવભર્યા માહોલ વચ્ચે પાકિસ્તાનના હિન્દુ સાંસદ ડોક્ટર રમેશકુમાર પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં પહોંચ્યાં. હકીકતમાં કુંભમાં 187 દેશોના 189 પ્રતિનિધિઓ પહોંચ્યા છે. આ પ્રતિનિધિઓને લઈને વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહ કુંભ પહોંચ્યા હતાં. 

પાકિસ્તાની હિન્દુ સાંસદ પહોંચ્યા કુંભ, પુલવામા હુમલા પર આપ્યું આ નિવેદન 

પ્રયાગરાજ: પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા. જેના કારણે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ તણાવપૂર્ણ હાલાત જોવા મળી રહ્યાં છે. આવા તણાવભર્યા માહોલ વચ્ચે પાકિસ્તાનના હિન્દુ સાંસદ ડોક્ટર રમેશકુમાર પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં પહોંચ્યાં. હકીકતમાં કુંભમાં 187 દેશોના 189 પ્રતિનિધિઓ પહોંચ્યા છે. આ પ્રતિનિધિઓને લઈને વિદેશ રાજ્યમંત્રી જનરલ વી કે સિંહ કુંભ પહોંચ્યા હતાં. 

ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં સાંસદ રમેશકુમારે ભારતના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે કુંભ અદભૂત છે. અહીં આવીને જાણવા મળ્યું કે આપણું હિન્દુત્વ કેટલું વિશાળ છે. પહેલા પણ પાકિસ્તાનના લોકો હરિદ્વાર અને અન્ય કુંભમાં આવતા રહ્યાં છે. 

પાકિસ્તાની સાંસદે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારત-પાકિસ્તાન વચ્ચે અમન શાંતિ સ્થપાય. ભારત દુનિયાની મોટી અર્થવ્યવસ્થા બનવાનો છે. આવનારા દિવસોમાં ભારત વર્લ્ડ ટાઈગર બની શકે છે. પુલવામા આતંકી હુમલા પર રમેશકુમારે કહ્યું કે તેનાથી બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ હાલાત બન્યાં છે જે યોગ્ય નથી. 

પાકિસ્તાની સાંસદ રમેશકુમારે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે વાતચીત કરશે અને બંનેને બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટેની અપીલ કરશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સરકાર પણ એ નથી ઈચ્છતી કે બંને  દેશો વચ્ચે તણાવ રહે. 

આ પ્રતિનિધિઓને લઈને કુંભમાં પહોંચેલા રાજ્ય મંત્રી જનરલ વી કે સિંહે કહ્યું કે પાકિસ્તાનથી ડોક્ટર રમેશકુમાર નામના એક હિન્દુ પ્રતિનિધિ આવ્યાં છે. તેઓ સિંધી કાઉન્સિલના મુખિયા પણ છે અને તેમણે કુંભમાં ડુબકી લગાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. 

વી કે સિંહે કહ્યું કે કુંભ ફક્ત મેળો નથી પરંતુ તે ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધરોહર અને ભારતના સનાતન ધર્મનો સંગમ છે. અહીં આવીને ભારતની વિવિધતામાં એક્તા જોવા મળે છે. તેમણે કહ્યું કે કુંભ એક વૈશ્વિક સ્તરનો મેળો છે. આથી અમે આ દેશોના પ્રતિનિધિઓને લઈને આવ્યાં છીએ. વિશ્વમાં બધાને ખબર પડવી જોઈએ કે આખરે કુંભ છે શું. 

આ પ્રતિનિધિ મંડળ શુક્રવારે સવારે 9.30 વાગે બમરોલી એરપોર્ટ પર આવ્યું જ્યાં પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહે તેમનું સ્વાગત કર્યું. વિદેશી મહેમાનોને બસ દ્વારા અરૈલ લાવવામાં આવ્યાં જ્યાંથી તેમને ક્રુઝ દ્વારા કિલા ઘાટ લઈ જવાયા. કિલા ઘાટ પાસે તેમણે અક્ષયવટના દર્શન કર્યાં અને ત્યારબાદ સંગમમાં સ્નાન કર્યું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news