હવે કેશોદથી મુંબઇ માત્ર માત્ર 1 કલાક 25 મિનિટમાં પહોંચી જશો, આ તારીખથી પોરબંદર-દિલ્હી ફ્લાઇટ શરૂ થશે

આજે ૭૨ સીટની ક્ષમતા વાળા પ્લેનનો પ્રથમ કેશોદ મુંબઈ ફ્લાઇટનો શુભારંભ થયો જેમાં ૭૨ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો કેશોદ એરપોર્ટમાં કોમર્શીયલ વિમાની સેવા શરૂ થતાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

હવે કેશોદથી મુંબઇ માત્ર માત્ર 1 કલાક 25 મિનિટમાં પહોંચી જશો, આ તારીખથી પોરબંદર-દિલ્હી ફ્લાઇટ શરૂ થશે

ભાવીન ત્રીવેદી, જુનાગઢ: કેશોદ એરપોર્ટમાં આજથી કેશોદ મુંબઈ પ્રથમ ફલાઈટનો પ્રારંભ મુસાફરોમાં અનેરો ઉત્સાહ રાજય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમે મુસાફરોને મીઠાઈ આપી પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. આશરે ૯૨ વર્ષ પહેલાં જુનાગઢ નવાબે સ્થાપિત કરેલ કેશોદ એરપોર્ટમાં છેલ્લાં ૨૧ વર્ષથી કોમર્શીયલ વિમાની સેવા બંધ હતી. આજે ૭૨ સીટની ક્ષમતા વાળા પ્લેનનો પ્રથમ કેશોદ મુંબઈ ફ્લાઇટનો શુભારંભ થયો જેમાં ૭૨ મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો કેશોદ એરપોર્ટમાં કોમર્શીયલ વિમાની સેવા શરૂ થતાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુ પડતા મુંબઈના મુસાફરોએ પ્રથમ ફલાઈટની મુસાફરીનો લાભ લીધો હતો. 

મુંબઇના રહેવાસી દિપેશભાઇએ કેશોદ મુંબઈ ફ્લાઇટનો શુભારંભના પ્રથમ દિવસે જ ૭૨ સીટની ક્ષમતાના વિમાનની મુસાફરી માટે ૭૨ મુસાફરોએ રીઝર્વેશન બુકિંગ કરાવી પ્રથમ ફ્લાઇટમાં મુસાફરીનો લાભ લીધો હતો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કેશોદ એરપોર્ટની નવી સેવાને બિરદાવી હતી. કેશોદ એરપોર્ટમાં વિમાની સેવા બંધ હતી ત્યારે મુસાફરોએ રાજકોટ એરપોર્ટથી વિમાની સેવાનો લાભ મળતો જ્યારે કેશોદથી વિમાની સેવા શરૂ થતાં મુસાફરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે ભારત સરકારની RCS-UDAN યોજના હેઠળ કેશોદ-મુંબઈ રૂટ પર ફ્લાઇટ ઓપરેશન શરૂ કર્યું હતું. એલાયન્સ એરને UDAN RCS-4.1 બિડિંગ પ્રક્રિયા હેઠળ રૂટ આપવામાં આવ્યો હતો. આ સાથે, UDAN-RCS યોજના હેઠળ 417 રૂટ કાર્યરત થશે.

ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબિનેટ મંત્રી, માર્ગ અને મકાન, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગ, ગુજરાત સરકાર પુર્ણેશ મોદી, પશુપાલન રાજ્ય મંત્રી, ગુજરાત સરકાર દેવાભાઈ માલમ, સંસદસભ્ય, જૂનાગઢ-ગીર સોમનાથ રમેશ ધડુક, પોરબંદરના સંસદસભ્ય રાજેશ ચુડાસમા, વિધાનસભા સભ્ય, માણાવદર જવાહર ચાવડા, વિધાન સભ્ય પોરબંદર બાબુભાઈ બોખીરીયા એલાયન્સ એર વિનીત સૂદ અને ગુજરાત રાજ્ય સરકાર, MoCA, AAI અને એલાયન્સ એરના અન્ય ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

એરલાઇન બુધવાર, શુક્રવાર અને રવિવારે અઠવાડિયામાં ત્રણ વખત ફ્લાઇટ્સનું સંચાલન કરશે અને તેના ATR 72-600, 70-સીટર ટર્બો પ્રોપ એરક્રાફ્ટને રૂટ પર ટૂંકા અંતરની ફ્લાઇટ માટે ડિઝાઇન કરવામાં આવશે. આ સાથે UDAN હેઠળ કેશોદથી મુંબઈને જોડનારી એલાયન્સ એર પહેલી એરલાઇન બનશે.

જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આવીને હું ધન્ય અને સન્માનની લાગણી અનુભવું છું, ખાસ કરીને કેશોદમાં જે આપણા ઈતિહાસમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને આ નવી ઉડાન ફ્લાઈટ જે અમે આજે શરૂ કરી રહ્યા છીએ આ સ્થળ છે જે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પ્રિય હતું તેને આપણા દેશની આર્થિક રાજધાની સાથે જોડવા જઈ રહ્યા છીએ. 2 વિશ્વ વિખ્યાત પ્રવાસી આકર્ષણો - સોમનાથ મંદિર અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કેશોદ નજીક આવેલ છે. નવા રૂટ શરૂ થવાથી પ્રવાસી બંનેની સરળતાથી મુલાકાત લઈ શકશે. આ ઉપરાંત કેશોદમાં ફર્નિચર, ટેક્સટાઇલ, કેમિકલ, સિમેન્ટ વગેરે જેવા વિવિધ ઉદ્યોગો સ્થપાયા છે જેને પણ નવો ફ્લાઈટ રૂટ શરૂ થવાથી ફાયદો થશે.

ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની વિકાસ યોજનાઓ વિશે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, “આજે નવો ફ્લાઈટ રૂટ શરૂ કરવા ઉપરાંત, અમે કેશોદને રાજ્યની રાજધાની અમદાવાદ સાથે પણ જોડીશું. આ વર્ષના ઉનાળાના સમયપત્રકમાં, અમદાવાદને ભારતના 3 શહેરો - અમૃતસર, આગ્રા અને રાંચી સાથે જોડવામાં આવ્યું છે. એ જ રીતે પોરબંદર અને રાજકોટને મુંબઈ સાથે જોડવામાં આવ્યા છે. હિરાસર અને ધોલેરામાં 2 નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે જેમાં અનુક્રમે INR 1405 કરોડ અને INR 1305 કરોડની બજેટ ફાળવણી સાથે દર વર્ષે 23 લાખ મુસાફરો અને દર વર્ષે 30 લાખ મુસાફરો હશે”. પોરબંદર અને દિલ્હીને જોડતો વિશેષ રૂટ 27મી એપ્રિલે શરૂ થશે, એમ નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું હતું.

કેશોદ એરપોર્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ની માલિકીનું છે. શરૂઆતમાં, સુનિશ્ચિત કામગીરીની સુવિધા માટે એરપોર્ટનું નવીનીકરણ અને 1980 ના દાયકાના અંતમાં પુનર્જીવિત કરવામાં આવ્યું હતું. છેલ્લા 21 વર્ષથી આ એરપોર્ટ પર કોમર્શિયલ એરક્રાફ્ટ ઉતર્યા નથી.

AAI એ કેશોદ એરપોર્ટને અપગ્રેડ કરવા માટે રનવેના રિસરફેસિંગ, એરક્રાફ્ટ ક્રેશ ફાયર ટેન્ડર (ACFT), ટર્મિનલ બિલ્ડિંગ સહિત નવું સિવિલ એન્ક્લેવ, બે ATR-72 પ્રકારના એરક્રાફ્ટ માટે એપ્રોન અને લિંક ટેક્સીવે વગેરે માટે રૂ. 25 કરોડની રકમનું રોકાણ કર્યું છે.

નવો UDAN ફ્લાઇટ રૂટ કેશોદને રાષ્ટ્રીય હવાઈ નકશા પર લાવશે અને આ પ્રદેશના પ્રવાસીઓને સુવિધા અને આરામ આપશે કારણ કે કેશોદ ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું એક પ્રવાસન સ્થળ છે અને તે અરબી સમુદ્ર અને સુંદર જંગલોથી ઘેરાયેલું છે. સોમનાથ મંદિર અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કેશોદ નજીક આવેલ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કેશોદથી મુંબઈ જવા માટે રોડ માર્ગે 16 કલાક જેટલો સમય લાગે છે જે નવી ફ્લાઈટ શરૂ થવાથી ઘટીને માત્ર 1 કલાક 25 મિનિટ થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news