હૈયુ ચીરી દે તેવી ચોરની કહાની! દીકરાની સારવાર માટે 1500 રૂપિયા કોઈએ ઉછીના ન આપ્યા, છેલ્લે મજબૂરીમાં ચોરી કરી!

Crime News : સિદ્ધપુરના લુખાસણ ગામની મહિલાની રહસ્યમય હત્યાનો ભેદ 40 દિવસ બાદ ખૂલ્યો... ગામના જ યુવકે કરી હતી હત્યા, દીકરાની દવા કરાવવા માટે ઉછીની રકમ ન મળતાં આખરે મંદિર બહાર પ્રસાદ વેચતી મહિલાના ઘરે ચોરી કરી, મહિલા ઓળખી જતાં મહિલાને ઝાડીમાં ખેંચી જઇ સાડીથી ટૂંપો આપી હત્યા કરી હતી

હૈયુ ચીરી દે તેવી ચોરની કહાની! દીકરાની સારવાર માટે 1500 રૂપિયા કોઈએ ઉછીના ન આપ્યા, છેલ્લે મજબૂરીમાં ચોરી કરી!

Patan News : સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે હનુમાનજી મંદિર પાસે 41 દિવસ અગાઉ અચાનક ગુમ થયેલ મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરતા હત્યા થઈ હોવાનું સામે આવતા આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આખરે પોલીસે આ હત્યાનો ગુનો આચરનાર 25 વર્ષીય યુવાન કલ્પેશ ડાહ્યાભાઇ વાલ્મીકીને પકડી પડી તેની અટકાયત કરી. ગુનાનો વધુ ભેદ ઉકેલવા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે

બન્યું એમ હતું કે, સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામની સીમમાં આવેલ શિવસાગર હનુમાનજીના મંદિરની પાછળ ભાગે આવેલ બાવળોની ઝાડીમાં કેશરબેન વશરામભાઇ રાવળની લાશ બાવળના ઝાડ સાથે સાડીથી ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકેલો મૃતદેહ મળ્યો હતો. પાટણ એલસીબી સાયબર સહિતની ટીમ સતત 40 દિવસથી આરોપીની શોધખોળ કરી રહી હતી. આખરે આરોપી સકંજામાં આવ્યો. પરંતું આરોપી પકડાયા બાદ તેણે શા માટે ચોરી કરીને હત્યા કરી તે સાંભળીને તમારું હૈયુ ચીરાઈ જશે.

આ અંગે સિદ્ધપુર પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના કેસરબેન વશરામભાઈ રાવળ(ઉ.વ.45) ગામના હનુમાનજીના મંદિરે શ્રીફળ અને અગરબત્તીનો વેપાર કરતા હતા. જોકે 41 દિવસ અગાઉ રાત્રે તેમના જ ગામના કલ્પેશ ડાહ્યાભાઇ વાલ્મીકીને તેમના દીકરાની દવા માટે પૈસાની જરૂરીયાત હતી. જેથી પોતાના માતા-પિતા, ભાઇ, મિત્રો જોડે ઉછીના પૈસા માંગ્યા હતા. પરંતુ કોઈ પાસેથી રૂપિયાની વ્યવસ્થા ના થતાં આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં હનુમાનજીના મંદિરે જઈ મંદિરના બહારના ભાગે લારી ઉપર શ્રીફળ સહિત પુજાની સામગ્રીનો વેપાર કરતાં કેશરબેન રાવળની પાસે પૈસા હશે એવું માની પૈસાની ચોરી કરવાના ઇરાદાથી છુપાઇને અચાનક પાછળથી હુમલો કર્યો હતો. કેશરબેને બુમાબુમ કરતાં કલ્પેશ અને કેશરબેન વચ્ચે ઝપાઝપી થઈ હતી. જ્યારે કેશરેબેને આરોપી કલ્પેશને ઓળખી લીધો હતો. જેથી તેમણે કલ્પેશને કહ્યું કે, તે પૈસાની ચોરી માટે મારી ઉપર હુમલો કર્યો છે અને હું આ વાત આવતીકાલે ગામમાં જાહેર કરી ગામ ભેગું કરી તને ગામ બહાર મુકાવી ગામ લોકો મારફતે દંડ કરાવીશ. જેથી પોતાની ઓળખ છતી થઈ જવાની બીકે તેણે સાડીના છેડાથી કેશરબેનને ટુંપો આપી હત્યા કરી હતી.

આરોપી કલ્પેશે કેશરબેનના કબ્જામાંથી રૂ.૧૫૦૦/- કાઢી લીધી હતા અને તેમની જ સાડીથી એક છેડો કેશરબેનના ગળામાં તેમજ બીજો છેડો બાવળની ઝાડના ઉપર ડાળીએ બાંધી દઈ હત્યા કરી હતી. આ બાદ તેને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે આરોપી કલ્પેશ વાલ્મીકીની અટકાયત કરી આરોપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવ્યા. 

40 દિવસે હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસે એક આરોપી પકડતા આ હત્યામાં એક જ વ્યક્તિ ન કરી હોય અને તેમાં અન્ય આરોપીઓની હોવાની સંભાવનાને લઈને રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. બીજી તરફ આ પોલીસના દાવા સામે મૃતક કેસરબેન રાવળના પુત્ર આશિષ વશરામભાઈ રાવળે પોતાની માતાની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. તેઓ દ્વારા પોલીસ સ્ટેશનની અરજી આપી આક્ષેપ કરાયો છે કે આ હત્યાના ગુનામાં માત્ર એક જ વ્યક્તિ કરી ના શકે. આરોપી કલ્પેશ વાલ્મિકી એકલો મારી માતા ને મારી જ ના શકે. કારણ કે મારી માતાને આ પાતળો દુબળો યુવક કાબૂમાં કરી શકે તે વાત માની શકાય તેમ નથી. મારી માતાની હત્યાના અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે તેની મને પૂરી શંકા છે. જેથી પોલીસ દ્વારા વધુ તપાસ કરે અને અન્ય હત્યામાં સામેલ લોકોને પકડવા જોઈએ. તેમ જણાવી પોલીસ દ્વારા આ અત્યાના કેસમાં ભીનું સંકેલવામાં આવી રહ્યું હોવાનું આક્ષેપ કરાયો હતો. જોકે કેસમાં આવનાર સમયમાં અનેક વળાંકો આવી શકે છે તેઓ સ્પષ્ટ ઈશારો કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news