Rain Alert: આગામી કલાકોમાં આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Rain Alert: રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે લોકોએ મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ બની ગઈ છે. આ વચ્ચે હવામાન વિભાગે કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. 
 

Rain Alert: આગામી કલાકોમાં આ જિલ્લાઓમાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે કરી આગાહી

સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ચોમાસું બરાબરનું જામી ગયું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે. આ વચ્ચે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે. આ વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની માહિતી આપી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે એટલે કો સોમવાર, 10 જુલાઈએ ભારે વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગની આગાહી 
હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, સારબકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. મંગળવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. ત્યારબાદ ભારે વરસાદની શક્યતા નહિવત છે. 

અંબાલાલ પટેલની આગાહી
ગુજરાત વિશે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ એક-બે નહિ, પરંતુ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. તો સાથે જ સમુદ્રના કાંઠે તાપમાન ઉંચુ રહેવાને કારણે વાતાવરણમાં મોટી હલચલ થઈ રહી છે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં 10 થી12 જુલાઈની વચ્ચે દરિયામાં ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 10 થી 12 જુલાઈમાં વાતાવરણ વિશિષ્ટ રહેશે.

રાજ્યના અનેક ડેમો ભરાયા
રાજ્યમાં સતત પડી રહેલાં વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે. પરંતું મુશળધાર વરસાદથી ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. સરવાળે સ્થિતિ એવી છે કે, ગુજરાતના 30 ડેમ હાઈ એલર્ટ પર, 12 ડેમ એલર્ટ પર છે. ભારે વરસાદ બાદ જળાશયોમાં પાણી વધ્યુ છે. 207 જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ વધીને હવે 46.56 ટકા થયું છે. 22 જળાશય હાલ છલોછલ સ્થિતિમાં છે. 

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું વિધિવત આગમન થયું છે. જેથી ગુજરાતમાં હવે આગામી ઉનાળામાં પાણીનું સંકટ નહિ આવે તેવુ લાગી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પણ 57.52 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા બે સપ્તાહમાં 33.49 ટકા જળસંગ્રહ વધ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news