લોકસભામાં આજે રજૂ થશે અનામત બિલ, એક દિવસ માટે લંબાવાયું રાજ્યસભાનું સત્ર

કોંગ્રેસ અને ભાજપ તરફથી આપવામાં આવેલા વ્હિપમાં તમામ લોકસભા સભ્યોને મંગળવારના દિવસે ગૃહમાં હાજર રહેવાની સુચના આપવામાં આવી છે 

લોકસભામાં આજે રજૂ થશે અનામત બિલ, એક દિવસ માટે લંબાવાયું રાજ્યસભાનું સત્ર

નવી દિલ્હીઃ સોમવારે મોડી સાંજે રાજ્યસભાના શિયાળુ સત્રને એક દિવસ લંબાવા અંગેની જાહેરાત કરાઈ છે. આથી હવે ગૃહની કાર્યવાહી બુધવાર સુધી ચાલશે. એવું કહેવાય છે કે લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકાર સવર્ણ અનામત બીલ પસાર કરાવા માગે છે. આ કારણે જ આ પગલું લેવાયું છે. આ બાજુ કોંગ્રેસ અને ભાજપ તરફથી લોકસભાના તમામ સાંસદો માટે વ્હિપ બહાર પાડવામાં આવ્યું છે. પક્ષ તરફથી બહાર પડાયેલા ત્રણ લાઈનના આ વ્હિપમાં તમામ લોકસભાના સભ્યોને મંગળવારે ગૃહમાં હાજર રહેવા માટેની સુચના અપાઈ છે. 

રાજકીય નિષ્ણાતોના મતે કેન્દ્ર સરકાર મંગળવારે લોકસભામાં સવર્ણ અનામત બિલ પસાર કરવા માગે છે અને ત્યાર બાદ આ બિલને રાજ્યસભામાં રજુ કરાશે. આ કારણે જ બુધવાર સુધી ઉપલાના ગૃહના સત્રને લંબાવાયું છે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટો રાજકીય દાવ ખેલતા આર્થિક રીતે પછાત સવર્ણોને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામત આપવાને મંજૂરી આપી છે. આ અનામત 50 ટકા અનાતમની મર્યાદાથી વધારાની હશે અને તેના માટે મંગળવારે સંસદના નીચલા ગૃહમાં બિલ રજૂ કરવામાં આવશે. 

મોદી કેબિનેટ દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવા અંગે લેવાયેલા નિર્ણયની 8 મુખ્ય બાબતો...

1. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ગરીબ સવર્ણોને 10 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આર્થિક રીતથી નબળા લોકો આરક્ષણ આપવામાં આવશે.

2. આરક્ષણનો ફોર્મ્યૂલા 50 ટકા + 10 ટકા હશે. સૂત્રોનું કહેવું છે કે લોકસભામાં મંગળવારે મોદી સરકાર આર્થિક રીતથી પછાત સવર્ણોને આરક્ષણ આપવા બિલ રજૂ કરી શકે છે.

3. કેન્દ્રીય સમાજિક ન્યાય રાજ્ય મંત્રી વિજય સાંપલાના અનુસાર જે લોકોની વર્ષની આવક 8 લાખથી ઓછી હશે તેમને આરક્ષણનો લાભ મળશે.

4. જે સવર્ણોની પાસે ખેતી માટે 5 હેક્ટરથી ઓછી જમીન સંપત્તિ હશે તેમને આરક્ષણનો લાભ મળશે.

5. આ આરક્ષણનો લાભ તે સવર્ણ મેળવી શકશે જેમની પાસે નિવાસી જમીન 1000 ચોરસ ફુટથી ઓછી હશે.

6. જે સવર્ણોની પાસે સૂચિત મ્યુનિસિપલ વિસ્તારમાં 100 યાર્ડ કરતા ઓછી જમીન છે તેમને આ આરક્ષણનો લાભ મળશે. 

7. આ ઉપરાંત જે સવર્ણોની પાસે બિન-સૂચિત મ્યુનિસિપલ વિસ્તારમાં 200 યાર્ડથી ઓછી જમીન છે તેમને આ આરક્ષણનો લાભ મળી શકશે.

8. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે સરકાર બંધારણમાં સુધારો કરવા માટે બિલ પસાર કરી શકે છે. તેના માટે બંધારણની કલમ 15 અને 16 માં સુધારણા કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news