Citizenship Amendment Act: લખનઉમાં વિરોધની આડમાં થયેલી હિંસાનું નીકળ્યું ચોંકાવનારું કાશ્મીર કનેક્શન!

કહેવાય છે કે હિંસા ફેલાવવા માટે પહેલા યુપીના અનેક જિલ્લાઓમાં રેકી કરાઈ હતી અને લખનઉના સૌથી વીવીઆઈપી અને પોશ વિસ્તાર હજરતગંજમાં આ ઉપદ્રવીઓએ હિંસા ફેલાવવાનું ષડયંત્ર બનાવ્યું હતું. 

Citizenship Amendment Act: લખનઉમાં વિરોધની આડમાં થયેલી હિંસાનું નીકળ્યું ચોંકાવનારું કાશ્મીર કનેક્શન!

નવી દિલ્હી:  નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ના વિરોધની આડમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ (Lucknow) માં થયેલી હિંસા અંગે રોજે રોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો 19 ડિસેમ્બરના રોજ લખનઉમાં ઉપદ્રવીઓએ હિંસા (Violence) નો જે નગ્ન નાચ કર્યો તેના તાર હવે કાશ્મીર સાથે જોડાતા હોય તેવું લાગી રહ્યું છે. કહેવાય છે કે લખનઉમાં હિંસા ફેલાવવા માટે કાશ્મીરથી પથ્થરબાજોને બોલાવવામાં આવ્યાં હતાં અને લખનઉની અલગ અલગ હોટલોમાં તેમને રોક્યા હતાં. 

VVIP અને પોશ વિસ્તારોમાં હિંસા ફેલાવવાનું ષડયંત્ર
કહેવાય છે કે હિંસા ફેલાવવા માટે પહેલા યુપીના અનેક જિલ્લાઓમાં રેકી કરાઈ હતી અને લખનઉના સૌથી વીવીઆઈપી અને પોશ વિસ્તાર હજરતગંજમાં આ ઉપદ્રવીઓએ હિંસા ફેલાવવાનું ષડયંત્ર બનાવ્યું હતું. 

આ ખુલાસો લખનઉ હિંસામાં સામેલ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલેકે PFIના 3 માસ્ટમાઈન્ડ વસીમ, નદીમ અને અશફાકની આઈબીએ કરેલી પૂછપરછમાં થયો છે. પોલીસ તમામ એંગલોથી આ ત્રણેયની પૂછપરછ કરી રહી છે. જેનાથી તોફાનોનું દરેક સત્ય સામે આવી શકે. 

પોલીસની કડકાઈ બાદ અંડરગ્રાઉન્ડ થયા PFIના ઉપદ્રવીઓ
આ ત્રણેયની પૂછપરછ બાદ પોલીસને પીએફઆઈના અન્ય સભ્યોની પણ માહિતી મળી છે. જેમને પકડવા માટે લખનઉ પોલીસ અનેક જગ્યાએ દરોડા પાડી રહી છે. પરંતુ હજુ સુધી કોઈ પણ પોલીસને હાથ લાગ્યા નથી. પોલીસની કડકાઈ બાદ પીએફઆઈ સંલગ્ન કેટલાક લોકો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આશંકા છે કે આ બધા દિલ્હી અને પશ્ચિમ બંગાળ ભાગી ગયા છે. 

અત્રે જણાવવાનું કે લખનઉમાં હિંસક પ્રદર્શનના માસ્ટરમાઈન્ડ નદીમ અને તેના સહયોગી અશફાકની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે એક વધુ સાથી વસીમને પોલીસે પહેલા જ દબોચી લીધો હતો. નદીમ અને અશફાકે સમગ્ર પ્લાનિંગ કરીને કાવતરું રચ્યું હતું. બંનેએ વોટ્સએપ દ્વારા એનઆરસી અને સીએએના વિરોધમાં લોકોને મોટી સંખ્યામાં  ભેગા કરીને ઉગ્ર પ્રદર્શન કરવાની વાત વાઈરલ કરી હતી. 

પથ્થરબાજીનો કાશ્મીરી એંગલ
બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં રહેતા છોકરાઓને આ હિંસામાં સામેલ હોવાની વાત સામે આવ્યાં બાદ પોલીસ હવે કોલ ડિટેલ અને સીડીઆરની મદદથી તેમના અનેક સાથીઓની માહિતી મેળવી રહી છે. આ સાથે શકના આધારે પોલીસ પથ્થબાજીમાં કાશ્મીરી એંગલ પણ ચકાસી રહી છે. 

નાગરિકતા સંશોધન કાયદાને લઈને યુપીમાં થયેલી હિંસા બાદ પ્રશાસન હવે પૂરી રીતે એક્શનમાં છે. લખનઉમાં જે હિંસા થઈ અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું તેને લઈને હવે આરોપીઓ પાસેથી વસૂલી પણ થઈ રહી છે. લખનઉ, રામપુર, ગોરખપુર, અને મેરઠ સહિત અનેક  જીલ્લાઓમાં પ્રદર્શન દરમિયાન હિંસામાં સામેલ 300થી વધુ લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. 

જુઓ LIVE TV

આરોપી ઈમ્તિયાઝને પણ નોટિસ મોકલવાની તૈયારી
આ બાજુ પોલીસ હિંસા ફેલાવવાના આરોપમાં એક વધુ આરોપી ઈમ્તિયાઝને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. પરંતુ પરિવારજનોનો આરોપ છે કે ઈમ્તિયાઝ નિર્દોષ છે. તે તેની બહેનને શોધવા ગયો હતો અને ત્યારેજ પોલીસે તેને દબોચ્યો.

અલીગઢમાં કલમ 144નો ભંગ કરવાના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરતા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના 1200 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ વિદ્યાર્થીઓ વિરુદ્ધ કેન્ડલ લાઈટ માર્ચ કાઢવા માટે યુપી પોલીસે કેસ દાખલ કર્યો છે. આ વિદ્યાર્થીઓ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 23 ડિસેમ્બેરે માર્ચ કરી રહ્યાં હતાં. 

આ બાજુ હિંસાને વખતે જે લોકોના મોત થયા હતાં તેને લઈને યુપી પોલીસને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ તરફથી નોટિસ મોકલવામાં આવી છે. NHRCએ ચાર અઠવાડિયામાં ડીજીપી ઓપી સિંહને જવાબ આપવા જણાવ્યું છે. નાગરિકતા સંશોધન કાયદાને લઈને થયેલા હિંસક પ્રદર્શનમાં ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news