CBIvsCBI: વચગાળાના ડાઈરેક્ટર હાલ કોઈ મોટો નિર્ણય ન લે, જાણો SCના આદેશની ખાસ વાતો

CBI વિરુદ્ધ CBI વિવાદને લઈને સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્માને અચાનક જ રજા પર ઉતારી દેવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી જેના પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ.

CBIvsCBI: વચગાળાના ડાઈરેક્ટર હાલ કોઈ મોટો નિર્ણય ન લે, જાણો SCના આદેશની ખાસ વાતો

નવી દિલ્હી: CBI વિરુદ્ધ CBI વિવાદને લઈને સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્માને અચાનક જ રજા પર ઉતારી દેવાના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી જેના પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 3 જજોની પેનલ આલોક વર્મા અને પ્રશાંત ભૂષણની એનજીઓ કોમન કોઝના અરજીઓ પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તેઓ આ મામલાને જોશે, તેમણે સીવીસીને પોતાની તપાસ આગામી બે અઠવાડિયામાં પૂરી કરવા જણાવ્યું છે. આ તપાસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ એકે પટનાયકની નિગરાણીમાં થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે દેશહિતમાં આ મામલાને વધુ લાંબો સમય સુધી ખેંચી શકાય નહીં.

આલોક વર્માની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પણ મોકલી છે. તેમણે સરકારને પૂછ્યું છે કે કયા આધાર પર આલોક વર્માને રજા પર મોકલી દેવાયા છે. આ મામલે આગામી સુનાવણી 12 નવેમ્બરે હાથ ધરાશે. વરિષ્ઠ વકીલ ફલી નરિમન આલોક વર્માની પેરવી કરી રહ્યા છે.

શું કહ્યું સુપ્રીમ કોર્ટે?...

- સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે વચગાળાના ડાઈરેક્ટર કોઈ મોટા નિર્ણય ન લે.

- સીબીઆઈ ડાઈરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ 2 અઠવાડિયામાં સીવીસી તપાસ પૂરી કરે અને આ તપાસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની નિગરાનીમાં થાય.

- સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે દસ દિવસમાં તપાસ પૂરી થઈ શકે નહીં. આ માટે વધુ સમય મળવો જોઈએ. 

- સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈના બદલાયેલા તપાસ અધિકારીઓની યાદી સીલબંધ કવરમાં કોર્ટને આપવામાં આવે. 

- આ મામલાની આગામી સુનાવણી 12 નવેમ્બરના રોજ નક્કી કરાઈ છે. 

- રજા પર મોકલી દેવાયેલા આલોક વર્મા અને રાકેશ અસ્થાનાની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news