ભારત અને દ. આફ્રિકાઃ સદીઓ જૂના સંબંધો ગાંધીજીએ કર્યા મજબૂત

'ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ'ની મદદથી દક્ષિણ આફ્રિકામાં ભારત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આદાન-પ્રદાન કરે છે અને સાથે જ દ.આફ્રિકાના છાત્રોને સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. ભારત અને દ. આફ્રિકા વચ્ચે વાર્ષિક 15 બિલિયન ડોલરનો દ્વીપક્ષીય વેપાર કરવામાં આવે છે. ગુજરાતી સમુદાયના લોકો સૌથી વધુ વેપારમાં સંકળાયેલા છે.

ભારત અને દ. આફ્રિકાઃ સદીઓ જૂના સંબંધો ગાંધીજીએ કર્યા મજબૂત

નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના સંબંધો સદીઓ પુરાણા છે. ભારતના ઉદ્યોગ સાહસિકોની અનેક પેઢીઓ દ.આફ્રિકામાં જઈને વસી છે અને તેના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ગાંધીજી પણ એટોર્ની જનરલ બન્યા બાદ વકાલત કરવા દક્ષિણ આફ્રિકા ગયા હતા અને તેમને સત્યાગ્રહની શીખ અહીં જ મળી હતી. ગાંધીજીને અંગ્રેજો વિરુદ્ધ આંદોલન કરવાની પ્રેરણા પણ અહીંથી જ મળી હતી. ભારત અને દ.આફ્રિકા વચ્ચે વ્યાપારી સંબંધોની શરૂઆત 1946માં થઈ હતી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર, નામ અને અન્ય બહુપક્ષીય સંગઠનોના સંમેલનોમાં દક્ષિણ આફ્રિકા તરફી અવાજ ઉઠાવ્યો છે. 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોની શરૂઆત 1993માં થઈ જ્યારે ભારતે જોહાનિસબર્ગમાં સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરી. દ.આફ્રિકાના વિદેશ મંત્રી પીક બોથાની ભારત 1993માં ભારત મુલાકાત બાદ આ સંબંધો વધુ ગાઢ બન્યા હતા. ભારતે 1996માં ભારતીય હાઈ કમિશન ઓફિસ દ.આફ્રિકાના કેપ ટાઉનમાં ખોલી હતી. દ.આફ્રિકાએ મુંબઈમાં કોન્સ્યુલેટ જનરલની ઓફિસ ખોલી હતી. 

રાજકીય સંબંધો 
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો આઝાદીની લડાઈના સમયથી છે. આ ઉપરાંત બંને દેશ દ્વીપક્ષીય રીતે BRICS, IBSA અને અન્ય ક્ષેત્રીય સંગઠનો મારફતે જોડાયેલા છે. વર્ષ 1993થી ભારત આર્થિક અને વાણિજ્યિક, સંરક્ષણ, સાંસ્કૃતિક, આરોગ્ય, જાહેર વહીવટ, સાન્યસ એન્ડ ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રે દ.આફ્રિકાને સહકાર આપતું રહ્યું છે. દિલ્હી અને દ.આફ્રિકા વચ્ચે થયેલા વ્યૂહાત્મક ભાગીદારી અંગેના 'રેડ ફોર્ડ ડેક્લેરેશન'ને 2017માં જ 20 વર્ષ પૂરા થયા હતા. રાજકીય સંબંધોને મજબૂતી આપવાના ભાગ રૂપે બંને દેશના વડાઓ અવાર-નવાર એક-બીજાના દેશની મુલાકાત લેતા રહ્યા છે. આ ઉપરાંત, મંત્રી કક્ષાએ પણ બંને દેશના મંત્રીઓ એક-બીજાના દેશની મુલાકાત લેતા રહે છે. 

સંયુક્ત કમિશન અને વિદેશ ઓફિસ કક્ષાએ સહકાર
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વિદશ મંત્રીઓની કક્ષાએ એક સંયુક્ત કમિશનની 1994માં રચના કરવામાં આવી છે. જેની બેઠક નિયમિત સમયાંતરે મળતી રહે છે અને તેમાં દ્વીપક્ષીય મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે છે. આ ઉપરાંત IBSA (ઈન્ડિયા, બ્રાઝિલ, સાઉથ આફ્રિકા) અને BRICS (બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચાઈના, દક્ષિણ આફ્રિકા) નામના બે સંગઠનની વાર્ષિક બેઠકો મારફતે પણ બંને દેશ દ્વીપક્ષીય રીતે જોડાયેલા છે. 

(ફોટો સાભારઃ pmindia)

વ્યાપારિક અને આર્થિક સહકાર
ભારત અને દ. આફ્રિકા વચ્ચે વાર્ષિક 15 બિલિયન ડોલરનો દ્વીપક્ષીય વેપાર કરવામાં આવે છે. ભારત ટ્રાન્સપોર્ટ ઈક્વિપમેન્ટ્સ, દવાઓ, એન્જિનિયરિંગ સાધનો, ફૂટવેર, ડાઈ, કેમિકલ્સ, ટેક્સટાઈલ, ચોખા, હીરા અને ઝવેરાત વગેરે ચીજ-વસ્તુઓની દક્ષિણ આફ્રિકામાં નિકાસ કરે છે. જ્યારે ભારત દક્ષિણ આફ્રિકામાંથી સોનું, સ્ટીમ કોલસો, કોપર ઓર, ફોસ્ફોરિક એસિડ, મેંગેનિઝ ઓર, એલ્યુમિનિયમ ઈગ્નોટ્સ અને અન્ય ખનીજોની આયાત કરે છે. ભારતના ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ, આઈટી કંપનીઓ અને કેટલીક ખનીજ ઉત્ખનન કંપનીઓએ દક્ષિણ આફ્રિકામાં મોટાપાયે રોકાણ કરેલું છે. 

સાંસ્કૃતિક સંબંધો 
'ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ'ની મદદથી દક્ષિણ આફ્રિકામાં ભારત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આદાન-પ્રદાન કરે છે અને સાથે જ દ.આફ્રિકાના છાત્રોને સ્કોલરશિપ પણ આપવામાં આવે છે. 

(ફોટો સાભારઃ pmindia)

ભારતીય સમુદાય 
દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લોકોએ 1860થી વસવાટની શરૂઆત કરી હતી. બ્રિટિશ તાબા હેઠળના રાજમાં ભારતના લોકો ખેતમજૂરો તરીકે અહીં આવ્યા હતા, જેમાં મોટાભાગના તમિલનાડુ અને આંધ્રપ્રદેશના હતા. 1880માં ભારતના મુસાફરોએ જહાજ મારફતે દ.આફ્રિકાની મુલાકાત લેવાનું શરૂ કર્યું. જેમાં મોટાભાગના ગુજરાતના વેપારીઓ હતા. તેઓ વેપાર માટે દ.આફ્રિકા જતા હતા. આજે, દ.આફ્રિકાના વેપાર-ઉદ્યોગમાં ગુજરાતીઓનું ઘણું મોટું યોગદાન છે. 

દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા 1.5 મિલિયન જેટલી છે, જે દ.આફ્રિકાની કુલ વસતીના 3 ટકા છે. ભારતનો 80 ટકા સમુદાય ક્વાઝુલુ નાટા, 15 ટકા ગુવાટેન્ગ અને બાકીના 5 ટકા કેપ ટાઉનમાં વસે છે. દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લોકો સરકાર, બિઝનેસ, મીડિયા, કાયદો અને અન્ય વ્યવસાયોમાં ભાગીદાર છે. વર્ષ 2010ને ભારતીય મૂળની વ્યક્તિના દક્ષિણ આફ્રિકામાં પ્રવેશની 150મી વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવ્યું હતું. એ જ રીતે વર્ષ 2014ને ગાંધીજી દ્વારા દક્ષિણ આફ્રિકા છોડવાના 100 વર્ષની જયંતી તરીકે ઉજવવામાં આવ્યું હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 9 જાન્યુઆરી, 1915ના રોજ ભારત આવ્યા હતા. ભારતમાં આ દિવસને 'પ્રવાસી ભારતીય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. (માહિતીઃ ભારત સરકારના વિદેશ મંત્રાલયની વેબસાઈટમાંથી સાભાર) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news