પંજાબમાં શપથ ગ્રહણ બાદ AAP માટે 'અગ્નિપથ', પાર્ટી માટે કેવી રીતે મુશ્કેલ છે આપેલ વચનો પુરા કરવા?

જે કદાચ કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારને સહકાર નહીં આપે. તેની સાથે જ હવે પંજાબના લોકો અરવિંદ કેજરીવાલે ચૂંટણીમાં આપેલા વચનો પૂરા થવાની રાહ જોવા લાગ્યા છે.

પંજાબમાં શપથ ગ્રહણ બાદ AAP માટે 'અગ્નિપથ', પાર્ટી માટે કેવી રીતે મુશ્કેલ છે આપેલ વચનો પુરા કરવા?

નવી દિલ્હીઃ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારને પ્રચંડ બહૂમત મળ્યો છે, જેના કારણે 'આપ' એટલે કે આમ આદમી પાર્ટી (AAP)નો યુગ શરૂ થઈ ગયો છે. છે. ભગવંત માને બુધવારે પંજાબના 17માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ શપથથી રાષ્ટ્રીય રાજકારણમાં ઘણું બદલાઈ ગયું.

હવે અરવિંદ કેજરીવાલ માત્ર દિલ્હીના કેપ્ટન રહ્યા નથી, પરંતુ તેઓ રાષ્ટ્રીય રાજનીતિની પીચ પર વિસ્ફોટક બેટિંગ કરવા ઉતરી આવ્યા છે. પંજાબ જેવા સરહદી રાજ્યમાં એવી સરકાર આવી છે, જે કદાચ કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારને સહકાર નહીં આપે. તેની સાથે જ હવે પંજાબના લોકો અરવિંદ કેજરીવાલે ચૂંટણીમાં આપેલા વચનો પૂરા થવાની રાહ જોવા લાગ્યા છે.

50 એકરમાં યોજાયો શપથ ગ્રહણ સમારોહ
પંજાબના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે જ્યારે કોઈ મુખ્યમંત્રીએ રાજભવનની બહાર શપથ ગ્રહણ સમારોહનું આયોજન કર્યું હોય. આ કાર્યક્રમ 50 એકર વિસ્તારમાં યોજાયો હતો, જ્યાં 40,000 ખુરશીઓ, પ્રવેશ માટે 33 દરવાજા અને VVIP નેતાઓ માટે ચાર હેલિપેડ બનાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પાછળ અંદાજે રૂ.2 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ કાર્યક્રમ શહીદ ભગત સિંહના ગામ ખટકર કલાનમાં યોજાયો હતો.

આશ્ચર્યની વાત એ છે કે તેમના પરિવારનો એક પણ સભ્ય આ કાર્યક્રમમાં હાજર રહ્યો ન હતો. એટલે કે આમ આદમી પાર્ટીએ સારો પ્રયાસ કર્યો પરંતુ શહીદ ભગત સિંહના પરિવારના આશીર્વાદ મળ્યા નહીં. તેમના પરિવારજનોને લાગે છે કે આ કાર્યક્રમમાં બધું જ હતું, પરંતુ સામાન્ય લોકો જેવી સાદગી નહોતી.

કેજરીવાલ પણ મંચ પર હાજર
પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ભગવંત માને પંજાબની જનતાને આપેલા તમામ વચનો પૂરા કરવાની વાત જણાવી હતી. તે દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ મંચ પર હાજર હતા. 48 વર્ષીય ભગવંત માનનો જન્મ પંજાબના સંગરુરમાં થયો હતો. તેમના પિતા એક શાળાના આચાર્ય હતા. પણ ભગવંત માનનું મન ભણવામાં બહુ નહોતું. તેમણે બી.કોમ.નો અભ્યાસ કરવા માટે કોલેજમાં પ્રવેશ મેળવ્યો પરંતુ એક વર્ષ પછી અધવચ્ચે જ કોલેજ છોડી દીધી.

શું AAP સરકાર પંજાબમાં પૂરા કરી શકશે આપેલા વચનો ?

- પહેલું વચન છે - પંજાબમાં 16,000 મોહલ્લા ક્લિનિક્સ બનાવવામાં આવશે, જ્યાં લોકોને મફત સારવાર મળશે.

- દિલ્હીમાં પહેલાથી જ આમ આદમી પાર્ટીની સરકાર છે, તે 2015થી માત્ર 500 મોહલ્લા ક્લિનિક્સ બનાવી શકી છે. એટલા માટે, પંજાબમાં 16,000 મોહલ્લા ક્લિનિક્સનું નિર્માણ પાર્ટી માટે એક મોટો પડકાર હશે.

બીજું વચન છે- 18 વર્ષથી ઉપરની તમામ મહિલાઓને દર મહિને એક હજારની આર્થિક સહાય આપવામાં આવશે.

- પંજાબમાં આવી મહિલાઓની સંખ્યા લગભગ એક કરોડ છે. એટલે કે માત્ર આ વચનને પૂર્ણ કરવા માટે સરકારે દર મહિને એક હજાર કરોડ રૂપિયા ખર્ચવા પડશે. આ રકમ કેટલી છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે પંજાબ સરકાર દર મહિને પંજાબ પોલીસ પર આટલા પૈસા ખર્ચતી નથી. 2021-2022માં પંજાબ પોલીસનું વાર્ષિક બજેટ લગભગ 5 હજાર 700 કરોડ રૂપિયા હતું.

- આ હિસાબથી પંજાબ સરકાર પંજાબ પોલીસ પર દર મહિને 500 કરોડ રૂપિયા પણ ખર્ચતી નથી. પરંતુ 18 વર્ષથી ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવા માટે તેમણે એક હજાર કરોડ રૂપિયા ખર્ચવા પડશે.

એક મહિનામાં ડ્રગ્સની દાણચોરી ખતમ કરવાનું વચન
આમ આદમી પાર્ટીએ આપેલું ત્રીજું વચન હતું કે તેઓ એક મહિનામાં પંજાબમાંથી ડ્રગ્સનું નામ નિશાનને નાબૂદ કરશે. હવે આ વચન પુરું કરવા માટે તેમણે પોલીસ વિભાગ પરનો ખર્ચ વધારવો પડશે. જ્યારે અમે તમને ઉપર જ કહ્યું છે કે જો સરકાર આવું કરે છે, તો 18 વર્ષથી ઉપરની મહિલાઓ માટે દર મહિને એક હજાર રૂપિયા આપવા મુશ્કેલ થઈ જશે.

ચોથું વચન છે કે સામાન્ય લોકોને 400 યુનિટ સુધીના વીજળીના બિલ પર 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ખેડૂતોને 12 કલાક મફત વીજળી આપવામાં આવશે અને કોરાબારીઓ અને અન્ય મોટા ઉદ્યોગોને પણ સસ્તા ભાવે વીજળી આપવામાં આવશે. જો પંજાબ સરકાર આ વચન પૂર્ણ કરશે તો તેમના પર વાર્ષિક 5 થી 8 હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજો વધશે.

પાંચમું વચન હતું કે - પંજાબમાં 25 લાખ નવી નોકરીઓનું સર્જન થશે. તેના સિવાય કેટલાક અન્ય મોટા વાયદાઓનો સમાવેશ થાય છે, જેના પર સરકારનો ખર્ચ ઘણો વધી શકે છે. ઉદાહરણ તરીકે, આમ આદમી કેન્ટીન હેઠળ લોકોને પાંચ રૂપિયામાં ભોજનની પ્લેટ આપવામાં આવશે. વૃદ્ધો અને વિધવા મહિલાઓને મળતું પેન્શન દર મહિને 500 રૂપિયાથી વધારીને 2.5 હજાર રૂપિયા કરવામાં આવશે.

ધોરણ 9માં પહોંચતા વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવામાં આવશે. તમામ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. 29 હજાર નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે અને નાના અને ગરીબ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે.

પંજાબ પર 3 લાખ કરોડનું દેવું
પંજાબમાં આમ આદમી પાર્ટીના આ એવા વચનો છે જે ખૂબ ખર્ચાળ છે. જ્યારે પંજાબના ખિસ્સામાં હાલના સમયે ફૂટી કોડી પણ નથી. અત્યારે પંજાબ પર લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. જો આ દેવું પંજાબની 3 કરોડ વસ્તીમાં વહેંચવામાં આવે તો તેમના હિસાબે રાજ્યના દરેક વ્યક્તિ પર એક લાખ રૂપિયાનું દેવું ચઢી જશે.

હવે પંજાબ સરકાર આ વચનો માત્ર બે જ કિસ્સામાં પૂરા કરી શકે છે. પ્રથમ, કાં તો તેમણે સામાન્ય લોકો પર ટેક્સનો બોજ વધારવો જોઈએ. અને બીજો વિકલ્પ છે આ વચનો પૂરા કરવા માટે વધુ લોન લેવાનો. હવે જો પંજાબ સરકાર વધુ લોન લેશે તો તેનાથી રાજ્યનું આર્થિક સ્વાસ્થ્ય ખરાબ થશે. આમ આદમી પાર્ટીના વચનોની જેમ પંજાબને મફત યોજના હેઠળ આ લોન નહીં મળે. તેના બદલે સરકારે આના પર ભારે વ્યાજ ચૂકવવું પડશે. આ ચિંતાજનક સ્થિતિ હશે.

ઉદાહરણ તરીકે, પંજાબ સરકારે ગયા વર્ષે રાજ્ય પર ખર્ચ કરેલા રૂ. 1 લાખ કરોડમાંથી તેમણે રૂ. 20,000 કરોડ માત્ર વ્યાજ તરીકે ચૂકવ્યા હતા. જ્યારે સરકારે પેન્શન અને નિવૃત્તિ લાભો પર સાડા 11 હજાર કરોડ રૂપિયા, સરકારી કર્મચારીઓના પગાર પર 27 અને સાડા હજાર કરોડ રૂપિયા અને અન્ય બાબતો પર લગભગ 44 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

હવે રાષ્ટ્રીય રાજનીતિ તરફ આગળ વધશે AAP
પંજાબ સરહદી રાજ્ય છે અને તેની સરહદો પાકિસ્તાન સાથે જોડાયેલી છે. જે વિપક્ષી પાર્ટીઓ એકબીજા સાથે ગઠબંધન કરવા માંગે છે, તેમાં અરવિંદ કેજરીવાલ હવે આગળની હરોળમાં ઊભા રહેશે. તેઓ શરદ પવાર, મમતા બેનર્જી અને રાહુલ ગાંધીથી પાછળ રહેશે નહીં.

આગામી સમયમાં ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. અને કેજરીવાલ આ રાજ્યમાં કેટલીક સીટો જીતવાનો પ્રયાસ કરશે. સાથે તે 2024ની લોકસભા ચૂંટણી સુધીમાં પોતાને એક મજબૂત રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવા માંગે છે. કદાચ 2029ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિ. અરવિંદ કેજરીવાલ હોય કારણ કે પંજાબમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત બાદ કેજરીવાલ પ્રધાનમંત્રી બનવાના સપના જોવા લાગ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news