ટેકાના ભાવની ખરીદીને લઈ ખેડૂતો માટે હિતકારી નિર્ણય, કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી મોટી જાહેરાત

કૃષિમંત્રી પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી 10 માર્ચ-2023 થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

ટેકાના ભાવની ખરીદીને લઈ ખેડૂતો માટે હિતકારી નિર્ણય, કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી મોટી જાહેરાત

ગાંધીનગર: સરકાર દ્વારા ખેડૂતોને તેમના પાકનું પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી 01 ફેબ્રુઆરી- 2023થી રાજ્યભરમાં એક માસ માટે પ્રારંભ કરવામાં આવશે તેમ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. કૃષિમંત્રી પટેલે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયેથી રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી 10 માર્ચ-2023 થી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડુતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.

મંત્રીએ કહ્યું હતું કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા 01 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી- 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણા નો ખર્ચ રાજય સરકાર ભોગવશે.

મંત્રીએ ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.6,600, એટલે કે પ્રતિ મણ રૂા.1,320, ચણા માટે પ્રતિ ક્વિ. રૂા.5,335 એટલે કે પ્રતિ મણ રૂા.1,067 તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂા.5,450 એટલે કે પ્રતિ મણ રૂા. 1,090નો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેમ પણ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news