ગુજરાતની શિક્ષિત નગરી વડોદરા એટલે વિવિધતાનો ખજાનો, જાણો રસપ્રદ વાતો

વિશ્વામિત્રી નદીની કિનારે આવેલ વડોદરા ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 139 કિલોમીટર દૂર છે. ગુજરાતમાં વડોદરાની ગણના સાંસ્કૃતિક નગરી તરીકે થાય છે.

ગુજરાતની શિક્ષિત નગરી વડોદરા એટલે વિવિધતાનો ખજાનો, જાણો રસપ્રદ વાતો

અમદાવાદ અને સુરત બાદ વડોદરા ગુજરાતમાં ત્રીજુ ટોચનું શહેર કહેવાય છે. મિક્સ કલ્ચર ધરાવતા આ શહેર પર લાંબા સમય સુધી મરાઠા સામ્રાજ્ય હતું. મરાઠા સામ્રાજ્યમાં ગાયકવાડ પરિવાર હતું. જેમણે વડોદરા પર અંદાજે 240થી વધુ વર્ષો સુધી રાજ કર્યું હતું. આજે વડોદરાના વિકાસનો ખરો શ્રેય ગાયકવાડી શાસનને આપી શકાય. જેમણે કલા, સંસ્કૃતિથી લઈને શિક્ષણ, વિકાસ, ઉદ્યોગ ક્ષેત્રે અનેક પાયાગત ફેરફાર કરીને વડોદરાનું નામ ભારતના નક્શા પર ચમકતુ કર્યું હતું. ગાયકવાડી શાસનમાં વડોદરામાં અનેક એવી જાજરમાન ઈમારતો બનાવવામાં આવી છે, જેને કારણે હેરિટેજ દ્રષ્ટિએ પણ વડોદરા પ્રખ્યાત છે. 

વિશ્વામિત્રી નદીની કિનારે આવેલ વડોદરા ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 139 કિલોમીટર દૂર છે. ગુજરાતમાં વડોદરાની ગણના સાંસ્કૃતિક નગરી તરીકે થાય છે. અહીં તમને મિક્સ કલ્ચર જોવા મળશે. પોપ્યુલેશનની વાત કરીએ તો હાલ વડોદરાની વસ્તીનો આંકડો 2.388 મિલિયન પહોંચી ગયો છે. 

વડોદરાનો ઈતિહાસ
વડોદરામાં શરૂઆતનું નામ વટપદ્ર હતું. કાર્યક્રમ બદલાતા હવે વડોદરા નામ પર મહોર લાગી છે. અગાઉ તેનું નામ બરોડા પણ હતું, તેથી અનેક લોકો તેને બરોડા કહીને પણ બોલાવે છે. વડોદરા પર બે સામ્રાજ્યોનું શાસન રહ્યું હતું. પહેલા મુઘલ અને બાદમાં મરાઠા શાસન. મુઘલો પાસેથી સલ્તનત આંચકીને મરાઠાઓએ વડોદરા પર સત્તા સ્થાપી હતી. 1721માં પીલાજી ગાયકવાડ મુઘલ સામ્રાજ્ય સામેથી વડોદરા ઉપર કબજો મેળવી વડોદરાને મરાઠી શાસન હેઠળ લાવ્યા. આ નગર ગાયકવાડ વંશના મરાઠા રાજ્યનું પાટનગર હતું. રાઠી પેશ્વાએ ગાયકવાડને વડોદરા ઉપર વહીવટ કરવાનો હક્ક આપ્યો. ઇ. સ. 1761માં, મરાઠા સામ્રાજ્યના પેશ્વાનો અફધાનો સામે પાણીપતનાં યુધ્ધમાં પરાજય પછી વડોદરાનું શાસન ગાયકવાડોના હસ્તક આવ્યું. ઇ. સ. 1802માં બ્રિટિશરો સાથે સંધિ પછી વડોદરા, બ્રિટીશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હસ્તક રહ્યું.

710416-panipuri-072818.jpg

વડોદરાના રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસનો શ્રેય ગાયકવાડી રાજ્યના સુપ્રસિઘ્ઘ શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાને ફાળે જાય છે. સયાજીરાવ ગાયકવાડે, ઇ. સ. 1875માં ગાદી સંભાળી. તેમણે વડોદરાનો શૈક્ષણિક વિકાસ કર્યો. જેમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત બનાવવાથી લઈને અદ્યતન લાઈબ્રેરી અને ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટી સ્થાપી હતી. તે કાળમાં તેઓ ભારતમાંથી અનેક સારા એક્સપર્ટસ વડોદરા લાવ્યા હતા. તેમણે ટેક્સટાઇલ તથા અન્ય ઉદ્યોગોનો વિકાસ પણ કર્યો. ભારતનાં સ્વાતંત્ર્ય પછી તે સમયના વડોદરાના મહારાજાએ ભારત ગણરાજ્યમાં સામેલ થવાનો નિર્ણય કર્યો અને વડોદરા સ્વતંત્ર ભારતનાં મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ઇ. સ. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો ભાગ બન્યું

ઉદ્યોગોનો વિકાસ
ઉદ્યોગોના વિકાસ મામલે વડોદરા પહેલેથી જ સમૃદ્ધ રહ્યું છે. ગાયકવાડી શાસન દરમિયાન વડોદરામાં ઉદ્યોગોના વિકાસને વેગ મળ્યો હતો. વડોદરામાં પેટ્રોકેમીકલ્સ, કેમિકલ, ટેક્સટાઇલ્સ તથા એન્જિનિયરિંગ ઉદ્યોગો મોટી સંખ્યામાં છે. વડોદરા પાસેથી નેશનલ હાઈવે નંબર 8 પસાર થાય છે. જેને કારણે વડોદરાના ઉદ્યોગો ફૂલ્યાફાલ્યા છે. વડોદરામાં જીએસએફસી, જીએનએફસી, આઈપીસીએલ, રિલાયન્સ, જીએસીલએલ જેવા મોટાપાયે ધમધમતા અનેક ઉદ્યોગો છે. 

સંસ્કારી નગરી
1960ના દશકાની શરૂઆત સુધી, વડોદરા શહેરની સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે ગણના થતી હતી. વડોદરામાં કલા અને સંસ્કૃતિને મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં વેગ મળ્યો હતો. આ માટે જ તેમણે વડોદરામાં પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીની સ્થાપ્ના કરી હતી. ભારતમાં સંગીત ફેસ્ટિવલ શરૂ કરનારા તેઓ પહેલા મહારાજા હતા. વડોદરાની ફાઈન આર્ટસ ફેકલ્ટી કલા ક્ષેત્રે આખા ભારતમાં પ્રખ્યાત છે. અહીંથી દિગ્ગજ કલાકારો ભારતને મળ્યા છે. જેમ કે, કે.જી.સુબ્રમણ્યમ, જેરામ પટેલ વગેરે... મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા પણ મોકલ્યા હતા. 

વડોદરાની ડેમોગ્રાફી
આમ તો વડોદરામાં અનેક ભાષાઓ બોલાય છે, પરંતુ ગુજરાતી અને મરાઠી સૌથી વધુ બોલાતી ભાષા છે. આ ઉપરાંત અહીં ઉત્તર ભારતીય અને બંગાળી લોકો પણ મોટી સંખ્યામાં વસેલા છે. આ કારણ જ વડોદરા કોસ્મોપોલિટન સિટી કહેવાય છે. વડોદરામાં ગણેશ ચતુર્થી અને ઉત્તરાયણ જેવા તહેવારો ધામધૂમથી સેલિબ્રેટ કરાય છે. 

ખાણીપીણી
ખાણીપીણીની મામલે વડોદરાવાસીઓનો ટેસ્ટ તીખો છે તેવું કહી શકાય. અહીંનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવઉસળ છે. જે વડોદરાની ગલીએ-ગલીએ ખાવા મળશે. આ ઉપરાંત અહીંનો લીલો ચેવડો અને ભાખરવડીના શોખીનો તો વિદેશો સુધી ફેલાયેલા છે. સ્વીટની વાત કરીએ તો વડોદરાના દુલીરામના પેંડા વર્લ્ડ ફેમસ છે. આ ઉપરાંત અહીં મરાઠી કલ્ચર વધુ હોવાથી મરાઠી ફૂડમાં મિસળ પાવ, પૂના મિસળ તથા અન્ય મરાઠી વાનગીઓ પણ પ્રખ્યાત બની છે. 

Jama-Masjid-Champaner.jpg

વડોદરાનું રાજકરણ
રાજકારણની વાત કરીએ તો વડોદરા ભાજપનું ગઢ કહેવાય છે. મ્યૂનિસિપલ, જિલ્લા પંચાયતમાં પણ ભાજપની જ સત્તા લાંબા સમયથી છે. આ જ કારણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડોદરામાંથી લોકસભા ઈલેક્શન લડ્યા હતા. જેમાં અત્યાર સુધીની સૌથી વધુ માર્જિન 570,128 વોટથી જીત્યા હતા. 

જોવાલાયક સ્થળો
વડો઼દરામાં અનેક જોવાલાયક સ્થળો છે, જેની શરૂઆત વડોદરાના રાજવી પરિવારના અધિકારિક નિવાસ સ્થાન લક્ષ્મી વિલાસ પેલેસથી થાય છે. તેને જોવા માટે દેશવિદેશથી ટુરિસ્ટ્સ આવે છે. આ ઉપરાંત વડોદરામાં સયાજીબાગ, સરદાર પટેલ ઝૂ, બરોડા મ્યૂઝિયમ, ફતેસિંહ રાવ મ્યૂઝિયમ જેવા સ્થળોએ વડોદરાના ઐતિહાસિક વારસાની ઝલક દેખાશે. વડોદરાના આસપાસના વિસ્તારોમાં જોઈએ તો પાવાગઢ, ચાણોદ, કરનાળી, ડાકોર, ગળતેશ્વર, સુરપાણેશ્વર, ચાંપાનેર, કાવી કંબોઈ, કબીરવડ, જાંબુઘોડા વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી, ઝંડ હનુમાન, સરદાર સરોવર જેવા અનેક સ્થળો આવેલા છે. 

વડોદરાની ખાસિયતો...

  •  વડોદરાની પોતાની ક્રિકેટ ટીમ છે, તથા એશિયાનું સૌથી જૂનુ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ વડોદરામાં છે. જેનું નામ મોતીબાગ છે. વડોદરાની ક્રિકેટ ટીમે 6 વાર રણજી ટ્રોફી જીતી છે.
  •  વડોદરાના ગરબા વર્લ્ડ ફેમસ છે. જેને ગુજરાત ટુરિઝમમાં પણ પ્રમોટ કરવામાં આવે છે.
  •  વડોદરાના મદ્યમાં મહારાજાએ 1910માં બંધાવેલી સેન્ટ્રલ લાઈબ્રેરી અદભૂત છે. તેમાં 2 ઈંચના જાડા બેલ્જિયન ગ્લાસ ટાઈલથી ફ્લોરિંગ કરાયું છે. 
  •  ભારતની ટોચની ગણાતી બેંક ઓફ બરોડાનો પાયો પણ વડોદરામાં નંખાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news