સરકારી બાબુઓએ જ સરકારને લગાવ્યો 9 કરોડનો ચુનો, આ છે કૌભાંડીઓ

Water Supply Department Scam In Navsari: બીલીમોરા પાણી પુરવઠા વિભાગમાંથી મોટુ કૌભાંડ બહાર આવ્યું છે, સરકારી બાબુઓએ જ સરકારને લગાવ્યો 9 કરોડનો ચુનો, કામ વગર પાસ થઈ જતા હતા બીલ, 14 સામે FIR અને 10ની ધરપકડ 

સરકારી બાબુઓએ જ સરકારને લગાવ્યો 9 કરોડનો ચુનો, આ છે કૌભાંડીઓ

Navsari News ધવલ પારેખ/ચેતન પટેલ/નવસારી : નવસારી જિલ્લાના બીલીમોરા તાલુકામાં આવેલી પાણી પુરવઠા વિભાગમાં મસમોટુ કૌભાંડ સીઆઈડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જે પ્રોજેક્ટ કાર્યરત ન હતા તેના બીલ મૂકવામાં આવતા હતા અને કૌભાંડ ચલાવવામાં આવતું હતું. અત્યાર સુધી 12 કરોડ રૂપિયાના જે બિલ છે તે રાજ્ય સરકારમાં મૂકી પાસ કરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ મહિલા સહિત 10 ની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં 14 દિવસના રિમાન્ડ સામે નવ દિવસના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા. 

સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરનાર કાર્યપાલક ઇજનેર જતીન પટેલે આ કૌભાંડ મામલે જણાવ્યું કે, પ્રોજેક્ટ કોસ્ટ કરતાં વધુ રૂપિયાની ડિમાન્ડ આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી જેને લઈને તેમના દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કરવામાં આવતા આ રીતના કોઈપણ પ્રકારના પ્રોજેક્ટ ચાલતા ન હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે સીઆઈડી ક્રાઇમમાં પણ અરજી કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા જાન્યુઆરી મહિનાથી આ સમગ્ર કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી રહી હતી. આ આરોપીઓ દ્વારા અત્યાર સુધી 163 જેટલા બીલો મૂકવામાં આવ્યા હતા જે પૈકી 94 જેટલા બિલની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 90 જેટલા બીલ પર કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય બે માં અંશત અને અન્ય બેમાં કામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓના નામ

  1. દલપત પટેલ 
  2. રાજેશ ઝા 
  3. શિલ્પા કે રાજ 
  4. પાયલ એન બંસલ 
  5. રાકેશ પટેલ 
  6. જગદીશ પરનાર 
  7. ચિરાગ પટેલ 
  8. મિતેશ નરેન્દ્ર શાહ 
  9. જ્યોતિ શાહ 
  10. મોહમ્મદ નૂલવાળા 
  11. નરેન્દ્ર શાહ 
  12. તેજલ શાહ 
  13. ધર્મેશ પટેલ

નવસારીની પાણી પુરવઠાની પેટા કચેરી બીલીમોરાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોની મીલીભગતમાં ગણદેવી ચીખલી અને વાંસદા તાલુકાના ગામડાઓમાં પાણી પુરવઠાની યોજનાઓ બનાવી ક્યાંક અધૂરું તો ક્યાંક કાગળ ઉપર કામ દર્શાવીને પાંચ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. સમગ્ર કોભાંડ ધ્યાને આવ્યા બાદ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે અને 14 આરોપીઓ માંથી 10 ની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે જે 90 કામો દર્શાવવામાં આવ્યા હતા. તેમાંથી ત્રણ ગણદેવી તાલુકાના અમલસાડ ગામના છે. અમલસાડના વિકાસ ફળિયા, ગામતળ ફળિયા અને મંદિર ફળિયામાં કુલ 18 લાખથી વધુના ત્રણ કામો મંજૂર કરાયા હતા અને એક વર્ષ અગાઉ તેની શરૂઆત થઈ હતી. પરંતુ કૌભાંડી અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો સાથે મળી આ કામો પૂર્ણ જ કર્યા ન હતા અને બારોબાર 18 લાખથી વધુની રકમ બિલ પેટે ચૂકવી દેવામાં આવી હતી. પાણી પુરવઠાની યોજના ગ્રામ પંચાયતે માંગી હતી. પરંતુ કાંકરાપાર જૂથ યોજના હેઠળ શરૂ થયેલા કામ મુદ્દે ગ્રામ પંચાયતને કોઈ જાણ ન હતી. એજન્સી સીધી આવી અને કામ શરૂ કર્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા કોઈ કમ્પ્લિસન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું નથી. જેથી નવસારી જિલ્લામાં પાણીના માટે ખર્ચાયેલા લાખો કરોડો રૂપિયા અધિકારીઓ કોન્ટ્રાક્ટરની મદદથી ચાઉ કરી ગયા હોય એવી સ્થિતિ સ્પષ્ટ થાય છે.

નવસારીની બીલીમોરા પાણી પુરવઠા કચેરી દ્વારા સાત એજન્સીઓને 90 કામ આપીને નવ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ગત વર્ષે નવસારી જિલ્લા પાણી પુરવઠા અધિકારીને દાળમાં કાળું લાગતા ઉચ્ચ કચેરીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે ગાંધીનગર સુરત નવસારી અને વલસાડ કચેરીના દસ અધિકારીઓએ કરેલી ખાતાકીય તપાસ બાદ પાણી પુરવઠા કચેરીના પાંચ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો સાથે મળી નવસારી જિલ્લામાં પાણી યોજનાના 90 કામો ક્યાં કાગળ પર ક્યાંક અધૂરા છોડી પાંચ કરોડથી વધુના કૌભાંડ અંજામ આપ્યો હોવાનું સામે આવતા જ CID ક્રાઈમમાં ફરિયાદ થઈ હતી. બીલીમોરા સુરત અને વલસાડની સાત એજન્સીઓના કોન્ટ્રાક્ટરોને આદિવાસી વિસ્તારમાં પાણી યોજનાના નવીનીકરણ માટેની કામગીરી આપી હતી. જેમાં ક્યાંક કામ અધૂરા છે. તો ક્યાં કાગળ ઉપર જ રહ્યા છે અને એના ખોટા બીલો મૂકીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયા ગજવે ઘાલી લીધા હોવાનુ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં પાંચ કરોડથી વધીને આંકડો નવ કરોડ પર પહોંચ્યો છે. પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી આઠ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને ફરાર ચાલી રહેલા ચાર અન્ય આરોપીઓનું પગેરુ શોધવા કવાયત હાથ ધરી છે. સાથે જ આરોપીઓની પૂછપરછ આરંભી તપાસને વેગ આપ્યો છે અને હજુ પાણી કૌંભાંડનો આંકડો વધે એવી સંભાવના જોવાઈ રહી છે.

નવસારી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કોભાંડ વિશે જળ મંત્રી મુકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું કે, નવસારીમાં અમારા વિભાગના અધિકારીઓ ગેરરીતિ કરી રહ્યા છે તે અંગે ફરિયાદ મળી હતી. 6 કરોડની અંદર થતા કામો અંગે વિગતો મંગાવવામાં આવી હતી. જવાબદાર તમામ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી માસથી જ તપાસ કરવામાં આવી રહી હતી. અમારા વિભાગ સાથે અન્ય વિભાગોના પણ કામ શામેલ હોવાથી cid ક્રાઈમને તપાસ સોંપવામાં આવી હતી. 132 જેટલા કામો અંગે તપાસ કરાતા 109 કામ સ્થળ પર જોવા મળ્યા ન હતા. પ્રાથમિક 5.38 કરોડ કૌભાંડ અંગે જાણકારી મળી હતી. કોઈપણ અધિકારી ભ્રષ્ટાચાર કરે તો તેમને છોડવામાં આવશે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news