રૂપાણી મંત્રીમંડળમાં મોટા બદલાવના સંકેત : આ મંત્રીઓ પર ફરી શકે છે કાતર

રાજ્યમાં લોકસભાની ચૂંટણી બાદ સત્તાધારી પક્ષ ભાજપના સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો તોળાઇ રહ્યા છે. રાજ્ય સરકારમાંથી કેટલાક મંત્રીઓને પડતા મૂકાશે, તો કેટલાક નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. તો સાથે જ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફારો જોવા મળશે. 

રૂપાણી મંત્રીમંડળમાં મોટા બદલાવના સંકેત : આ મંત્રીઓ પર ફરી શકે છે કાતર

બ્રિજેશ દોશી/અમદાવાદ :રાજ્યમાં લોકસભાની ચૂંટણી બાદ સત્તાધારી પક્ષ ભાજપના સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો તોળાઇ રહ્યા છે. રાજ્ય સરકારમાંથી કેટલાક મંત્રીઓને પડતા મૂકાશે, તો કેટલાક નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. તો સાથે જ પ્રદેશ સંગઠનમાં જડમૂળથી ફેરફારો જોવા મળશે. ભાજપ સરકારમાં મંત્રીમંડળ વિસ્તરણમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સ્થાન મળ્યા બાદ ભાજપના મજબૂત ચહેરાઓને પણ મંત્રીમંડળમાં જગ્યા મળે તે માટે માંગણી ઉઠી હતી. જેને લઇને ચૂંટણી પરિણામો બાદ નિર્ણય લેવાશે.

રાજ્યની રૂપાણી સરકાર સામે સ્થાનિક પડકારો બાદ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મહત્વના હોદ્દા મળ્યા હતા. તેને લઈને ભાજપના અનેક ધારાસભ્યોમાં નારાજગી જોવા મળી હતી. એક તરફ મંત્રીમંડળમાં વિસ્તરણની અટકળો જોવાઇ રહી છે, તો બીજી તરફ ભાજપના સંગઠનની મુદ્દત ડિસેમ્બર 2018માં પૂર્ણ થઈ રહી છે. ત્યારે તેમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. લોકસભા ચૂંટણીને કારણે ભાજપ સંગઠનની નિયુક્તિઓને પાછી ઠેલાઇ હતી. પણ હવે ચૂંટણી પરિણામોની રાહ જોવાઈ રહી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવા સંજોગોમાં નવા પ્રદેશ પ્રમુખ અને તેમની નવી ટીમ સંગઠનમાં જોવા મળી શકે છે. 

જોકે આ તમામ ફેરફારો 23 મી મેએ આવનારા ચૂંટણી પરિણામો બાદ જોવા મળશે. જેમાં નેતાઓની ચૂંટણીમાં નિષ્ક્રિયતા અને જિલ્લાવાર ભાજપને મળેલા મતોના આધારે નિર્ણય લેવાશે. વર્ષ 2017ની ચૂંટણી બાદ જે-તે જિલ્લામાં ભાજપની સ્થિતિમાં સુધારા કે નુકસાનના આધારે તમામ નિર્ણયો લેવાશે.

રૂપાણી સરકારમાં કોના નામ પર કાતર ફેરવાશે

  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 

સરકારના આ સિનિયર મંત્રી સામે હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસના કારણે લેવાઇ શકે છે નિર્ણય

  • પરબત પટેલ

રાજ્ય સરકારના મંત્રી બનાસકાંઠામાં ચૂંટણી જીતે તો તેમના સ્થાને નવા મંત્રીને સ્થાન મળશે

  • પરસોત્તમ સોલંકી

છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત તબિયતના કારણે તેમને બદલાઇ શકાશે

  • વાસણ આહિર

કથિત વાયરલ ઓડિયો ક્લિપના કારણે લેવાઈ શકે છે પગલાં

...તો જીતુ વાઘાણીનું સ્થાન બદલાશે 
આ ઉપરાંત સૌરાષ્ટ્રના મંત્રીઓને લઇને ચૂંટણી પરિણામો બાદ નિર્ણય લેવાશે. પાટીદાર પાવરની પરિણામોમાં કેટલી અસર જોવા મળે છે તેના આધારે આ નિર્ણય લેવામાં આવશે. સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. તો નવા પ્રદેશ પ્રમુખ સહિત સમગ્ર સંગઠનમાં ફેરફાર થશે. પ્રદેશ સંગઠનની સાથે મંડળ સ્તર સુધી ફેરફારો જોવા મળશે.  

ચૂંટણીના પરિણામો બાદ લેવાશે નિર્ણય
આ તમામ ફેરફારો માત્ર ચૂંટણી પરિણામો બાદ જ આવી શકે તેમ છે. કારણ કે, ભાજપનું મોવડી મંડળ પરિણામોના આધારે જ આ મામલે નિર્ણય લેશે. હાલ તેમાં કોઇ નિર્ણય લેવાશે નહિ. રાજ્ય સરકાર સામે જનતામાં વધી રહેલી નારાજગીના પડઘા ચૂંટણી પરિણામોમાં દેખાશે, તો મંત્રીમંડળમાં તેની અસર દેકાશે, અને ફેરફાર પણ મોટાપાયે જોવા મળશે. અન્યથા જે તે વિસ્તારોમાં સ્થાનિક પરિણામના આધારે નિર્ણય લેવાશે. હાલ તો સચિવાલય સહિત સમગ્ર સંગઠનમાં ફેરફારોને લઇને ચર્ચા ચાલી રહી છે. જો કે આ તમામ બાબતોનો આધાર ચૂંટણી પરિણામોમાં ભાજપની કેટલી બેઠકો ઘટશે તેના પર રહેલો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news