નારાયણ સાંઈ બળાત્કાર કેસમાં સુરત જિલ્લા કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદો

નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદના કેસમાં સુરત જિલ્લા કોર્ટ આજે ચૂકાદો સંભળાવી શકે છે. સુરત જિલ્લા કોર્ટમાં સાક્ષીઓની ઉલટ તપાસની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે.

નારાયણ સાંઈ બળાત્કાર કેસમાં સુરત જિલ્લા કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદો

તેજસ મોદી/ચેતન પટેલ, સુરતઃ નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદના કેસમાં સુરત જિલ્લા કોર્ટ આજે ચૂકાદો સંભળાવી શકે છે. સુરત જિલ્લા કોર્ટમાં સાક્ષીઓની ઉલટ તપાસની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે. કોર્ટ દ્વારા ચૂકાદો પણ લખી દેવામાં આવ્યો છે. ત્યારે કોર્ટમાં તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઇ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરતમાં રહેતી બે સગી બહેનોએ આસારામ બાપુ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંને બહેનોને સેવિકા તરીકે આશ્રમમાં રાખ્યા બાદ અલગ અલગ રાજ્યોમાં લઇ જવામાં આવતી અને ત્યારબાદ તેમના પર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. મોટી બહેન પર વર્ષ 2001થી 2007 સુધી અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામે દુષ્કર્મ આચર્યું હતું.

જ્યારે નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005 સુધી પીડિતાઓમાંથી નાની બહેન પર સુરતના જહાંગીરપુરા, પટના અને સાબરકાંઠાના ગભોઈમાં દુષ્કર્મ આચર્યુ હતું. મોટી બહેને આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ નાની બહેને સુરતમાં તેના પર બળાત્‍કાર ગુજાર્યાનો આક્ષેપ નારાયણ સાંઈ પર કર્યો હતો. પોલીસે પીડિતના નિવેદન અને લોકેશનથી મળેલા પૂરાવાના આધાર પર આ કેસ દાખલ કર્યો હતો.

આ બંને બહેનો ગરીબ પરિવાર સાથે જોડાયેલી છે. આસારામના આશ્રમમાં આયુર્વેદિક દવાઓ બનાવવામાં તેમની મદદ લેવામાં આવી હતી. સુરતમાં જહાંગીરપુરા પોલીસે નારાયણ સાંઈ વિરુદ્ધ તા. 06 ઓક્ટોબર 2019ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. જોકે, ત્યારબાદ નારાયણ સાંઈ ફરાર થઇ ગયો હતો. તા. 04 ડિસેમ્બર 2013ના રોજ દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. તા. 06 ડિસેમ્બર 2013ના રોજ નારાયણ સાંઈને દિલ્હીથી સુરત લાવવામાં આવ્યો હતો.

પોલીસ કસ્ટડી દરમિયાન કેસમાં બચવા માટે નારાયણ સાંઈએ કરોડો રૂપિયાની લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં પોલીસ સબ ઇન્સ્પેકટર સહિતના 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન કેસના સાક્ષીઓ પર નારાયણ સાંઈ અને આસારામ બાપુના કથિત સાધકોએ હુમલાઓ પણ કર્યા હતો. પોલીસ દ્વારા નારાયણ સાંઈ સહીત 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી.

જેમાં 25 આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં ક્વોસિંગ પીટીશન કરી જેમની સામે IPC 212 મુજબ કાર્યવાહી કરાઈ હતી. જેમાં કોર્ટે કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો. નારાયણ સાંઈ, કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન, ર્ધિમષ્ઠા પટેલ, ગંગા પટેલ, રમેશ મલ્હોત્રા, મોહિત ભોજવાણી, મોનિકા અગ્રવાલ, પંકજ ઉર્ફે ચિન્ટુ દેવરા, અજય દિવાન અને નેહા દિવાન સહિત 10 વ્યક્તિ સામે ચાર્જશીટ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

કોર્ટમાં ચાલેલી કાર્યવાહીમાં ફરિયાદ પક્ષ તરફથી 53 અને બચાવ પક્ષ તરફથી 14 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. પીડિતાનું મેજિસ્ટ્રેટ સામેનું 164 મુજબનું નિવેદન, મૌખિક પુરવા ઉપરાંત, લેખિત દસ્તાવેજો અને સીડી સહિતના પુરાવાઓની કોર્ટમાં રજુ કરાયા. તમામ દલીલો પૂર્ણ થતા કોર્ટે ચૂકાદો લખવાનું શરુ કર્યું હતું. જેમાં સુરત જિલ્લા કોર્ટ આજે (26મી એપ્રિલ) ચૂકાદો સંભળાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news