શિયાળામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વસાણા ઘરે જ બનાવો, જાણો રેસિપી

શિયાળો શરૂ થતાં જ લોકોએ શિયાળાની ખાસ વાનગી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. શિયાળાની ખાસ વાનગી એટલે ઈમ્યુનિટી વધારતા સ્વાસ્થયવર્ધક વસાણા. સ્વાસ્થ્ય પ્રેમી લોકો માટે શિયાળાની ઋતુએ આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ છે. જોકે સ્વાસ્થ્ય પ્રેમી માટે તો બારેમાસ આરોગ્ય અને શક્તિ સંચય કરવાની ઋતુ છે. કસરત કરવાથી શરીર ચોક્કસથી કસાય છે અને સાથે જ શિયાળુ ખોરાક લેવાથી ઉનાળા અને ચોમાસાની ઋતુઓમાં પણ શારીરિક સુખાકારી જળવાઈ રહે છે. જેથી લોકો શિયાળામાં ખાવા માટે ખાસ વસાણીની વિવિધ વાનગીઓ તૈયાર કરે છે. જો કે આ પરંપરા વર્ષો જૂની છે. 
શિયાળામાં સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક વસાણા ઘરે જ બનાવો, જાણો રેસિપી

ક્રિતિકા જૈન, અમદાવાદ: શિયાળો શરૂ થતાં જ લોકોએ શિયાળાની ખાસ વાનગી બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. શિયાળાની ખાસ વાનગી એટલે ઈમ્યુનિટી વધારતા સ્વાસ્થયવર્ધક વસાણા. સ્વાસ્થ્ય પ્રેમી લોકો માટે શિયાળાની ઋતુએ આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ છે. જોકે સ્વાસ્થ્ય પ્રેમી માટે તો બારેમાસ આરોગ્ય અને શક્તિ સંચય કરવાની ઋતુ છે. કસરત કરવાથી શરીર ચોક્કસથી કસાય છે અને સાથે જ શિયાળુ ખોરાક લેવાથી ઉનાળા અને ચોમાસાની ઋતુઓમાં પણ શારીરિક સુખાકારી જળવાઈ રહે છે. જેથી લોકો શિયાળામાં ખાવા માટે ખાસ વસાણીની વિવિધ વાનગીઓ તૈયાર કરે છે. જો કે આ પરંપરા વર્ષો જૂની છે. 

આપણા પૂર્વજો અને વડીલોએ શિયાળા માટેની  કેટલીક ખાસ વાનગીઓ તૈયાર કરી છે. જેમાં લોકો વિવિધ અન્ટ સામાગ્રી ઉમેરીને આજના સમયપ્રમાણે નવા રંગરૂપ સાથે બનાવીને ખાય છે. જેના સેવનથી તંદુરસ્તી લાંબો સમય જળવાય, શરીર ઠંડીનો સામનો કરી શકે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે. મરી, સૂંઠ, તજ, લવિંગ વગેરે જેવાં ઔષધિય તત્ત્વોના ઉપયોગથી બનતી વાનગીઓને આપણે શિયાળુપાક તરીકે ઓળખીએ છીએ. સાથે જ આ ઔષધિય તત્ત્વોમાંથી વિટામીન મળી રહે છે. 

ઠંડીનો માહોલ હવે ધીરે ધીરે જામવા લાગ્યો છે. લોકો પણ થોડા દિવસોથી ઠંડકનો અહેસાસ કરવા લાગ્યા છે. શિયાળાની શરૂઆતની સાથે દર વર્ષની જેમ ઠંડીમાં સ્વાસ્થ્ય જળવાઇ રહે અને શરીરમાં ગરમીનું પ્રમાણ બની રહે તે માટે કેટલાક લોકોએ તો વસાણા ખાવાની શરૂઆત પણ કરી દીધી છે. શિયાળામાં વર્ષોથી આપણા દાદા-પરદાદાના સમયથી વસાણા બનાવવામાં આવતાં હતા. વસાણા ખાવા પાછળના પણ તેમના અલગ કારણો હતા.

જેમ કે શિયાળામાં ઠંડીની સામે રક્ષણ મળી રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પહેલાંના સમયમાં આ વસાણા ઘરમાં બનતા હતા. પરંતુ હવે સમયના અભાવે અને મોંઘવારીના કારણે લોકો વસાણા ઘરે નથી બનાવતા. તેઓ તૈયાર લેવાનું જ પસંદ કરે છે. જો કે હજુ પણ કેટલાક ઘરોમાં જાતે જ વસાણા બનાવવામાં આવે છે. શિયાળામાં ખાસ કરીને સાલમપાક, ગુંદરપાક અને મેથીના લાડું લોકોને ખુબ ભાવતા હોય છે. આયુર્વેદના મતે મેથી શરીર માટે સારી છે. આ વસાણા ખાવાથી શરદી થતી નથી તેમજ શરીરને પણ મજબૂતી મળી રહે છે.

આ ઉપરાંત મેથીપાક, ગુંદરપાક, ખજુરપાક, અડદીયા, મલાઇ ઘારી, અડદિયાપાક, ખજૂરપાક, ગુંદરપાક, મેથીપાક, કચરિયું, તલની સાની, ચીકી, તલપાક, મગફળીપાક, દાળિયાપાક, તલ-મમરાના લાડુ, કાટલું, બત્રીસુની ડિમાન્ડ પણ વધારે હોય છે. જોકે અડદિયાપાક સૌથી વધુ પ્રચલિત શિયાળુપાક છે. ચીકી આમ તો મુખ્યત્વે સિંગદાણા, તલ અને દાળિયાની બને અને મોટાભાગે ગોળમાં બને. ટમેટા,  ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, દ્રાક્ષ, ખજૂરની ચીકી પણ બને છે.

 શિયાળુ પાકની રેસિપી...

ખજૂર પાક
સામગ્રી  
: ૧૦ ગ્રામ ઘી, ૧ કિલો કાળા ખજૂર,૧ ચમચી સૂંઠ, અડદો કપ કોપરાની છીણ, પા કપ શેકેલા તલ, એક કપ કાજુ-બદામ-પિસ્તા

રીત : તલને  કોરા શેકી લેવા અને પેનમાં ઘી મૂકી પહેલાં ખજૂર શેકવા. ત્યારબાદ તેમાં તેલ, કોપરું સૂંઠ અને ડ્રાયફ્રૂટ મિક્સ કરી  હલાવવું. ત્યારબાદ  તેનો રોલ વાળી લેવો અથવા થાળીમાં ઠંડુ થાય એટલે ચોસલા પાડી લેવા.
 
ફાયદા :  ખજૂરપાક બળવર્ધક છે. શ્વેતપ્રદરની તકલીફવાળી મહિલાને  ફાયદો  કરે છે.

Image preview

ગુંદર પાક 

સામગ્રી : ૧૫૦ ગ્રામ માવો, ૧૦૦  ગ્રામ ગુંદર, ૧૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ  ઘી, ૨૫ ગ્રામ કાજુ, ૨૫ ગ્રામ બદામ, તૈયારીનો સમય ૧૦ મિનિટ

બનાવવાનો  સમય :   ૨૦ મિનિટ

રીત :   પહેલાં એક વાસણમાં  ઘી મૂકી  ગુંદર તળી લેવો. પછી એક વાસણમાં બે ચમચા ઘી મૂકી માવો ધીમા તાપે પાંચ મિનિટ શેકવો.

એક વાસણમાં  ખાંડ લઈ  ખાંડ  ડૂબે તેટલું  પાણી નાખી  એકતારી ચાસણી  કરવી, ચાસણી થઈ જાય એટલે તેમાં માવો, ગુંદર, કાજુ, બદામ નાખી, ઘી ચોપડેલ થાળીમાં ઢાળી દઈ ચોસલા પાડવાં.

ફાયદા  :  કમરના અને સાંધાના દુખાવામાં ફાયદો  કરે છે.

ઠંડીથી શરીરને  આખા વર્ષની ગરમી - એનર્જી મળી રહે તે માટે પરંપરાગત અડદિયાપાક, માંડવીપીલ,  દાળિયાપાક, તલ-મમરાના લાડુ, બત્રીસુ, આલમપાક, શાની સૂંઠ પાક તો બનતા  જ રહે છે, પરંતુ હવે આ શિયાળુ વાનગીઓમાં  કોપરા કેડબરી ચીકી, મિક્સ ટુટૂફ્રૂટી ચીકી, ડાબરી મિક્સ ચીકી જેવી ચીકીઓનો પણ સમાવેશ થયો છે.

અડદિયા પાક

સામગ્રી :  ૨૫૦  ગ્રામ અડદિયાનો લોટ (અડદનો કરકરો લોટ), ૩૦૦-૩૫૦ ગ્રામ ઘી, ૩૫૦ ગ્રામ ખાંડ, પોણો કપ  ગુંદકણી, અડધોકપ  દૂધ, ચમચી સૂંઠ, ૧ ચમચી એલચી, અડધો કપ કાજુ-બદામ.

રીત :  દૂધ અને ઘીને નવશેકુ ગરમ કરી મિક્સ કરી અડદના લોટમાં નાખવું. પછી ચાળણીમાં ચાળી લેવો. ત્યારબાદ ઘી ગરમ કરી મૂકી લોટ શેકવો. લોટ શેકાઈ જાય એટલે તેમાં ગુંદર નાખી શેકી લેવો. બીજા વાસણમાં  ખાંડની દોઢતારની  ચાસણી  કરવી. શેકેલા લોટમાં પહેલા સૂંઠ, એલચી, કેસર, કાજુ, બદામ વગેરે મિક્સ કરી તેમાં ચાસણી મિક્સ કરવી અને હલાવી મિક્સ કરવું. ઠંડુ પડે એટલે લાડુ વાળી લેવા.

ફાયદા  : વજન વધારે છે અને અશક્તિ દૂર કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news