ઈતિહાસનો એક એવો કિસ્સો, જેમાં સિકંદર એક નાગા સાધુને પોતાની સાથે લઈ જવા માંગતો હતો

એલેક્ઝાન્ડર એટલે કે ભારતનો સિકંદર... આ નામથી લગભગ દરેક પરિચીત છે. ભારત પર કહેર વરસાવનાર સિકંદરના અનેક કિસ્સાઓ પ્રચલિત છે. ત્યારે સિકંદર સાથે જોડાયેલા ઈતિહાસના એક એવા પાના પર ડોકિયું કરીએ જેમાં એક નાગા સાધુનો ભેટો સિકંદર સાથે થયો હતો, અને દુનિયા આખીને જીતવા નીકળેલો સિકંદર એક નાગા સાધુની સામે હારી ગયો હતો. 
ઈતિહાસનો એક એવો કિસ્સો, જેમાં સિકંદર એક નાગા સાધુને પોતાની સાથે લઈ જવા માંગતો હતો

અમદાવાદ :એલેક્ઝાન્ડર એટલે કે ભારતનો સિકંદર... આ નામથી લગભગ દરેક પરિચીત છે. ભારત પર કહેર વરસાવનાર સિકંદરના અનેક કિસ્સાઓ પ્રચલિત છે. ત્યારે સિકંદર સાથે જોડાયેલા ઈતિહાસના એક એવા પાના પર ડોકિયું કરીએ જેમાં એક નાગા સાધુનો ભેટો સિકંદર સાથે થયો હતો, અને દુનિયા આખીને જીતવા નીકળેલો સિકંદર એક નાગા સાધુની સામે હારી ગયો હતો. 

બન્યું એમ હતું કે, અનેક સત્તા-મહાસત્તાઓને હરાવતો સિકંદર આગળ વધી રહ્યો હતો. આ ક્રમમાં આગળ સિકંદર ભારતમાં પહોંચ્યો. સિકંદર જ્યારે ભારત આવ્યો, અને આટલી સત્તા મેળવ્યા છતા પણ સિકંદરને ચેન ન હતો. તે કોઈ જ્ઞાની સંતના શોધમાં હતો. ભારતમાં તે સમયે સાધુ-સંતોની બોલબાલા હતી. તેથી તે ભારતના કોઈ જ્ઞાની સંતને પોતાની સાથે લઈ જવા માંગતો હતો. ત્યારે તેના કાનમાં એક નાગા સાધુની વાત આવી. તેથી સિકંદર આ નાગા સાધુને પોતાની સાથે લઈ જવા માટે તેમની પાસે જઈ પહોંચ્યો.

સિકંદર પહોંચ્યો ત્યારે નાગા સાધુ કપડા વગર હતા અને એક વૃક્ષની નીચે ધ્યાન ધરી રહ્યા હતા. આવામાં એલેકઝાન્ડરના સેનાના માણસોએ તેઓને ધ્યાનમાંથી બહાર આવવાનું કહ્યુ. આમ, નાગા સાધુનું ધ્યાન તૂટ્યું હતું. સિકંદરે સંતને પોતાની ઈચ્છા જણાવી કે, તે તેઓને પોતાની સાથે લઈ જવા માંગે છે. આ માંગ વચ્ચે સિકંદરની સેના ‘એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ...’ના નારા લગાવી રહી હતી. 

આ જોઈ સંત હસ્યા.  સિકંદરે સંતને જણાવ્યુ કે તે તેમને પોતાની સાથે લઈ જવા ઈચ્છે છે. સંતે જવાબ આપ્યો કે તારી પાસે એવું કંઈ નથી જે તું મને આપી શકે. જે મારી પાસે ન હોય. હું જ્યાં છું, જેવો છું, ખુશ છું. મને અહીં રહેવા દો. હું તમારી સાથે નથી આવી રહ્યો. 

નાગા સાધુનો જવાબ સાંભળી પહેલા તો સિકંદરને બરાબરનો ગુસ્સો આવ્યો. આટલા મોટા લડવૈયા અને દુનિયાને હંફાવનારા એલેકઝાન્ડરને એક સામાન્ય સાધુએ ના પાડી હતી. સાધુનો જવાબ સાંભળી પહેલા તો સિકંદરે પોતાની સેનાના શાંત કરી અને બાદમાં સંતને કહ્યું કે, તેને ના સાંભળવાની આદત નથી. તેથી તેઓને પોતાની સાથે જવુ જ પડશે. 

સિકંદરની જિદ બાદ સંતે તેને કહ્યું કે, ‘તું મારા જીવનના નિર્ણય નથી લઈ શકતો. મેં નિર્ણય લીધો છે કે હું અહીં જ રહીશ તો હું અહીં જ રહીશ. તું જઈ શકે છે.’ આ જવાબ સાંભળી સિકંદર વધુ ગિન્નાયો. તેણે પોતાની તલવાર કાઢી અને સંતના ગરદન પર ધરી દીધી. 

તેમ છતા નાગા સાધુ ડર્યા કે ડગ્યા નહિ. ડર વગર તેઓએ સિકંદરને કહ્યું કે, જો તું મને મારી નાખે તો સ્વયંને પછી ક્યારેય એલેક્ઝાન્ડર ઘ ગ્રેટ ન કહેતો. કારણ કે તારામાં મહાન જેવી કોઈ વાત નથી. તું તો મારા ગુલામનો ગુલામ છો.

આમ, સિકંદર પણ આશ્ચર્ય પામ્યો. તેણે સંતને આવુ કહેવા પાછળનું કારણ પૂછ્યું. ત્યારે સંતે જવાબ આપ્યો કે, હું જ્યાં સુધી ન ઈચ્છું ત્યાં સુધી મને ગુસ્સો નથી આવતો. ગુસ્સો મારો ગુલામ છે. જ્યારે ગુસ્સાને જ્યારે લાગે ત્યારે તારા ઉપર હાવિ થઈ જાય છે. તું તારા ગુસ્સાનો ગુલામ છો. ભલે તે આખી દુનિયા જીતી હોય પરંતુ રહીશ તો તું મારા દાસનો દાસ.

સંતની આ વાત સાંભળીને એલેકઝાન્ડર બહુ જ પ્રભાવિત થયો. તે નાગા સાધુની આ વાતથી ખુશ થયો, અને ત્યાંથી જતો રહ્યો. ઈતિહાસમાં લખાયેલા સિકંદરના આ કિસ્સાને લોકો આજે પણ યાદ કરીને તેમાંથી બોધપાઠે લેવાનું શીખવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news