લોકસભા ચૂંટણી 2019: જાણો...કેવી રીતે કપાઈ લાલ કૃષ્ણ આડવાણીની ટિકિટ

ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2019 માટે પ્રથમ યાદી જાહેર કરાઈ છે, જેમાં સૌથી પ્રમુખ નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું છે અને સૌથી મોટી ચર્ચા લાલકૃષ્ણ આડવાણીની પરંપરાગત બેઠક ગાંધીનગર પરથી તેમના બદલે અમિત શાહને ચૂંટણી લડાવા અંગે થઈ રહી છે...
 

લોકસભા ચૂંટણી 2019: જાણો...કેવી રીતે કપાઈ લાલ કૃષ્ણ આડવાણીની ટિકિટ

નવી દિલ્હીઃ ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2019 માટે પ્રથમ યાદી જાહેર કરાઈ છે, જેમાં સૌથી પ્રમુખ નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું છે અને સૌથી મોટી ચર્ચા લાલકૃષ્ણ આડવાણીની પરંપરાગત બેઠક ગાંધીનગર પરથી તેમના બદલે અમિત શાહને ચૂંટણી લડાવા અંગે થઈ રહી છે. ગાંધીનગરની બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે અને લાલકૃષ્ણ આડવાણી અહીં 1991થી સતત જીતતા આવ્યા છે. આવા સંજોગોમાં પાર્ટીએ તેમના સ્થાને હવે અમિત શાહને લડાવાનો નિર્ણય લીધો છે. 

દેશના ગૃહમંત્રી તરીકે સેવા આપી ચુકેલા 91 વર્ષના આડવાણી ગાંધીનગર લોકસભા સીટ પરથી 6 વખત ચૂંટણી જીતી ચૂક્યા છે. 1984ની લોકસભા ચૂંટણીમાં દેશમાં માત્ર બે લોકસભા બેઠક જીતનારી ભાજપના ઉદયનો શ્રેય આડવાણીને આપવામાં આવે છે. તેમણે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીને પાર્ટીના વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ત્યાર બાદથી તેઓ પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ લાંબા સમયથી ગાંધીનગરની સીટ પર ઉમેદવાર બદલવા માગતા હતા. અમિત શાહ પોતે અહીંથી ચૂંટણી લડવા ઈચ્છુક હતા, પરંતુ ભાજપના સંસ્થાપક, ભારતીય રાજનીતિના સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ લાલ કૃષ્ણ આડવાણીનું પત્તું કાપવું કોઈ સરળ કામ ન હતું. 

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડા પ્રધાન આ મુદ્દે ઘણી વખત પહેલ કરી હતી. પાર્ટીની બેઠકો દરમિયાન વડા પ્રધાન મોદીએ અનેક વખત આડવાણી દ્વારા ચૂંટણી લડવા, ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડવા જેવી વાતોનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ આડવાણીએ અગાઉ ક્યારેય સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. 

ત્યાં સુધી કે દિલ્હીના રામલીલા મેદાનમાં યાજોયેલા રાષ્ટ્રીય અધિવેશનમાં પણ ટોચનું નેતૃત્વ આ સાહસ કરી શક્યું ન હતું. આ વખતની લોકસભા ચૂંટણીમાં 75 વર્ષથી મોટી ઉંમરના લોકોને ટિકિટ આપવી કે ન આપવી તેના અંગેનો નિર્ણય લેવામાં પણ સૌથી મોટું વિઘ્ન આડવાણી જ હતા. જોકે, ઓપરેશન બાલાકોટે ભાજપના નેતૃત્વ અને વડા પ્રધાનમાં એક નવા પ્રાણ ફૂંકી દીધા હતા. 

આથી, આખરી પહેલ પણ લાલ કૃષ્ણ આડવાણી પાસે જ કરાવવામાં આવી હતી. તેમને કહેવાયું કે જો તેઓ ચૂંટણી લડવા ઈચ્છુક ન હોય તો તેમની સીટ પરથી તેમની પસંદગીના ઉમેદવારનું નામ જણાવે. ત્યાર પછી ગાંધીનગરની સીટ પરથી આડવાણીની પુત્રીને ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો. જોકે, અહીં આડવાણીએ સિદ્ધાંતની વાત કરી દીધી હતી. 

આડવાણીએ જણાવ્યું કે, તેમણે આજીવન રાજનીતિમાં પરિવારવાદનો વિરોધ કર્યો છે. હવે જીવનના અંતિમ તબક્કામાં તેને કેવી રીતે આગળ વધારી શકે. ત્યાર પછી આડવાણીએ સામેથી જ ગાંધીનગરથી ચૂંટણી ન લડવાની ઈચ્છા જાહેર કરી અને ભાજપના ટોચના નેતૃત્વએ વડા પ્રધાન સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ઉમેદવાર બદલી નાખ્યો. 

આપને જણાવી દઈએ કે, ગાંધીનગરની બેઠક પરથી ભાજપ છેલ્લા અનેક વર્ષોથી 3 લાખથી વધુ વોટના માર્જિનથી જીતતી આવી છે. આ સીટ ભાજપ માટે ગઢ ગણવામાં આવે છે. 

ઉલ્લેખનીય છે કે, લાલ કૃષ્ણ આડવાણી વર્ષ 1991માં પ્રથમ વખત ગુજરાતની રાજધાની ગાંધીનગરની લોકસભા સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર પછી આડવાણીએ અહીંથી 1998, 1999, 2004, 2009 અને 2014માં વિજય મેળવ્યો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news