IND vs ENG: T-20માં પણ ઈંગ્લેન્ડનું ટેન્શન વધશે, છેલ્લી 5 મેચમાં રહ્યો છે ભારતનો દબદબો

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં જીત પછી ભારતીય ટીમની નજર હવે ટી-20 સિરીઝ પર છે. 5 મેચની ટી-20 સિરીઝ 12 માર્ચથી શરૂ થઈ રહી છે.
 

IND vs ENG: T-20માં પણ ઈંગ્લેન્ડનું ટેન્શન વધશે, છેલ્લી 5 મેચમાં રહ્યો છે ભારતનો દબદબો

ટેસ્ટ સિરીઝ પર કબ્જો જમાવ્યા પછી હવે મિશન ટી-20
 5 ટી-20 મેચની સિરીઝ 12 માર્ચથી અમદાવાદમાં
આ સિરીઝ ટી-20 વર્લ્ડકપ પહેલા ખૂબ મહત્વની

અમદાવાદ: ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાં ભવ્ય જીત પછી ભારતીય ટીમનું આગામી મિશન ટી-20 સિરીઝ છે. 5 મેચની ટી-20 સિરીઝ 12 માર્ચથી શરૂ થઈ રહી છે. સિરીઝની બધી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ વર્ષે થનારા ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે આ સિરીઝ ઘણી મહત્વની છે. આ ટી-20 વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં જ થવાનો છે.

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે અત્યાર સુધી 14 ટી-20 મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી ભારતે 7 અને ઈંગ્લેન્ડ 7 મેચમાં જીત મેળવી છે. ઈંગ્લન્ડ સામે છેલ્લી 5 ટી-20 મેચમાં ભારતે 4 મેચ જીતી છે. જ્યારે એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લે ભારતે ઈંગ્લેન્ડ સામે 2018માં ટી-20 સિરીઝ રમી હતી. 3 મેચની સિરીઝ ભારતે 2-1થી જીતી હતી.

થયો ખુલાસો! જસપ્રીત બુમરાહ ક્યારે અને કોની સાથે કરી રહ્યો છે લગ્ન?

પહેલી ટી-20 મેચ:
માન્ચેસ્ટરમાં રમાયેલી પહેલી ટી-20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 વિકેટે પરાજય આપ્યો હતો. જેમાં ભારત તરફથી કુલદીપ યાદવે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે લોકેશ રાહુલે 54 બોલમાં 10 ફોર અને 5 સિક્સની મદદથી 101 રન બનાવ્યા હતા.

બીજી ટી-20 મેચ:
કાર્ડિફમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે 5 વિકેટથી મેચ જીતીને મેચમાં વાપસી કરી હતી. જેમાં ભારત 20 ઓવરમાં માત્ર 148 રન જ બનાવી શક્યુ હતું. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 5 વિકેટ ગુમાવીને એલેક્સ હેલ્સની અર્ધસદીની મદદથી મેચ જીતી લીધી હતી.

ત્રીજી ટી-20 મેચ:
બ્રિસ્ટલમાં રમાયેલી છેલ્લી ટી-20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હરાવીને સિરીઝ જીતી લીધી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 198 રન બનાવ્યા હતા. મોટા લક્ષ્યનો પીછો કરતાં ભારતે રોહિત શર્માની 56 બોલમાં સદીની મદદથી 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.

આ પહેલાં 2017માં થયેલી ત્રણ મેચની ટી-20 સિરીઝ પણ ભારતે 2-1થી જીતી હતી. 2017માં યોજાયેલ મેચ પર નજર કરીએ તો 

પહેલી મેચ:
કાનપુરમાં રમાયેલી પહેલી મેચમાં ભારતને 7 વિકેટે હરાવીને ઈંગ્લેન્ડે જીત સાથે શરૂઆત કરી હતી. જેમાં ભારતે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે ઈઓન મોર્ગનની અર્ધસદી અને જો રૂટના 46 રનની મદદથી મેચ 7 વિકેટથી જીતી લીધી.

બીજી મેચ:
નાગપુરમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 5 રનથી હરાવીને 1-1ની બરોબરી કરી હતી. ભારતે પહેલા બેટિંગ કરતાં લોકેશ રાહુલની અર્ધસદીની મદદથી 20 ઓવરમાં 144 રન બનાવ્યા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે પણ શાનદાર શરૂઆત કરી. જોકે ભારે રસાકસીના અંતે ભારતે 5 રનથી ઈંગ્લેન્ડને પરાજય આપ્યો.

ત્રીજી મેચ:
બેંગલુરુમાં રમાયેલી છેલ્લી મેચમાં ભારતે 75 રનથી ઈંગ્લેન્ડને પરાજય આપ્યો. મેચમાં સુરેશ રૈના અને મહેન્દ્ર સિંહ ધોનીની આક્રમક અર્ધસદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા. જોકે ભારતના બોલર યુઝર્વેન્દ્ર ચહલે 4 ઓવરના સ્પેલમાં 25 રન આપીને 6 વિકેટ ઝડપતાં ઈંગ્લેન્ડના બેટ્સમેનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા. અને ભારતે મેચ 75 રનથી જીતી લીધી. તેની સાથે જ ભારતે સિરીઝ પર પણ 2-1થી કબ્જો કર્યો.

હાલની ટી-20 સિરીઝ માટે 19 સભ્યોની ટીમમાં કેટલાંક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જેમાં ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ અને રાહુલ તેવટિયાને પહેલીવાર ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમ:
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ઈશાન કિશન, યુઝર્વેન્દ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા, ટી.નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news