સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અંગે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, ગુજરાત પોલીસના પ્રયાસોથી સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા. રિફંડ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર, 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42%.

સાયબર ક્રાઇમનો ભોગ બનેલા 28,000 બેંક ખાતાઓ અંગે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

ગાંધીનગર: બેંક ખાતું ફ્રીઝ કરવા અંગેની ગુજરાત પોલીસની પોલિસીમાં મહત્વપૂર્ણ ફેરફાર, આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમ જ ફ્રીઝ થશે. હાલમાં જ ગુજરાત પોલીસે સાયબર ક્રાઈમનો ભોગ બનેલા હજારો મધ્યમવર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે. સાયબર ક્રાઇમની તપાસમાં પીડિતોના સહયોગને કારણે અગાઉ લોક થઇ ગયેલા 28,000 બેંક ખાતાઓ હવે અનફ્રીઝ કરવામાં આવ્યા છે. બેંકખાતાઓ અનફ્રીઝ થવાથી પીડિતોને મોટી રાહત મળી છે. આ અંગે વધુ વિગતો આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, “ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની અસરકારક તપાસના પરિણામે 28 હજાર જેટલા બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે. આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે જેઓ દગાખોરીથી પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા હતા અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા હતા.”

અટકાયતમાં રહેલી રકમ તેમજ રિફંડની રકમ અંગેની માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, રિફંડની રકમ અને હોલ્ડ પર એટલે કે અટકાયતમાં રહેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તેમણે જણાવ્યું કે 2024માં રિફંડ કરાયેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93% હતી. 30 જૂન, 2024 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી કુલ રકમ ₹114.90 કરોડ છે અને 2024 માટે રિફંડ કરાયેલી રકમ ₹53.34 કરોડ છે. આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર ક્રાઈમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય. તેઓ હવે આખા અકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે આ ફેરફારનો હેતુ મધ્યમ-વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક અકાઉન્ટ લોક થઈ જવાના કારણે મોટી મુશ્કેલીનો સામનો કરે છે.

મંત્રીએ જણાવ્યું કે, “મધ્યમ-વર્ગના લોકો સાયબર ક્રાઈમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હતા અને અકાઉન્ટ ફ્રીઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા. હવે તેમના ખાતાઓ અનફ્રીઝ થઇ જવાના કારણે તેઓએ મોટી રાહત અનુભવી છે. આ પગલું એવા લોકો માટે ખરેખર રાહતદાયી છે જેઓ બહુ ધનવાન નથી અને મોટાભાગે રોજિંદા વ્યવહારો માટે તેમના બેંક ખાતાઓ પર આધાર રાખે છે.”
ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના બેંક ખાતાઓ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે તેઓ સાયબર ક્રાઈમમાં તેમની બિન-સંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એક પછી એક કેસના આધારે આ ખાતાઓની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ આવા ખાતાઓને શક્યતઃ અનફ્રીઝ કરવામાં આવશે.

ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ નિર્ણાયક કાર્યવાહી સાયબર ક્રાઈમ પીડિતોને થતા અન્યાયને ઘટાડવાની તરફેણમાં લેવાયેલા નોંધપાત્ર પગલા દર્શાવે છે. ખાતા ફ્રીઝ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને, ઓથોરિટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઈમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news