વિધાનસભા ગૃહમાં હોબાળો, કોંગ્રેસના નૌશાદ સોલંકીએ ગૃહમાં માઈક ફેંક્યું

મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી (naushad solanki) એ પોતાનું માઈક ગૃહમાં ફેંક્યું 

વિધાનસભા ગૃહમાં હોબાળો, કોંગ્રેસના નૌશાદ સોલંકીએ ગૃહમાં માઈક ફેંક્યું

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન બીજા દિવસે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. મજૂર કાયદા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની શાબ્દિક ટિપ્પણી બાદ કોંગ્રેસના ધારાસભ્યો વિરોધમાં આવી ગયા હતા. ત્યારે આ વિરોધ વધતા કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી (naushad solanki) એ પોતાનું માઈક ગૃહમાં ફેંક્યું હતું. આ બાદ વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી જઈને કોંગ્રેસના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. 

ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતુ કે,  150 વર્ષના ઇતિહાસની વાત કરો છો. ત્યારે નૌશાદ સોલંકીએ કહ્યું તે, બાબાસાહેબ અંબેડકરની વાત પર વાંધો શુ છે. ત્યારે નીતિન પટેલે નૌશાદ સોલંકીને જવાબ આપયો કે, ઘરમાં કે ખેતરમાં મજૂર રાખો ત્યારે પગાર બાબતે ધ્યાન રાખો છો? જેના જવાબમાં નૌશાદ સોલંકીએ કહ્યું કે, મને કોન્ટ્રાકટર સાબિત કરો કે નીતિન પટેલ મારી માફી માંગે. આ મામલે ગૃહમાં હોબાળો થતાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસના સભ્યોએ ‘મજૂર વિરોધી યે સરકાર નહિ ચલેગી’ ના સૂત્રોચ્ચારો કર્યા હતા. જેના બાદ ગિન્નાયેલા કોંગ્રેસના ધારાસભ્ય નોશાદ સોલંકીએ ગેલેરી નંબર 4 માંથી માઈક ફેકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. 

નૌશાદ સોલંકીએ પોતાનું માઇક ગૃહમાં ફેંક્યું
ગેલેરી 4 માંથી તેઓએ માઇક ફેંકી વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ વિરોધ પક્ષના નેતા અને રૂમમાં બેઠેલા કોંગ્રેસના સભ્યો બહાર નીકળી ગયા હતા. પરંતુ પ્રેક્ષક ગેલેરીમાં ધારાસભ્યની બેસવાની વ્યવસ્થામાં ગેલેરી નંબર 4 માં નોશાદ સોલંકી બેસી રહ્યા હતા. વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળીને કોંગ્રેસના સભ્યોએ ફરીથી સૂત્રોચ્ચારો કર્યા હતા. 

આખરે વિધાનસભા ગૃહનું કામકાજ પૂર્ણ થતા વિધાનસભા અધ્યક્ષે ચેમ્બરમા આવી નૌશાદ સોલંકીને ફરિયાદ કરવા કહ્યું હતુ. પરંતુ નૌશાદ સોલંકીએ ગેલેરી 4 માં જ બેસીને વિરોધ દર્શાવ્યો હતો. જેના બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાની, ઉપનેતા શૈલેષ પરમાર, સિનીયર ધારાસભ્ય પુંજા વંશ સહિતના સભ્યો વિધાનસભા અધ્યક્ષને રજુઆત કરવા પહોંચ્યાં હતા. ગૃહમાં બનેલા બનાવને લઈ અધ્યક્ષ સાથે ચર્ચા કરી હતી. જેના બાદ કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી વિધાનસભાની અંદરના ચોથા પગથિયે ધરણા પર બેસી ગયા હતા. નૌશાદ સોલંકીના સમર્થનમાં આવેલા નેતા વિપક્ષ પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યો પણ વિધાનસભા ગૃહમાં ફરી પહોંચ્યા હતા. જેના બાદ વિધાનસભા અધ્યક્ષ નૌશાદ સોલંકીને મનાવવા ગયા હતા. 

નીતિનભાઈએ કરેલા આક્ષેપો ખોટા છે - નૌશાદ સોલંકી
ત્યારે પોતાના આ વિરોધ વિશે નૌશાદ સોલંકીએ કહ્યું કે, આજનો દિવસ વિધાનસભા માટે કાળો દિવસ છે. ઉદ્યોગપતિઓને સંપૂર્ણપણે રક્ષણ આપતો કાયદો પસાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. વિધાનસભામાં બાબાસાહેબ આંબેડકર અને 1942 માં  કાયદો બન્યો હતો. મેં બાબા સાહેબ આંબેડકરનું નામ લીધું, ત્યારે એકદમ નીતિનભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. હું અધ્યક્ષનો આભાર માનું છું કે તેમને રક્ષણ આપ્યું મારી વાત કરવાની પણ તક મને આપી. પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્તિગત આક્ષેપો કરવાના શરૂ કર્યા. ગઈકાલે પણ મારી પર આક્ષેપો કર્યા હતા, પણ મારા પિતાતુલ્ય ગણીને નીતિનભાઈ સામે કોઈ વાત કરી ન હતી. આજે ફરી પાછા નિતીન પટેલે એ જ પ્રકારના વ્યક્તિગત આક્ષેપો મારા પર કર્યા છે. તેઓએ મારી સામે આક્ષેપ કર્યા કે, શું ઘરે માફી નથી એ પ્રકારની માગણી કરી હતી. જોકે તેમના વર્તનમાં કોઈ પરિવર્તન ન થયું નથી. નીતિનભાઈને હું પિતાતુલ્ય કરીને તેમના પગે લાગતો. વિધાનસભાના અધ્યક્ષને માન આપીને હું ઊભો થયો છું. આવતીકાલે પક્ષના નેતા કહેશે તે પ્રમાણે આગળ વાત કરીશ. હું કોન્ટ્રાક્ટર ક્યારે રહ્યો નથી. મેં સાંભળ્યું છે કે, નીતિનભાઈનો દીકરો હોસ્પિટલોમાં દવા સપ્લાય કરે છે. પણ હું એ વાત કરું તો ખોટી પડે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news