અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, યુવતીએ આપઘાત કર્યો, પિતાએ લાશ સળગાવી ફેંકી દીધી

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની પુત્રીને પ્રેમ સંબંધ બાદ ઠપકો આપતા યુવતીએ મોતને વહાલું કરી લીધું છે. આત્મહત્યા કર્યા બાદ યુવતીની લાશને પિતાએ જ પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી. 
 

અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, યુવતીએ આપઘાત કર્યો, પિતાએ લાશ સળગાવી ફેંકી દીધી

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની પુત્રીને પ્રેમ સંબંધ બાદ ઠપકો આપતા યુવતીએ મોતને વહાલું કરી લીધું છે. આત્મહત્યા કર્યા બાદ યુવતીની લાશને પિતાએ જ પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી. કોઈને ખબર ન પડે એટલે લાશને પોટલામાં બાધી મોડી રાતે લાશ રેલવે ટ્રેક પર નાખી વતન જતા રહ્યાં હતા. લાશની બુટ્ટી અને મૃતકના ભળતા ફોટો પરથી સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે આકાશ પાતાળ એક કરી ફરાર પિતાની ધરપકડ કરી છે. 

જાણો શું છે ઘટના
અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં રેલવે ટ્રેક પર એક યુવતીની સળગેલી લાશ થોડા દિવસ પહેલા મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસે પ્રાથમિક તપાસમાં હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસને લાશ પર માત્ર ઓળખ માટે એક કાનની બુટ્ટી હતી. પોલીસને આ વિસ્તારમાં આવેલી ચાલીઓમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ યુવતી અને તેનો પરિવાર ગાયબ છે. ઘરમાંથી એક ફોટો મળ્યો જેમાં લાશ અને ફોટોમાં દેખાતી બુટ્ટી શરખી હતી. આખરે પોલીસ યુપી પહોંચી અને યુવતીના પિતાને પૂછતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પોલીસે આ રીતે કરી તપાસ
મેઘાણી નગર પોલીસ સ્ટેશન વિસ્તરમાં આવેલા રેલવે ફાટક પાસે આ લાશ પહેલી ડિસેમ્બરના દિવસે મળી હતી. આ લાશ 20 થી 22 વર્ષની યુવતીની લાગતી હતી. પણ લાશ મોટા ભાગની બળેલી હતી એટલે તેની ઓળખ થતી ન હતી. જેથી પોલીસ પણ અસમંજસમાં હતી કે આ યુવતી કોણ છે. જે સંદર્ભે પોલીસ પ્રાથમિક હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પણ આ યુવતીને શોધવું પોલીસ માટે પડકાર હતો. પોલીસે આ વિસ્તારમાં આવેલી આસ પાસના વિસ્તારમાં આવેલી ચાલી અને બાતમીદારો પાસે તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે એક પરિવાર આ બનાવના બીજા દિવસથી ગાયબ છે. પોલીસે તપાસ કરતા આ ઘરમાં રહેતી યુવતી ભારતીનો ફોટો મળ્યો અને તે ફોટોમાં યુવતીએ કાનમાં જે બુટ્ટી પહેરી હતી તે જ બુટ્ટી લાશ સાથે મળતી આવતી હતી. 

આ બનાવ અંગે પોલીસને એટલી ખબર પડી કે મરનાર યુવતી ભારતી રાજપૂત છે. ત્યાર બાદ પોલીસ તેના પિતાને શોધવા યુપી ના ઇટાવા પહોંચી હતી. ત્યાં યુવતીના પિતા જગદીશ રાજપૂત મળી આવ્યા હતા. તેમની પુછપરછ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસને જાણવા મળ્યું કે ભારતીને આ વિસ્તારમાં એક યુવક સાથે પ્રેમ સબંધ હતો. જૅથી યુવતીને એના પિતાએ માર મારીને ઠપકો આપ્યો હતો. આ બનાવ બાદ યુવતીએ તેના ઘરમાં બીજા રૂમમાં પંખા સાથે દુપટ્ટા વડે આત્મહત્યા કરી લીધી હતી. પણ તેના મોત બાદ જગદીશ સિંહ અને તેના બે અન્ય સાથીઓએ ભેગા મળીને બાઈકમાંથી પેટ્રોલ કાઢીને ભારતીની લાશ સલગાવી દીધી હતી. પણ લાશ પૂરી સળગી ન હતી. જેથી આ લોકોએ ભેગા મળીને લાશ કોથળામાં ભરીને મોડી રાતે  લાશ રેલવે ટ્રેક પર નાખી દીધી હતી. ત્યાર બાદ બધા તાબડતોબ અમદાવાદ છોડીને પોતાના વતન જતા રહ્યા હતાં.

પોલીસે કરી પિતાની ધરપકડ
હાલ આ સમગ્ર પ્રકરણમાં પોલીસે હાલ ભારતીના પિતા જગદીશ સિંહની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. બીજીતરફ પ્રાથમિક તપાસમાં ભારતીના મામા મામી, માસા-માસી વોન્ટેડ છે. જોકે હજુય પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે કે હકીકતમાં ભારતીએ આપઘાત કર્યો અને બાદમાં તેને સળગાવી કે ભારતીને લટકાવી દીધી અને બાદમાં તેને સળગાવી દીધી. અન્ય આરોપીઓ પકડાયા બાદ અને ડોકટરનો રિપોર્ટ આવ્યા બાદ આ બાબતનો યોગ્ય તાગ મેળવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news